અમદાવાદમાં આંબાવાડીના ભુદરપુરા વિસ્તારમાં આવેલી રાજપુત સમાજની હોસ્ટેલ પર ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આંબેડકર કોલોની વિસ્તારમાં આવેલી આ હોસ્ટેલમાં ગત રાતે 11 વાગ્યાના સુમારે છોકરીની છેડતીના મુદ્દે ટોળાએ હોસ્ટેલ પર પથ્થરમારો કર્યો હતો. ઉપરાંત પાર્ક કરેલા વાહનોમાં આગચંપી કરી હતી.
સ્થાનિકોનો આક્ષેપ છે કે હોસ્ટેલના યુવકો દ્વારા અસમાજીક પ્રવૃત્તિ આચરવામાં આવે છે. ઉપરાંત સ્થાનિક યુવતીઓની પણ અવારનવાર મશ્કરી કરવામાં આવે છે.
ઘટનાના પગલે પોલીસના મોટા કાફલા સહિત ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે જઈ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરતા તેમના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ટોળાએ ઉગ્ર સ્વરૂપ લેતા પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.
આ ઉપરાંત લાઠીચાર્જ કરી સાત જેટલાં યુવકોની અટકાયત કરી મોડી રાતે પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ સ્થાનિકો એલિસબ્રીજ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને અટકાયત કરેલા યુવાનોને છોડાવવા માટે હોબાળો મચાવી હોસ્ટેલના આરોપી વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધવા માગ કરી હતી. બાદમાં મામલો થાળે પડતાં પોલીસે અટકાયત કરેલા યુવકોને છોડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.