અમદાવાદમાં બહુચર્ચિત કોલ સેન્ટર તોડ કાંડમાં 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હજુ આ કેસમાં ઉચ્ચ અધિકારીઓના નામ ખુલી શકે તેવી સંભવનાઓ સેવાઈ રહી છે.
અમદાવાદના એસજી હાઇવે પરથી કોલસેન્ટરના ડેટા સાથે બે યુવકોને પકડી કોલસેન્ટર ચલાવતાં માલિક પાસેથી રૂ. 65 લાખનો તોડ કરવાના કેસમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી.જાડેજા, પીએસઆઇ અને પાંચ કોન્સ્ટેબલને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે સસ્પેન્ડ કર્યા છે.
ક્રાઈમ બ્રાન્ચની તપાસ બાદ કરાયેલા રિપોર્ટ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આ કેસમાં ચર્ચામાં રહેલા IPS અધિકારીનો બચાવ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલામાં ક્યાંય તેઓની ભૂમિકા નથી બતાવાઈ.
શું હતી ઘટના?
બે મહિના પહેલા એસજી હાઇવે પરથી બે વ્યક્તિને પકડી પહેલા રૂ. 30 લાખનો અને બાદમાં રૂ. 35 લાખ એમ મળી કુલ રૂ. 65 લાખનો તોડ કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ હતી. જેનો રિપોર્ટ પોલીસ કમિશનરને સોંપાયો હતો. તોડકાંડ અને પોપ્યુલર બિલ્ડરને સવલત આપવા મામલે તાત્કાલિક અસરથી પીઆઇ વાય.બી.જાડેજાની બદલી સ્પેશિયલ બ્રાન્ચમાં કરી દેવાઈ હતી. રિપોર્ટમાં બેદરકારી આવતાં પીઆઇ, પીએસઆઇ અને પાંચ પોલીસ કોન્સ્ટેબલને પોલીસ કમિશનરે સસ્પેન્ડ કર્યા હતા.
હજુ ઉચ્ચ અધિકારીઓના નામ ખુલવાની સંભવાના
સમગ્ર કાંડમાં IPS અધિકારીની ભૂમિકાને દબાવી દેવામાં આવી છે. તોડકાંડ સમયે IPS અધિકારીઓ પણ આ કેસમાં હોવાની ચર્ચા હતી, જોકે તપાસમાં માત્ર પીઆઇ, પીએસઆઇ અને પાંચ કોન્સ્ટેબલના જ નામ ખુલ્યા છે જેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.