કોરોના સંકટ વચ્ચે પણ વિશ્વ પ્રસિદ્ધ અમદાવાદની ભગવાન જગન્નાથની રથયાત્રા 23મી જુનને અષાઢી બિજના શુભ દિને યોજાશે. પરંતુ આ વખતે માત્ર ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને ભાઈ બદભદ્ર સાથે ત્રણ રથમાં જ નીકળશે. ત્રણ રથ સિવાય કોઈ પણ ભક્તો કે કોઈ અન્ય વાહન રથયાત્રામાં નહીં જોડાઈ.
રથયાત્રામાં રથ ખેંચનાર સિવાય કોઈ પણ વ્યક્તિ નહી જોડાય
અખાડા અને ભજન મંડળી રથયાત્રામાં નહી જોડાય
જગન્નાથજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓની મળેલી બેઠકમાં આજે નિર્ણય લેવાયો છે કે 23મી જૂને ભગવાન જગન્નાથથી 143મી રથયાત્રા સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે નીકળશે. વિગતે વાત કરતાં ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું કે દર વખતની જેવી ભવ્ય રથયાત્રા આ વખતે નહીં યોજાય. ભજન મંડળીઓ, ટ્રક, ઝાંખી કરાવતાં વાહનો રથયાત્રામાં જોડાશે નહીં. માત્ર એક - બે હાથી (ગજરાજ) જોડાશે. ભગવાનના ત્રણ રથ સિવાય કોઈ જ વાહન જોડાશે નહીં, અન્ય ભક્તો પણ નહીં જોડાય. માત્ર મંદિરના પુજારીઓ અને પરંપરા મુજબના રથ હંકારનાર ખલાસીઓ જ રથયાત્રામાં હશે.
અષાઢી બીજની રથયાત્રા પૂર્વે યોજાનાર જળયાત્રા 5મી જૂને યોજાશે. પરંતુ તેમાં શોભાયાત્રા નહીં હોય. જેમાં પુજારી -ટ્રસ્ટીઓ જ હશે. સાબરમતી નદીમાંથી સાદગીપૂર્ણ જળવિધી કરી પુજારીઓ મંદિર પરત ફરશે. આ ઉપરાંત 21 જૂને નેત્રોત્સવ વિધિ યોજાશે. જો કે તે દિવસે સૂર્યગ્રહણ હોવાથી બપોરે 4 વાગ્યા બાદ પુજારીઓ અને મંહતની હાજરીમાં નેત્રોત્સવ વિધિ સંપન્ન થશે.
રથયાત્રા વખતે સરસપુરમાં મામેરું કોણ કરશે અને કેટલાં લોકો મામેરામાં આવશે એ મુદ્દે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. અગાઉ એક ચર્ચા મુજબ આખું સરસપુર ગામ મામેરિયા તરીકે જોડાઈ શકે છે. જો નિશ્ચિત વ્યક્તિ આ વખતે ભગવાનનું મામેરું કરવાના નથી.
હાલમાં ભગવાનના ત્રણેય રથનું રંગરોગાન ખલાસી ભાઈઓ દ્વારા શરૂ કરાયું છે. જોકે રથને વિશેષ શણગાર માટેની વ્યવસ્થા કરાઈ નથી. 30 જટેલાં ખલાસી ભાઈઓ જ પરંપરા મુજબ રથ ચલાવશે. અન્ય ખલાસી ભાઈઓ રથયાત્રામાં જોડાશે કે કેમ તે અંગે આગળ નિર્ણય લેવાશે. આ ઉપરાંત મહેન્દ્ર ઝાના કહેવા મુજબ રથયાત્રા અંગે લેવાયેલાં આ તમામ નિર્ણયો સરકારને મોકલવામાં આવશે. જો કોઈ ફેરફાર કરવાની વાત આવશે તો સરકારના માર્ગદર્શન મુજબ આગળ વધીશું.