તાજેતરમાં એએમટીએસના ખાનગી કોન્ટ્રાક્ટર સ્પીડ ચાર્ટર કંપનીના ૧૦૦ જેટલા ડ્રાઇવરોએ પગાર વધારાની માગણીને લઇ વીજિળક હડતાળ પાડી સમગ્ર સંસ્થાને બાનમાં લીધી હતી. એકસામટી ૧૦૦ બસ બંધ થવાથી પેસેન્જર્સ ચાર-ચાર દિવસ સુધી હાલાકીમાં મુકાયા હતા. ખાનગીકરણના રવાડે ચડેલી એએમટીએસ સંસ્થાનો વહીવટ સદંતર કથળી ગયો છે. આનું ઉત્તમ ઉદાહરણ ત્રણ મહિના પહેલાં દર સોમવારે તમામ સ્ટાફે ફરજિયાત બસનો ઉપયોગ કરવાને લગતા પરિપત્રનો ફિયાસ્કો થયો છે.
ઉલ્લેખનીય છે કે, મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા ગત તા.રર માર્ચ, ર૦૧૯ના રોજ ઓફિસ ઓર્ડર નં. ૬૩ બહાર પડાયો હતો તે મુજબ સંસ્થાની આવકમાં વધારો થાય તેમજ શહેરીજનોને વધુ સારી બસ સેવા આપી શકાય તે હેતુસર સંસ્થામાં ફરજ બજાવતા તમામ સ્ટાફ એટલે કે વર્ગ-૧થી ૪ સુધીના કર્મચારી-અધિકારીઓએ દર સોમવારે ઘરેથી ઓફિસ, ઘરેથી પોઇન્ટ, પોઇન્ટથી ઓફિસ કે ઓફિસથી ઘરે, ઓફિસથી પોઇન્ટ, પોઇન્ટથી ઘરે જતી વખતે ફરજિયાત બસનો ઉપયોગ કરવાનો હતો.
આપને જણાવી દઇએ કે, આ તમામ કર્મચારીઓએ બસમાં મુસાફરી કરીને પોતાના નામ-હોદ્દા સાથે જે તે રૂટ નંબર, બસ નંબર, ડ્રાઇવર- કંડકટરનો બેઝ નંબર ક્યાંથી ક્યાં મુસાફરી કરી અને કયા સમયે કરી તેને લગતી પૂર્ણ વિગત તેમજ ડ્રાઇવર-કંડકટર સંબંધિત અન્ય માહિતીનો સર્વે કરી તેનો રિપોર્ટ દર મંગળવારે ખાતાના અધિકારી મારફતે સેન્ટ્રલ ઓફિસમાં જમા કરાવવાનો હતો.
સ્ટાફ દ્વારા ડ્રાઇવર-કંડક્ટર યુનિફોર્મમાં છે કે કેમ, ડ્રાઇવર રફ ડ્રાઇવિંગ કરે છે કે કેમ, ડ્રાઇવર-કંડકટરની વર્તણૂક સારી છે કે કેમ, નિયત સ્ટેન્ડ પર બસ ઊભી રાખે છે કે કેમ, બસની એલઇડી ચાલુ છે કે કેમ, કંડકટર ઇટીએમ મશીનથી પાસ ચેક કરે છે કે કેમ, ડ્રાઇવરે સીટ બેલ્ટ બાંધ્યો છે કે કેમ, બસની સફાઇ થઇ છે કે કેમ વગેરે વિગત વિસ્તૃતપણે નોંધી પોતાની સહી સાથે તેનું મૂલ્યાંકન તંત્રમાં જમા કરાવવાનું હતું.
જોકે એએમટીએસ સંસ્થાની આ સારી કવાયતનો એકંદરે ફિયાસ્કો થયો છે. હવે દર સોમવારે ભાગ્યે જ કોઇ કર્મચારી કે અધિકારી બસમાં પ્રવાસ કરે છે. આ ઉપરાંત ડ્રાઇવર-કંડકટરની કામગીરીનું વિવિધ પ્રકારે મૂલ્યાંકન થતું ન હોઈ ચોમાસાની સિઝન આવી હોવા છતાં નિયત સ્ટેન્ડ પર બસ ઊભી રખાતી નથી. બસની એલઇડી બંધ હોય છે. બસ રૂટ બોર્ડનાં ઠેકાણાં નથી હોતાં જેવી અનિયમિતતા ભરપૂર પ્રમાણમાં રહેતી હોઇ પેસેન્જરના લમણે હાલાકી જ લખાઇ છે.