દેવા માફી મુદ્દે અમદાવાદ જિલ્લાના સાણંદના ખેડૂતોએ રોષ ઠાલવ્યો, ખેડૂતોએ કહ્યું કે ઉદ્યોગોને સબસીડી તો ખેડૂતોને સહાય કેમ નહીં, સરકાર ટેકાના ભાવે ખરીદી કરતી નથી
દેવા માફી મુદ્દે અમદાવાદ જિલ્લાના ખેડૂતોએ ઠાલવ્યો રોષ
ઉદ્યોગોને સબસીડી તો ખેડૂતોને સહાય કેમ નહીં: ખેડૂતો
પંજાબ, રાજસ્થાનમાં દેવુ માફ થાય તો ગુજરાતમાં કેમ નહીં: ખેડૂતો
કોરોનાની મહામારીમાં પડી ભાંગેલા ઉદ્યોગોને બેઠા કરવા સરકાર એક બાદ એક નિર્ણયો લઈ. સબસીડીઓની લ્હાણી કરી રહી છે. મદદના નામે કરોડો રૂપિયાની લોનો આપી રહી છે. ત્યારે હંમેશા એકી ટશે રાહતની રાહ જોતો ખેડૂત હજૂ પણ સહાયની રાહ જ જોઈ રહ્યો છે. ખેડૂતોની વેદના ખેડૂત જ જાણે. સરકાર હજુ આ વેદનાથી જાણે અજાણ હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતોના નામે વોટ માંગતી સરકારો હવે ખેડૂતોને નજર અંદાજ કરી રહી છે. પણ બસ હવે.. ખેડૂતોએ પણ આર પારની લડાઈ માટે મન મક્કમ કરી લીધૂ છે.
ખેડૂતોની હૈયા વરાળ..!
દેવા માફી મુદ્દે અમદાવાદ જિલ્લાના સાણંદના ખેડૂતોએ રોષ ઠાલવ્યો છે. ખેડૂતોએ કહ્યું કે ઉદ્યોગોને સબસીડી તો ખેડૂતોને સહાય કેમ નહીં. સરકાર ટેકાના ભાવે ખરીદી કરતી નથી. મોંઘવારી વધી પરંતુ ખેડૂતોના દેવા માફ ન થયા. અત્યારે રાજ્યના ખેડૂતો બિયારણ ખરીદે કે દેવું ભરે. પંજાબ, રાજસ્થાનમાં દેવુ માફ થાય તો ગુજરાતમાં કેમ નહીં. ટેકાના ભાવ માટે કેમ ખેડૂતોએ વલખાં મારવા પડે છે? 2022 સુધી ખેડૂતોની આવક બમણી થવાને બદલે કોરોનાના ભરડામાં આવી ગઈ છે. ખેડૂતોએ પરસેવો પાડી લીધેલા માલ બજારમાં સાવ નજીવી કિંમતે ખરીદાઈ રહ્યો છે. સામે ખેડૂતો પાસેથી લીધેલા માલ પર પ્રોસેસ કરી બજારમાં આસમાની કિંમતે તે જ માલ વેચાઈ રહ્યો છે.
ખેડૂત ન કરગરે તો કરે શું?
નાબાર્ડ (નેશનલ બૅન્ક ફૉર ઍગ્રિકલ્ચર ઍન્ડ રૂરલ ડેવલપમૅન્ટ) દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશભરના ખેડૂતો પર હાલ રૂપિયા 16.8 લાખ કરોડનું દેવું છે. જ્યારે ગુજરાતનો ખેડૂત 90 હજાર કરોડના દેવા નીચે દબાયેલો છે. કોરોનાનો કહેર ખેડૂત પર પણ આફત બની વરસ્યો છે. માલ પરિવહન, મજૂરો અને ઉદ્યોગો બંધ થતાં ખેડૂતોની પરિસ્થિતિ પણ વધુ વિકટ બની છે. હવે તેણે એક જ રાહ છે કે સરકાર ખેડૂતો પર રહેમ નજર કરે અને વધી રહેલા દેવાનો બોજો ખેડૂતો પરથી ઉતારવા રાજસ્થાન અને પંજાબની જેમ ગુજરાતમાં પણ દેવા માફી પર નિર્ણય લેવામાં આવે.
આર યા પારની લડાઈ..!
સરકારનું કહેવું છે કે ખેડૂતોનાં દેવાંની માફી માટે હાલ કોઈ જ યોજના વિચારણા હેઠળ નથી. જગતનો તાતથી હવે વધુ સહન થાય તેમ નથી. અમદાવાદ જીલ્લાના ખેડૂતોએ ઉઠાવેલા અવાજને ગુજરાત ભરના ખેડૂતો ટેકો આપી રહ્યા છે અને ટેકાના ભાવ તેમજ દેવા માંફી માટે સરકાર સામે હાલ તો આજીજી કરી રહ્યા છે.. પણ આવનાર સમયમાં જો સરકાર આ મુદ્દે કોઈ યોગ્ય નિર્ણય કરે તો ગુજરાતના ખેડૂતો પણ દિલ્હીની રાહે સરકાર સામે બાયો ચડાવવા તૈયાર છે..