રાજ્ય સરકારની ફાટકમુકત ગુજરાત યોજના હેઠળ ‘ફાટકમુકત અમદાવાદ’નો સમાવેશ કરાયો છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા શહેરમાં ‘ફાટકમુકત અમદાવાદ’ અંતર્ગત કુલ 15 રેલવે ઓવરબ્રિજ-અન્ડરપાસને મંજૂરી અપાઇ હોઇ તે માટે રૂા. 151.79 કરોડ મંજૂર કરાયા છે, પરંતુ આ પ્રોજેકટમાં એક અથવા બીજા પ્રકારના પ્રશ્નો હોઇ સમગ્ર ઓવરબ્રિજ અને અન્ડરપાસને ધમધમતા થવા હજુ પાંચ વર્ષ રાહ જોવી પડશે.
રાજ્ય સરકાર દ્વારા હજુ રોડની સોંપણી મ્યુનિ. તંત્રને કરાઇ નથી
રાજ્ય સરકારે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મંજૂર કરેલા કુલ પાંચ ઓવરબ્રિજ પ્રોજેકટમાં 50 ટકા રકમ આપવાની સંમતિ આપી છે. અન્ય 50 ટકા રકમ મ્યુનિ. તંત્ર આપશે. જેમાં ઇસનપુરના પુનિતનગરમાં ઓવરબ્રિજના અંદાજિત ખર્ચ રૂા. 31.05 કરોડમાં રાજ્ય સરકારનો હિસ્સો રૂા. 15.56 કરોડનો છે. જોકે આ પ્રોજેકટમાં દુકાનોનાં દબાણની સમસ્યા છે. મણિનગરના રેલવે ક્રોસિંગ પરના પ્રોજેકટને સાકાર કરવા અત્યારના 12થી 18 મીટર પહોળા રસ્તાને તંત્રે 21 મીટર પહોળો કરવાનો રહેશે. આ પ્રોજકટનો કુલ ખર્ચ રૂા. 45 કરોડ હોઇ રાજ્ય સરકાર દ્વારા રૂા. 22.50 કરોડ અપાશે.
રાજ્ય સરકાર દ્વારા હજુ રોડની સોંપણી મ્યુનિ. તંત્રને કરાઇ નથી
નરોડા જીઆઇડીસી ઓવરબ્રિજની જવાબદારી નરોડા જીઆઇડીસી (GIDC )ની છે. જ્યારે જગતપુરનો ગોદરેજ સિટી ઓવરબ્રિજ પીપીપી ધોરણનો લાંબા સમયથી ચર્ચાતો પ્રોજેકટ છે. આમાં ગોદરેજ સિટીએ 25 ટકા પ્રોજેકટ ખર્ચ આપવાનો થાય છે. એસજી હાઇવે પરના ઊજાલા સર્કલના રેલવે ક્રોસિંગ નં.28 પરના ઓવરબ્રિજ પ્રોજેકટમાં રૂા. 31.06 કરોડ રાજ્ય સરકાર આપશે. આ પ્રોજેકટનો કુલ ખર્ચ રૂા. 62.11 કરોડનો છે. જોકે રાજ્ય સરકાર દ્વારા હજુ રોડની સોંપણી મ્યુનિ. તંત્રને કરાઇ નથી.
મનપા અને રાજ્યસરકારની 50:50 ટકાની ભાગીદારી
મ્યુનિ. બ્રિજ પ્રોજેકટ વિભાગનાં સૂત્રો કહે છે કે 10 અન્ડરપાસના પ્રોજેકટમાં પણ રાજ્ય સરકાર અને મ્યુનિ. તંત્ર વચ્ચે 50:50 ટકાની ભાગીદારી રહેશે. જોકે સાબરમતી ડી કેબિન રેલવેના પ્રિમાઇસીસમાં હઇ તેમાં રેલવે તંત્ર અને પાલડીનો જલારામ મંદિર અન્ડરપાસ પ્રોજેકટ મેટ્રો કંપની પાર પાડશે. જોકે આ બંને પ્રોજેકટમાં રાજ્ય સરકાર અને મ્યુનિ. તંત્ર આર્થિક સહાયતા પૂરી પાડશે.
અન્ડર પ્લાન છે પ્લાનિંગમાં
નારણપુરાના અગિયારશ મંદિર અન્ડરપાસમાં ટેન્ડર નીકળી ચૂકયાં છે. ચાંદખેડાના ઉમાભવાની અને આઇઓસી અન્ડરપાસ પ્રોજેકટને રેલવે તંત્રની એનઓસી મળી ગઇ છે. જ્યારે ત્રાગડના છારોડી અન્ડરપાસ પ્રોજેકટમાં શાર્પ ટર્નિંગનો પ્રશ્ન છે. ગોતાના વંદે માતરમમાં હયાત સ્થળથી 300 મીટર આગળ અન્ડરપાસના નિર્માણની રેલવે તંત્રની એનઓસી મળી ગઇ છે.
થલતેજના હેબતપુર અન્ડરપાસ પ્રોજેકટમાં હજુ સુધી ટીપીનો રોડ મળ્યો નથી. જેટલા મીટર પહોળાઇનો ટીપીનો રોડ મળશે તેના આધારે અન્ડરપાસની પહોળાઇ નક્કી કરાશે. એ જે હોય તે રાજ્યના શહેરી વિસ્તારોમાં કુલ 37 ઓવરબ્રિજ-અન્ડરપાસ બનાવવાના હોઇ તેમાંથી એકલા અમદાવાદના કુલ 15 પ્રોજેકટને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. એટલે ફાટકમુકત ગુજરાત અભિયાન અમદાવાદીઓ માટે અત્યારે તો લાભદાયી બન્યું છે.