મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છાસવારે એક અથવા બીજા પ્રકારનો ભ્રષ્ટાચાર ગાજતો રહે છે. 'કોઠા' તરીકે ઓળખાતા મ્યુનિ. મુખ્યાલયમાં કૌભાંડનો કાદવ તો અવારનવાર બહાર આવીને સતત વિવાદ ઊભો કરે છે. જોકે આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનર જેવા ક્લાસ વન શ્રેણીના ઉચ્ચ અધિકારીની ભરતીના મામલે એક વર્ષ બાદ પણ નવા નવા વિવાદ પ્રકાશમાં આવે તે તો કલ્પના બહારની બાબત છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરી ગાજ્યો ભ્રષ્ટાચાર
તમામ નવી ભરતી-બઢતીમાં ઉઠ્યા સવાલ
જાતિનાં પ્રમાણપત્રની ખરાઇનો મામલો ચર્ચાસ્પદ બન્યો
દેશના ઉત્તર-પૂર્વના કોઇ રાજ્ય કરતાં પણ વધુ વાર્ષિક બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વહીવટી તંત્રની આમાં ઘોર બેદરકારી દર્શાવતું વધુ એક ઉદાહરણ અત્યારે ચર્ચાસ્પદ બન્યું છે. એક વર્ષ બાદ તંત્ર હવે એક આસિ. મ્યુનિ. કમિશનરનાં જાતિના પ્રમાણપત્રની ખરાઇ કરવા નીકળ્યું છે.
તમામ નવી ભરતી-બઢતીમાં ઉઠ્યા સવાલ
તંત્રની સામાન્ય આંગણવાડીમાં તેડાગરની ભરતી હોય કે પછી મ્યુનિ. સંચાલિત હોસ્પિટલ કે અર્બન હેલ્થ સેન્ટરમાં મેડિકલ ઓફિસરની નિમણૂક હોય કે પછી મ્યુનિ. તંત્રમાં બઢતી આધારિત જગ્યામાં ગોઠવાઇ જવું હોય પરંતુ તમામમાં વહાલાં-દવલાંની નીતિ ઉપરાંત આર્થિક લેતી-દેતીના પણ ગંભીર આક્ષેપો સમયાંતરે ઊઠતા રહ્યા છે. એટલે કે તમામ નવી ભરતી-બઢતી સો ટકા તેના માપદંડ આધારિત કદાચ હોતી નથી.
જાતિનાં પ્રમાણપત્રની ખરાઇનો મામલો ચર્ચાસ્પદ બન્યો
હવે એક આસિ. મ્યુનિ. કમિશનરની બોગસ માર્કશીટ બાદ વધુ એક આસિ. મ્યુનિસિપલ કમિશનરની હવે જાતિનાં પ્રમાણપત્રની ખરાઇનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે. દિક્ષણ ઝોનના ખોખરા અને ઇન્દ્રપુરી વોર્ડના આસિ. મ્યુનિ. કમિશનર નરેન્દ્ર ગમારાનું જાતિનું પ્રમાણપત્ર વિવાદાસ્પદ બન્યું છે. ખુદ મ્યુનિ. કમિશનર મૂકેશકુમારે નરેન્દ્ર ગમારાનાં જાતિનાં પ્રમાણપત્ર અંગે ગંભીરતા દાખવી છે.
આ ઉચ્ચ અધિકારીએ અનુસૂચિત જનજાતિના કવોટા હેઠળ આસિ. મ્યુનિ. કમિશનર તરીકેની નિમણૂક મેળવવા ગત તા.ર૪ જુલાઇ ર૦૧૭નું હિંદુ-ભરવાડ જાતિનું પ્રમાણપત્ર તંત્રમાં રજૂ કર્યું હતું. આ પ્રમાણપત્ર નંબર ૧૩રર૪/ર૦૧૭ના આધાર તેમને ગત તા.૪ નવેમ્બર ર૦૧૯એ મ્યુનિ. કોર્પોરેશનમાં આસિ. મ્યુનિ. કમિશનર તરીકેની નિમણૂક અપાઇ હતી.
જોકે નરેન્દ્ર ગમારાનો પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના મામલતદાર દ્વારા ઇશ્યૂ કરાયેલા જાતિનાં પ્રમાણપત્રની હવે તંત્ર દ્વારા ખરાઇ કરાઇ રહી છે. આ માટે મ્યુનિ. કમિશનર મૂકેશકુમારે પોતે ગત તા.ર૪ સપ્ટેમ્બર, ર૦ર૦એ રાજ્ય સરકારના આદિજાતિ વિભાગના સચિવને પત્ર લખ્યો છે. જેમાં મ્યુનિ. કમિશનર મૂકેશકુમાર દ્વારા આ બાબત આસિ. મ્યુનિ. કમિશનરની ભરતી સંબંધિત હોઇ નરેન્દ્ર ગમારાએ રજૂ કરેલા અનુસૂચિત જનજાતિનાં પ્રમાણપત્ર નં.૧૩રર૪/ર૦૧૭ને અનુસૂચિત જનજાતિ અંગેના ધારાધોરણો તેમજ નિયમો અનુસાર ઇશ્યૂ કરવામાં આવ્યું છે કે કેમ? તેની ખરાઇ આદિજાતિ વિકાસ વિભાગથી અગ્રીમતાના ધોરણે કરાવી આપવાની વિનંતી આ વિભાગના સચિવને કરતાં મ્યુનિ. વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
આમ તો આસિ. મ્યુનિ. કમિશનરની ભરતીનો મામલો શરૂઆતથી જ વિવાદાસ્પદ રહ્યો છે. મ્યુનિ. સામાન્ય સભામાં વિપક્ષના નેતા દિનેશ શર્મા તેમજ પૂર્વ નેતા સ્વ.બદરુદ્દીન શેખે નિમણૂકના મામલે મોટા પ્રમાણમાં આર્થિક કૌભાંડ આચરાયું હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા.
આ બંને નેતાઓએ તમામ નિમણૂકને પારદર્શી બનાવવા ઉમેદવારના પરિણામ જાહેર કરવાની પણ ઉગ્ર રજૂઆત કરી હતી, પરંતુ આ માગણી કે આર્થિક કૌભાંડના ગંભીર આક્ષેપની અગમ્ય કારણસર ભાજપના શાસકો કે તત્કાલીન કમિશનરે અવગણના કરી હતી. જોકે હવે આસિ. મ્યુનિ. કમિશનર ભરતીના એક પછી એક છીંડાં બહાર આવી રહ્યાં છે. જોકે એક વર્ષે જાતિના પ્રમાણપત્રની ખરાઇ થવાની હોઇ મ્યુનિ. તંત્ર લોકોની નજરે વધુ હાસ્યાસ્પદ
બનશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી.