ગત તા.૧૮ જૂને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની નવેેમ્બર-ર૦ર૦માં યોજાનારી સામાન્ય ચૂંટણીની તૈયારીના ભાગરૂપે શહેરના હદ વિસ્તારમાં બોપલ-ઘુમા સહિત ૧૧ ગામનો સમાવેશ કરાયો હતો. હવે અમદાવાદનો ૪૬૬ કિ.મી.નો હદ વિસ્તાર વધીને પ૬૬ ચો.કિ.મી.નો થયો છે. જ્યારે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા ગત તા.૩ સપ્ટેમ્બરે બોપલ-ઘુમા નગરપાલિકા માટે નવો વોર્ડ બનાવવાના બદલે તેને ત્રણ ભાગમાં વહેંચી કઢાયું છે.
બોપલ ગામ અને તેની આસપાસનો વિસ્તાર બોડકદેવ વોર્ડ અને જોધપુર વોર્ડમાં તો ઘુમા ગામ અને તેની આસપાસનો વિસ્તાર સરખેજ વોર્ડમાં ભેળવી દેવાયો છે. આમ, બોપલ-ઘુમાની જૂની નગરપાલિકાને વિધિવત્ રીતે ત્રણ વોર્ડમાં ભેળવી દેવાઇ છે. આ સમગ્ર વિસ્તાર અમદાવાદ કોર્પોરેશનને આધીન થવાથી સ્વાભાવિકપણે કોર્પોરેશનની સુવિધા તેમજ કરભારણ આવ્યું છે, જોકે બોપલ-ઘુમાવાસીઓ માટે આનંદના સમાચાર એ છે કે તંત્રનો સૌથી વધુ વિવાદાસ્પદ યુઝર્સ ચાર્જ તેમણે એપ્રિલ-ર૦ર૧થી ભરવો પડશે. અત્યારથી યુઝર્સ ચાર્જનું મીટર ચાલુ નહીં થાય.
મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા ઘરે ઘરે કચરો એકઠો કરી તેને પિરાણા ડમ્પસાઇટ ખાતે ઠાલવવાના ડોર ટુ ડોર પ્રોજેક્ટમાં અનેક પ્રકારનાં ધાંધિયાં, ગેરરીતિઓ થતી હોવા છતાં આ માટે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે લાલ આંખ કરવાના બદલે નાગરિકો પર યુઝર્સ ચાર્જ (સફાઇ વેરો) ઠોકી બેસાડ્યો છે. ભ્રષ્ટાચારમાં શિરમોર ગણાતા અને કચરામાંથી કંચન પેદા કરવાના નિતનવા કીમીયા શોધી કાઢનાર મ્યુનિ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સામે પણ તંત્ર ડોર ટુ ડોરની વ્યાપક અનિયમતતા અને ભીનો-સૂકો કચરો છૂટો પાડવાની પાંગળી વ્યવસ્થા બદલ કડક હાથે કામ લેેતું નથી.
આના બદલે ગત તા.૧ ઓકટોબર, ર૦૧૮થી અમલમાં મુકાયેલા યુઝર્સ ચાર્જથી રૂ.૧૦૦ કરોડનો કરબોજ નાગરિકો પર લદાયો છે, જેમાં ઘરદીઠ રોજનો એક રૂપિયો અને ઓફિસ-દુકાનદીઠ રૂ.બે વસૂલાઇ રહ્યા છે. પ્રોપર્ટી ટેક્સના બિલમાં જ વર્ષનો યુઝર્સ ચાર્જ ઘર માટે રૂ.૩૬પ અને ઓફિસ-દુકાન માટે રૂ.૭૩૦ ઉમેરાઇને આવે છે, પરંતુ બોપલ-ઘુમામાં નગરપાલિકાએ ચાલુ નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧ના પ્રોપર્ટી ટેક્સબિલનું વિતરણ કર્યું હોઇ મ્યુનિ. તંત્રના પ્રોપર્ટી ટેક્સબિલનું વિતરણ આ વર્ષે કરાશે નહીં.
આગામી નાણાકીય વર્ષ ર૦ર૧-રરથી જ બોપલ-ઘુમાવાસીઓને મ્યુનિ. કોર્પોરેશનનાં પ્રોપર્ટી ટેકસબિલ મળતાં થશે અને તે બિલથી યુઝર્સ ચાર્જનું ઉઘરાણું ચાલુ થશે એટલે કે જૂન-ર૦ર૦ પછીના સમયગાળાનો યુઝર્સ ચાર્જ ચૂકવવો નહીં પડે. આનાથી બોપલ-ઘુમાના ૪પ,૦૦૦ જેટલા કરદાતાને લાભ થશે.
જ્યારે કઠવાડા ગ્રામ પંચાયતને નિકોલ વોર્ડ તેમજ ચિલોડા-નરોડા સિટીને સરદારનગર વોર્ડમાં ભેળવી દેવાયાં છે. આ બે મહત્ત્વના ગ્રામ પંચાયત વિસ્તારમાં દિવાળી બાદ મ્યુનિ. તંત્ર દ્વારા પ્રોપર્ટી ટેકસનાં બિલનું વિતરણ કરાશે. કઠવાડામાં ૧૪ હજાર અને ચિલોડામાં ૮૦૦૦ કરદાતા છે.
અત્યારે મ્યુનિ. પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા કરદાતાઓ પાસેથી મિલકતની આકારણી બાબતે વાંધા-સૂચન મંગાવાયાં છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ એટલે કે ચાલુ મહિનાના અંતથી શહેરમાં પ્રોપર્ટી ટેકસનાં બિલનું વિતરણ શરૂ કરાશે, જોકે દિક્ષણ ઝોનમાં ચતુવર્ષીય આકારણીનું કામ કોરોના મહામારીના કારણે વિલંબમાં મુકાયું હોઇ આ ઝોનમાં એક મહિના બાદ ટેકસબિલ વહેંચાશે.
શહેરમાં એક અંદાજ મુજબ ૧૬.પ૦ લાખ રહેણાક અને પાંચ લાખ બિનરહેણાક મળીને કુલ ર૧.પ૦ લાખ મિલકત છે. દરમિયાન મ્યુનિ. તિજોરીને ચાલુ નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧માં પ્રોપર્ટી ટેક્સની આવક પેટે રૂ.પ૪૪.ર૬ કરોડ મળ્યા છે, જે કોરોના મહામારીના પગલે ઠપ થયેલા નોકરી-ધંધાના કારણે ગત વર્ષે આ સમયગાળામાં મળેલા રૂ.૬૭પ.૭૧ કરોડ કરતાં રૂ.૩૧.૪પ કરોડ જેટલા ઓછા મળ્યા છે.