આખરે જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે ઈ-બસ આખરે અમદાવાદની સડકો પર દોડતી થઈ ગઈ છે. અમદાવાદ સહિત દેશને પ્રદુષણ મુક્ત કરવાની પહેલ પ્રશંસનીય તો છે જ સાથે દેશની નવી પેઢીને સ્વાસ્થ્યનો વારસો આપવાની દિશામાં સરકાનું આ પગલું નજીકનાં ભવિષ્યમાં જ ઉત્તમ પરિણામો આપશે. જ્યારે આજે ઈ-બસને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લીલીઝંડી આપી તો ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે સ્વચ્છ ઊર્જાનો નવો અધ્યાય શરૂ થઈ ગયો. અમદાવાદને નવી ઓળખ આપતી આ ઈ-બસનો જોઈએ આ અહેવાલ.
અમદાવાદ શહેર અગાઉથી જ સ્વચ્છ સિટીનો દરજ્જો ધરાવે છે, વળી આ શહેર સમગ્ર ભારતમાં ઐતિહાસિક વારસો સાચવાનું ગૌરવ ધરાવે છે. ત્યારે અમદાવાદની આ આગવી ઓળખમાં ફરી એક વાર નવું છોગું ઉમેરાયું છે. અમદાવાદ શહેરને સો ટકા પ્રદુષણમુક્ત કરવાની દિશામાં આજથી એક નવા અધ્યાયની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદની સડકો પર હવે ઈલેક્ટ્રીક બેટરીથી ચાલતી ઈ-બસ દોડતી થઈ ગઈ છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઈલેક્ટ્રીક બસોને લીલી ઝંડી આપીને બસનું પ્રસ્થાન કરાવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા ગ્રીન અને ક્લીન જાહેર પરિવહન પૂરું પાડવા માટે અમદાવાદમાં 8 ઈલેક્ટ્રીક બસોનું લોકાર્પણ કરાવમાં આવ્યું. એ સાથે જ હવે 18 ઈલેક્ટ્રીક બસો અમદાવાદનાં જાહેર માર્ગો પર લોક પરિવહન માટે દોડતી થઈ જશે. આ પ્રકારની વાયુ અને ધ્વનિ પ્રદુષણ મુક્ત બસ મેળવાનું સૌભાગ્ય સમગ્ર દેશમાં હાલ તો માત્ર અમદાવાદ શહેરને મળ્યું છે.
કોર્પોરેશન દ્વારા કુલ 300 ઈ-બસ ખરીદવાનું ભવિષ્યમાં આયોજન છે. હાલમાં 50 બસો અમદાવાદને મળી છે જેમાંથી 18 બસમાં સ્વેપ બેટરી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. અન્ય 32 ઈ-બસ ફાસ્ટ ચાર્જર ટેકનોલોજીથી ચાર્જ કરવામાં આવશે. સ્વેપ બેટરી ટેકનોલોજી ધરાવતી બસ એક ફુલ્લી ચાર્જ્ડ બેટરીથી 40 કિમી સુધી ચાલી શકશે. જ્યારે ફાસ્ટ ચાર્જર ટેકનોલોજી ધરાવતી બસ એકવાર ચાર્જ કર્યા બાદ 200 કિમીનું અંતર કાપી શકશે. આ બસને ચાર્જ કરવા માટે રાણીપ ખાતે સ્વેપ સ્ટેશન બનાવવામાં આવ્યું છે જ્યાં રોબોટિક આર્મની મદદથી માત્ર 3થી 4 મિનિટમાં ઓટોમેટિક રીતે બસની બેટરી બદલી શકાશે. સ્વેપ સ્ટેશનમાં એક સાથે કુલ 12 બેટરી ચાર્જ થશે.
આ ઈલેક્ટ્રીક બસ હોવાંથી હવા અને અવાજનાં પ્રદુષણથી મુક્તિ મળશે. ઓટોમેટિક ટ્રાન્સમિશન અને એર સસ્પેશનથી સુસજ્જ એસી ઈલેક્ટ્રીક આ બસમાં મુસાફરી આરામદાયક રહેશે. આ બસોમાં સુરક્ષા માટે ઓટોમેટીક ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેશન સિસ્ટમ છે. જેથી બેટરીમાં આગ લાગવાનાં કારણે કોઈ પણ બનાવને નિવારી શકાય તેમજ ઑટોમેટિક ડોર સેન્સર હોવાથી ખુલ્લો દરવાજો હશે તો બસ આગળ નહીં વધે.
ઈલેક્ટ્રીસિટીથી ચાલતા વાહનો એ પરિવહન ક્ષેત્રે નવા યુગના આંરભનાં સંકેત છે અને આ પ્રકારનાં વાહનો દેશની નવી પેઢીને પ્રદુષણના દૂષણથી મુક્ત રાખશે એ વાત નક્કી છે. પરંતુ વીજળીથી ચાલતા વાહન વધશે તેમ વીજળીની ખપત પણ વધશે અને તે પછી વીજળીનાં વધારે ઉત્પાદનનો પડકાર પણ ઉભો થશે. આ વીજળી ઉત્પન્ન કરવા માટે એક નવાપ્રદુષણની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. હાલમાં દેશમાં વીજળી ઉત્પન્ન કરવા માટે થર્મલપાવર સ્ટેશનો છે. હાઈડ્રોપાવર સ્ટેશનો છે અને પરમાણુ વીજ મથકો પણ છે. જો કે કોલસા આધારિત વીજ મથકોમાં પહેલેથી પ્રદુષણનો ગંભીર પ્રશ્ન છે. ત્યારે ઈલેક્ટ્રીક વાહનો માટે વીજળીની જરૂરિયાતનાં પ્રદુષણમુક્ત સોર્સ શોધવા તે પણ જરૂરી બની જશે.