શહેરના ગાંધીરોડ પાસે આવેલા મારુતિ જ્વેલર્સમાં કામ કરતો બંગાળી કારીગર રૂ. ૧૧ લાખનું સોનું લઈ ફરાર થઇ ગયો હોવાની ફરિયાદ કાલુપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. વેપારીએ તેમની રીતે કારીગરની ભાળ મેળવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તે ન મળી આવતાં પોલીસ ફરિયાદ કરી છે.
સી જી રોડ વિસ્તારમાં આવેલ તેજલ એપાર્ટમેન્ટમાં રહેતા અને ગાંધીરોડ પર આવેલ મારુતિ જ્વેલર્સ નામની દુકાન ધરાવતા નરેન્દ્રભાઈ સોનીએ પોતાની દુકાનમાં કામ કરતા બંગાળી કારીગર સિદ્ધેશ્વર અશોક મૈતી વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. મૂળ પશ્ચિમ બંગાળના મહ્તબપૂરનો રહેવાસી સિદ્ધેશ્વર ત્યાં કારીગર તરીકે નોકરી કરતો હતો.
તા.૭થી ૩૧ જુલાઈ સુધીમાં નરેન્દ્રભાઈ સોનીએ કારીગર સિદ્ધેશ્વરને કુલ ૧૧૩૮ ગ્રામ જેટલું સોનું દાગીના બનાવવા માટે આપ્યું હતું. તારીખ ૩ ઓગસ્ટના રોજ સિદ્ધેશ્વરે કુલ ૮૯૮ ગ્રામ સોનાના દાગીના બનાવીને નરેન્દ્રભાઈને આપ્યા હતા અને બાકીનું ૨૪૦ ગ્રામ સોનુ તેમને આપ્યું ન હતું, અને બીજા દિવસેથી કારીગરે નોકરી પર આવવાનું બંધ કરી મોબાઈલ ફોન પર બંધ કરી દીધો હતો. એટલે કે, રૂ.૧૧ લાખની કિંમતનું સોનું લઈને નાસી ગયો હતો.
નરેન્દ્રભાઈએ તેની તપાસ કરતાં તે પશ્ચિમ બંગાળનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. અને નરેન્દ્રભાઈ તેમની રીતે કારીગરની ભાળ મેળવવા પ્રયાસ કર્યા હતા પરંતુ તે આજ સુધી મળી આવ્યો ન હતો. આજ સુધી તે મળી ન આવતાં નરેન્દ્રભાઈ અંતે કાલુપરુ પોલીસ સ્ટેશનમાં કારીગર વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. કાલુપુર પોલીસે ગુનો નોંધી કારીગરની શોધખોળ શરૂ કરી છે.