સરકાર સ્ટંટ કરે છે અને ભોગ સામાન્ય નાગરિકો બને છે. પશુ નિયંત્રણ કાયદો લાવવાની પહેલા વાતો અને પછી કાયદો લાવ્યા બાદ રદ કરી વાહવાહી વહોરવાના પ્રયાસો વચ્ચે આજે રાજ્યમાં 2 ઘટના બની છે.
શહેરોમાં રખડતા ઢોરનો આતંક યથાવત્
અમદાવાદમાં પશુની અડફેટે આવતા યુવતીને થયા 6 ફેક્ચર
વડોદરામાં ગાયે વિદ્યાર્થી અડફેટે લેતાં ફૂટી આંખ
શહેરીજનોને નડતી સૌથી મોટી સમસ્યામાંથી એક છે રખડતા પશુઓની સમસ્યા. વડોદરામાં આજે રખડતા પશુને કારણે જ એક વિદ્યાર્થીને આંખ ગુમાવી પડી. તો અમદાવાદની એક યુવતીને 6 ફેક્ચર થયા આ બંને કિસ્સામાં જવાબદાર માત્ર રખડતા પશુઓ જ છે. આપણા રાજ્યમાં રખડતા પશુઓ પર નિયંત્રણ લાવવા બિલ બનાવ્યું, પસાર પણ થયું પણ માલધારી સમાજના વિરોધને કારણે કાયદો લાગુ કરતા અટકાવાયો છે. શહેરીજનો માને છે કે જો બિલ લાગુ થયુ હોત, તો રખડતા પશુઓની સમસ્યાથી ઘણા અંશે રાહત મળી હોત. પશુમાલિકોની નિષ્કાળજી, રખડતા પશુને પકડવામાં નિર્ભર તંત્રને કારણે અનેક નિર્દોષ શહેરજનો પશુ હુમલાના ભોગ બની રહ્યા છે.
અમદાવાદમાં પશુની અડફેટે આવતા યુવતીને 6 ફેક્ચર અને 15 ટાંકા આવ્યા
અમદાવાદમાં રખડતા પશુઓનો આતંક યથાવત્ છે. શેફ્રોન બિલ્ડીંગ સુરભી ફ્લેટ નજીક રોડ પર પશુઓનો ત્રાસ છે. યુવતી નિકોલમાં રખડતા પશુના આતંકનો ભોગ બની છે. પશુની અડફેટે આવતા યુવતીને 6 ફેક્ચર થયા છે. એક્ટિવા સવાર યુવતી પર રખડતા પશુએ હુમલો કર્યો હતો. ગંભીર ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી. યુવતીને શરીરમાં અલગ અલગ 6 જગ્યાએ ફેક્ચર થયુ છે. તો 15 જેટલા શરીરમાં ટાંકા પણ આવ્યા છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં તંત્રના અધિકારીઓ સામે રોષ જોવા મળી રહ્યો છે. તંત્રના અધિકારીઓ પર ભ્રષ્ટાચાર અને હપ્તાખોરીના આક્ષેપ કર્યા છે. MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રખડતા પશુ મામલે મનપાની કામગીરીને નિષ્ફળ ગણાવી છે. વિદ્યાર્થીઓએ રખડતા પશુ મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
વડોદરામાં ગાયે વિદ્યાર્થી અડફેટે લેતાં ફૂટી આંખ
વડોદરામાં રખડતા પશુના આતંકથી વિદ્યાર્થીએ આંખ ગુમાવી હોવાનું સામે આવ્યું છે. બુધવારે સાંજે વાઘોડિયા રોડ પર મોપેડ લઈ જઈ રહેલા પોલિટેક્નિકના વિદ્યાર્થી હેનીલને ગાયે ભેટી મારતાં શિંગડું આંખમાં વાગ્યું હતું. રખડતા ઢોરે એવી રીતે વિદ્યાર્થીને ઉછાડીને ફેંક્યો કે, તેનો જીવ પણ જઈ શકતો હતો. ગાયનું શિંગડુ વાગતા હેનીલની આંખ ફૂટી ગઈ હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. પ્રશાસન દ્વારા માત્ર 15 દિવસમાં જ રખડતા ઢોરના ત્રાસને દૂર કરવાની જાહેરાત અને યુદ્ધના ધોરણે કરેલી કામગીરી બાદ પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળતા લોકો રોષે ભરાયા છે.
સળગતા સવાલ?
ત્યારે અહી સવાલ એ છે કે કેમ સરકાર પશુમાલિકો સામે નક્કર પગલા નથી લેતા?ક્યા સુધી શહેરીજનો રખડતા પશુઓના હુમલાનો ભોગ બનતા રહેશે? આ પીડિત વિદ્યાર્થી સામે તંત્રના સત્તાધીશો 'આંખ' મીલાવી શકશે? રખડતા પશુઓના ત્રાસથી વડોદરા વાસીઓને કોણ બચાવશે? વિદ્યાર્થીને થયેલા આંખના નુકસાન માટે કોણ જવાબદાર? વિદ્યાર્થીને થયેલા શારીરિક નુકસાનનું વળતર કોણ આપશે? આશાસ્પદ યુવાનના ભવિષ્ય સાથે ચેડા થયા હવે કોણ જવાબદાર? આ લાચાર માતા-પિતાને કોણ જવાબ આપશે? હજુ કેટલા અકસ્માતની રાહ જોવે છે નિષ્ઠુર તંત્ર? હજુ કેટલા શહેરીજનો રખડતા ઢોરના આતંકનો ભોગ બનશે? રખડતા ઢોરનો આતંક રોકવામાં તંત્ર કેમ નિષ્ફળ?