અમદાવાદ સાબરમતી નદી પાસેના વોક વે પરથી એક યુવતીએ પોતાના જન્મના જ દિવસે નદીમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું છે. આપઘાત કરનાર યુવતીનાં 17 જાન્યુઆરીએ છૂટાછેડા લીધા છે ત્યારે છૂટાછેડાના ત્રીજા જ દિવસે યુવતીએ સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે. જો કે આત્મહત્યા કરવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયુ નથી.
શહેરના સાબરમતી રિવરફ્રન્ટના વોક વે પરથી નદીમાં ઝપલાવીને એક યુવતીએ આજે બપોરના સમયે પોતાના જીવનને મોતને વહાલું કરી દીધું છે. ધીકાંટા વિસ્તારમાં રહેતી પારૂલ નામની આ યુવતીનો આજે જન્મ દિવસ હતો. જો કે જન્મદિવસે જ તેણે આપઘાત કરતા ચકચાર મચી ગયો છે. ધીકાંટા વિસ્તારમાં રહેતી પારૂલએ પોણા બે વર્ષ પહેલા આનંદ પરમાર નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યાં અને લગ્નગાળામાં તેઓએ 11 મહીના પહેલા એક પુત્રને જન્મ પણ આપ્યો હતો. જો કે છેલ્લા ઘણા સમયથી પતિ પત્ની વચ્ચે ઘર કંકાસ ચાલી રહ્યો અને અવાર નવાર ઝઘડા થઇ રહ્યા હતાં. જેને પરિણામે પારૂલે આનંદ સાથે 17મી જાન્યુઆરીએ છુટાછેડા લીધા હતાં.
યુવતીના આપઘાત બાદ આનંદ પરમારનું કહેવું છે કે છુટાછેડા બાદ તેમના પુત્રને પોતાની પાસે રાખતા અને પારુલને તેની માતાને સોંપી હતી. જોકે આજે સવારે પણ પારૂલે આનંદને ફોન કર્યો અને મળવા માટે કહ્યું પંરતુ આનંદ કામમાં હોવાથી તેણે પછી વાત કરવા કહી ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. જ્યારે પ્રેમલગ્ન કર્યા બાદ પારૂલના માતા પિતાએ પણ તેની સાથે સંપર્ક રાખ્યો ન હોવાનું જાણવા મળ્યું છે.
સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળ પર પહોચી અને યુવતીના મૃતદેહને પોસ્ટમો્ટમ માટે મોકલી આપ્યો .ત્યારે પોલીસે યુવતીના આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.