ગુજરાતમાં બાળપણ ઉપર જીવલેણ રોગો ભરડો લઈ રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા અમદાવાદમાં આરોગ્યલક્ષી પ્રોગ્રામ શરૂ થયો હતો જેમાં તપાસમાં વરવી વાસ્તવિકતા સામે આવી હતી ત્યારે પ્રશ્નો થઈ રહ્યા છે કે શું ભારતનું ભવિષ્ય રોગીષ્ટ છે? કેન્સર, થેલેસેમિયા, હૃદય રોગ અને કીડનીના રોગો બાળપણને પીંખી રહ્યા છે
ગુજરાત સરકાર દ્વારા અમદાવાદની શાળાઓમાં આરોગ્યલક્ષી કાર્યક્રમ હાથ ધરાયો હતો. જેમાં બીમારીના ચોંકાવનારા આંકડા સામે આવ્યા હતા. રાજ્ય સરકારે આ આંકડાઓ જાહેર કર્યા છે. જેમાં 346 જેટલા બાળકને હૃદય રોગની બીમારી હતી. જ્યારે 194 જેટલા બાળક કીડનીના રોગથી પીડાતા હતા. તો 33 બાળકોને કેન્સર હોવાનું સામે આવ્યું હતું. જ્યારે 41 બાળક થેલેસેમિયાથી પીડાતા હતા. ત્યારે આ તમામ બાળકોને સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર આપવામાં આવી છે. 5 લાખથી વધુ બાળકો પર આ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાંથી 2 લાખથી વધુ બાળકોને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી
25 નવેમ્બરથી શરૂ થયો હતો કાર્યક્રમ
રાજ્ય સરકારનાં શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ AMC વિસ્તારની તમામ આંગણવાડીના, તમામ ખાનગી તથા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના બાળકો, નવજાત શિશુઓ અને શાળાએ ન જતા 18 વર્ષ સુધીનાં બાળકોની આરોગ્ય તપાસ થઇ રહી છે. 25 નવેમ્બર 2019થી 28 ડિસેમ્બર સુધી કરવામાં આવેલી આ આરોગ્ય તપાસ દરમિયાન 346 બાળકોને હ્રદય રોગ, 194 બાળકોને કીડનીના રોગ, 33ને કેન્સર અને 41ને થેલેસેમિયા હોવાનો ખુલાસો થયો છે.
5,87,929 બાળકોના આરોગ્યની તપાસ કરાઈ
28 ડિસેમ્બર સુધીમાં કુલ 5,87,929 બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે. જેમાંથી 2 લાખ 73 હજાર 69 બાળકોને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. સંદર્ભ સેવામાં 33 હજાર 577, બાળરોગ નિષ્ણાત દ્વારા 4 હજાર 376, આંખના સર્જન દ્વારા 7 હજાર 810, દાંતના સર્જન દ્વારા 15 હજાર 183, ચામડીના સ્પેશિયાલિસ્ટ દ્વારા 2755, કાન-નાક ગળાના સર્જન દ્વારા 2228 અને અન્ય નિષ્ણાત દ્વારા 1225 બાળકોની તપાસ કરવામાં આવી છે.