શહેરમાં આજથી રાત્રી કરફ્યુના સમયમાં એક કલાકની છૂટછાટ અપાઈ છે. અગાઉ રાતના નવથી સવારના છ વાગ્યા સુધી રાત્રી કરફ્યુ અમલમાં હતો, જે હવે રાતના દસ વાગ્યાથી અમલમાં મુકાશે. આમ રાત્રી કરફ્યુના સમયમાં ઘટાડો થવાથી બીઆરટીએસ બસ સર્વિસને રાતના આઠ વાગ્યા સુધી દોડાવવાની તંત્રે વિચારણા હાથ ધરી છે.
હવે રાતના દસ વાગ્યાથી રાત્રી કરફ્યુ લાગશે
AMTS બસમાં તેની બહાર લટકીને મુસાફરી કરી રહ્યા
BRTS બસનો વધુ એક કલાકનો લાભ તેના પેસેન્જરને મળશે
દિવાળી બાદ શહેરમાં કોરોનાની સેકન્ડ વેવ ફરી વળી હતી. કોરોનાના રોજે રોજ ૩૦૦થી વધુ દર્દી નોંધાતાં અને બે આંકડામાં મૃત્યુઆંક થતાં તંત્ર પણ હેબતાઈ ગયું હતું, જેના કારણે રાજ્ય સરકારે અગમચેતીનાં પગલાં તરીકે તા. ૨૦ નવેમ્બરની રાતના નવ વાગ્યાથી તા.૨૩ નવેમ્બરની સવારના છ વાગ્યા સુધી એટલે કે ૫૭ કલાકનો સળંગ કરફ્યુ અમદાવાદમાં લાદ્યો હતો. ત્યાર બાદ તા. ૨૩ નવેમ્બરથી સતત રાત્રી કરફ્યુ અમલમાં છે.
હવે રાતના દસ વાગ્યાથી રાત્રી કરફ્યુ લાગશે
અમદાવાદમાં રાતના નવથી સવારના છ વાગ્યા સુધીનો કરફ્યુ ગઈ કાલ સુધી અમલમાં હતો. શહેરીજનોએ સતત ૩૯ દિવસ સુધી રાત્રી કરફ્યુ અનુભવ્યો હતો. જોકે હજુ પણ અમદાવાદમાં આગામી તા. ૧૪ જાન્યુઆરી સુધી રાત્રી કરફ્યુ તો છે, પરંતુ કોરોનાના કેસ ઘટ્યા હોવાના મ્યુનિ. તંત્રના આંકડાના આધારે તેમજ હોટલ-રેસ્ટોરાં સહિતનાં અન્ય એસોસીએેશનની રજૂઆતના આધારે રાત્રી કરફ્યુમાં એક કલાકની છૂટ અપાઈ છે. હવે રાતના દસ વાગ્યાથી રાત્રી કરફ્યુ લાગશે.
BRTS બસનો વધુ એક કલાકનો લાભ તેના પેસેન્જરને મળશે
રાત્રી કરફ્યુમાં એક કલાકની છૂટ મળવાથી ગઈ કાલ એટલે કે તા. ૩૧ ડિસેમ્બર સુધી સાંજના સાત વાગ્યા સુધી ચાલતી બીઆરટીએસ બસને રાતના આઠ વાગ્યા સુધી દોડાવવાની તંત્રે વિચારણા હાથ ધરી છે. એટલે કે બીઆરટીએસ બસનો વધુ એક કલાકનો લાભ તેના પેસેન્જરને મળી શકે તેમ છે.
પેસેન્જરને દરરોજના ૧૫૦ રૂટનો લાભ રાબેતા મુજબ મળી રહ્યો છે
જ્યારે એએમટીએસ બસ પેસેન્જરને રાતના ૮.૩૦થી ૮.૪૫ સુધી મળશે.જોકે રાત્રી કરફ્યુથી એએમટીએસ બસને પેસેન્જર અને આવકમાં જબ્બર ફટકો પડ્યો છે. રાત્રી કરફ્યુની પહેલાં એએમટીએસને દરરોજની ૧૨ લાખ રૂપિયાની આવક થતી હતી અને ૧.૮૦ લાખ પેસેન્જર થયા હતા. જોકે રાત્રી કરફ્યુ અમલમાં આવવાથી છેલ્લા ૩૯ દિવસથી એએમટીએસને આવકમાં દરરોજ રૂ. એક લાખનો ફટકો પડ્યો છે. દરરોજના ૨૦ હજાર પેસેન્જર ઘટીને ૧.૫૦ લાખ પેસેન્જર થયા છે. બસની સંખ્યા રાત્રી કરફ્યુ પહેલાં રોજની ૭૦૦ બસની હતી, જે હવે રોજ ૬૫૦ બસ રોડ પર મુકાઈ છે. એટલે ૫૦ બસ ધટી છે. જોકે પેસેન્જરને દરરોજના ૧૫૦ રૂટનો લાભ રાબેતા મુજબ મળી રહ્યો છે.
દૈનિક ખોટ કોરોનાથી રોજની સવા કરોડની થઈ
કોરોનાની પહેલાં એએમટીએસની દૈનિક ૨૪ લાખની આવક હતી અને ૫.૫૦થી ૫.૭૫ લાખ પેસેન્જર નોંધાતા હતા. એટલે કોરોનાથી એએમટીએસની કમજોર આર્થિક હાલત વધુ કમજોર પડી છે. દૈનિક એક કરોડની ખોટ ખાતી આ સંસ્થાની દૈનિક ખોટ કોરોનાથી રોજની સવા કરોડની થઈ છે.
દર મહિને એક કરોડની આર્થિક ખોટ વધીને રૂ. ૧.૫૦ કરોડની થઈ
બીજી તરફ બીઆરટીએસને પણ કોરોનામાં બે મહિનાનું લોકડાઉન, અનલોક દરમિયાન પણ પૂર્વના વિસ્તારની બસ પૂર્વમાં અને પશ્ચિમ વિસ્તારની બસ પશ્ચિમ િવસ્તારમાં દોડાવવી તેમજ રાત્રી કરફ્યુ વગેરે બાબતોથી હવે દર મહિને એક કરોડની આર્થિક ખોટ વધીને રૂ. ૧.૫૦ કરોડની થઈ છે.
AMTS બસમાં તેની બહાર લટકીને મુસાફરી કરી રહ્યા
જોકે કોરોના ગાઈડલાઇન મુજબ હવે રોડ પર એએમટીએસ અને બીઆરટીએસ બસ શહેરમાં દોડતી નથી. રવિવાર સિવાયના દિવસોમાં આ બંને બસ સર્વિસમાં પેસેન્જરની ગીરદી જોવા મળે છે એટલે બસમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી. પેસેન્જર કોરોનાની સેફ્ટી જાળવવા રખાયેલી રિઝર્વ સીટ પર તો બેસે છે, પરંતુ બસમાં ઊભા કે એએમટીએસ બસમાં તેની બહાર લટકીને મુસાફરી કરી રહ્યા છે. જોકે સંબંધિત સત્તાવાળાઓ કોરોના ગાઇડલાઇનના બસમાં લીરેલીરા ઊડતા હોવાના મામલે વાકેફ હોવા છતાં આંખ આડા કાન કરતા હોઈ બસની મુસાફરી કોરોનાકાળમાં પણ પેસેન્જર માટે જોખમી બની છે.