વરસાદી ઋતુને પગલે અમદાવાદ-સુરતમા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા સાથે સ્વાઇન ફ્લૂનો ખતરો પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે.
અમદાવાદમાં બાળકોમાં વધ્યો સ્વાઇન ફ્લૂનો ખતરો
સોલા સિવિલમાં એક જ દિવસમાં 4 બાળકોને દાખલ કરાયા
સુરતમા સ્વાઇન ફ્લૂના 23 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ
હાલ ચોમાસાની સીઝનમા ઠેર-ઠેર પાણી ભરાયેલા હોવાથી મચ્છર ઉત્પતિ થઇ રહી છે. જેને લઇને અમદાવાદ સુરત સહીતના શહેરોમા રોગચાળાએ માથું ઊંચક્યું છે.ને અમદાવાદ-સુરતમા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોની સાથે સ્વાઇન ફ્લૂના કેસ પણ સતત વધતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે.ચોમાસાની સિઝનમાં રોગચાળો વધુ વકરે નહીં તે માટે અમદાવાદ અને સુરત મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.
સુરતમા 10 દિવસમાં ડેન્ગ્યુના 3, મેલેરિયાના 22, ગેસ્ટ્રોના 32 કેસ
ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને વકારતો અટકાવવા અધિકારીઓ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને શહેરમાં અનેક જગ્યાઓ પર તપાસમાં હાથ ધરવામાં આવી રહી છે. તો બીજી તરફ રોગચાળો વકરતા મનપા સંચાલિત હોસ્પિટલોમાં પણ તમામ સુવિધાઓ ઉભી કરી દેવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયેલા બીમારીના આંકડાની વાત કરવામાં આવે તો જુલાઈ મહિનામાં ડેન્ગ્યુના 11, મેલેરિયાના 53, ટાઈફોડના 85 અને ગેસ્ટ્રોના 162 કેસ નોંધાયા હતા. ઓગસ્ટ મહિનાના 10 દિવસમાં ડેન્ગ્યુના 3, મેલેરિયાના 22, ગેસ્ટ્રોના 32 અને ટાઈફોડના 23 કેસ નોંધાયા છે.
સુરતમા સ્વાઈન ફ્લૂના 83 કેસ, 4 દર્દીના મોત
તો બીજી તરફ કોરોનાના કહેર વચ્ચે સુરત શહેરમાં સ્વાઈન ફ્લૂના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં સ્વાઈન ફ્લૂના 83 કેસો નોંધાઈ ચૂક્યા છે અને સારવાર દરમિયાન 4 દર્દીના મોત થયા છે. આ 4 દર્દી સિંગણપુર, વેલંજા, નાના વરાછા અને પર્વત પાટિયા વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તો આ ચારેય દર્દીઓની ઉંમર 50 વર્ષ કરતાં વધુ હોવાનું પણ સામે આવ્યું છે. વધુમા હાલ 23 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, કોમોરબીડ, ફેફસાની બીમારી કે, પછી 50 વર્ષ કરતાં વધુ ઉંમરના લોકોને 2થી 3 દિવસથી જો તાવ રહેતો હોય તો તેમને પોતાના ઘર નજીક આવેલા સુરત મહાનગરપાલિકાના અર્બન હેલ્થ સેન્ટર પર જઈને સ્વાઈન ફ્લૂની તપાસ કરાવી જોઈએ.
અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લૂના કેસોમાં વધારો
આ ઉપરાંત અમદાવાદમાં પણ સ્વાઇન ફ્લૂએ કહેર વરતાવવાનું શરૂ કર્યું છે. બાળકોમાં સ્વાઈન ફ્લૂના લક્ષણો જોવા મળતા ચિંતા જન્મી છે. અમદાવાદની સોલા સિવિલમાં હાલ ૩ બાળકોને સ્વાઈન ફ્લૂ હોવાનું સામે આવતા તેમને સારવાર હેઠળ રાખવામા આવ્યા છે. વધુમા અસરવા સિવિલમાં સ્વાઇન ફ્લૂના 2 દર્દી દાખલ છે. તથા સ્વાઈન ફ્લૂના 6 બાળકોમાંથી 3 બાળકોની તબિયત સ્થિર થતાં તેમણે રજા આપવામા આવી છે. હાઈ ફ્લો ઓક્સિજન પર રખાયેલા 10 માસના બાળકની તબિયત સુધારા પર હોવાનું અને તમામ બાળકો 10 વર્ષથી નીચેની વયના હોવાનું જાહેર થયું છે. બીજી તરફ ચોમાસાની ઋતુને લઇને રોગચાળો વકરતો હોવાથી અમદાવાદમાં ઝાડા ઉલ્ટીના 312 અને ટાઈફોઈડના 102 કેસ નોંધાયા છે.