અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં TLGH કોવિડ હોસ્પિટલમાં તોડફોડની ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં દર્દીના પરિવારજનોએ તોડફોડ કરી હતી. કોરોનાગ્રસ્ત 35 વર્ષીય યુવકના નિધન થતા હોબાળો થયો હતો. મૃતક યુવકના પરિવારજનોએ હોસ્પિટલ પર આક્ષેપો લગાવ્યા છે. તો બીજી તરફ મૃતકના માતા અને પરિવારજનોનો આક્રંદ જોવા મળ્યો હતો.
અમદાવાદ ચાંદખેડાની TLGH હોસ્પિટલમાં તોડફોડ
35 વર્ષીય યુવકનુ કોરોનાથી મૃત્યુ
પરિવારજનોએ ડૉક્ટરો પર બેદરકારીનો લગાવ્યો આક્ષેપ
અમદાવાદની TLGH કોવિડ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 35 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. યુવકના મોતને લઇને પરિવારજનોએ હોસ્પિટલ પર સારવારમાં અભાવના આક્ષેપો લગાવ્યા છે અને ડૉક્ટરો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. પરિવારજનોનું કહેવું છે કે, 7-8 દિવસથી દર્દીને અહીં દાખલ કરવામાં આવ્યો હતો. દર્દીની તબિયત ક્રિટિકલ થવા છતા પરિવારજનોને જાણ કરવામાં આવી ન હતી. ડૉક્ટરે પણ પુરતી સારવાર નહતી કરી. દર્દીને અન્ય કોઇ બિમારી પણ ન હતી.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 'દર્દીની તબિયત સારી છે. પરંતુ આજે અચાનક તબિયત વધારે બગડી હતી, જેને લઇને તાત્કાલિક MRI કરવામાં આવ્યું હતું.' મહત્વનું છે કે, સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલની અનેક બેદરકારીઓ અગાઉ સામે આવી ચૂકી છે.
પરિવારજનોએ હોસ્પિટલમાં કરી તોડફોડ
યુવકના મોતને લઇને પરિવારના 200થી વધુ લોકો હોસ્પિટલ ભેગા થયા હતા. હોસ્પિટલમાં MRI સહિતની સામગ્રીઓની પરિવારજનોએ તોડફોડ કરી હતી. જોકે તાત્કાલિક પોલીસનો કાફલો પણ હોસ્પિટલ ખડકી દેવામાં આવ્યો છે.
પરિવારજનોનું આક્રંદ
મૃતક યુવકના માતાએ કહ્યું કે, મારો છોકરો સાજો હતો. કાલે રાત્રે મારી સાથે 10 વાગે વાત કરી. આજે મારા જમાઇ સાથે ડૉક્ટરોએ વાત કરી. મને જાણ થઇ કે આવું થયું. હું વિધવા છું અને મારો એકનો એક દીકરો હતો.