હૈદરાબાદની મહિલા ડોક્ટર સાથે સામૃહિક દુષ્કર્મની ઘટનાએ દેશને ફરી હચમચાવી દીધો છે. લોકોનો આક્રોશ અને રોષ વચ્ચે આરોપીઓના એન્કાઉન્ટર થયા છે. દેશના લોકોએ ન્યાયનો સંતોષ મેળવ્યો. આ કિસ્સાઓની વચ્ચે એક 7 વર્ષની દીકરી પર થયેલા દુષ્કર્મ અને હત્યાનો કેસ અમદાવાદ પોલીસ માટે કંલકરૂપ બન્યો છે. કારણ કે આ દીકરીને ન્યાય અપાવવામા પોલીસ નિષ્ફળ રહી છે. પરિવારે હૈદરાબાદ પોલીસની પ્રશંસા કરીને અમદાવાદ પોલીસ પર રોષ વ્યકત કર્યો હતો.
7 વર્ષની દીકરી પર થયેલા દુષ્કર્મ અને હત્યા કેસ
અમદાવાદના બાપુનગરનો એક પરિવાર 10 વર્ષથી ન્યાય માટે ઝંઝુમી રહ્યો છે
ખુલ્લેઆમ ફરી રહેલા આરોપીને પકડવામા અમદાવાદ પોલીસે નિષ્ફળ રહી
અમદાવાદ પોલીસ નિષ્ફળ સાબિત થઇ
10 વર્ષ પહેલા આ દીકરી પર એક નરાધમે દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી. સરકારી સ્કુલના શૌચાલયમાં મૃતદેહ ફેંકી દીધો હતો. આ દીકરીનો બાપ દરરોજ એ સ્કુલ નજીકથી પસાર થાય અને તેની આંખ ભીની થઈ જાય છે. કારણ કે તેની દીકરીનો હત્યારો હજુ ફરાર છે. અમદાવાદ પોલીસે તેને પકડવાની તો વાત બાજુમાં રહી પરંતુ હત્યારો કોણ છે તેની ઓળખ પણ કરી શકી નથી. આ મા-બાપ પોતાની દીકરીને ન્યાય આપવામા લાચાર છે. કારણ કે અમદાવાદ પોલીસ નિષ્ક્રીય છે. તે સવાલ એ કરે છે કે ક્યારે દીકરીને ન્યાય મળશે. હૈદરાબાદ પોલીસ પાસેથી અમદાવાદ પોલીસ કઈ સીખે. દીકરીને ન્યાય નહિ મળવાની પીડા આ મા-બાપ સહી નથી શકતા. સરકારને ફકત એ સવાલ કરે છે કે શું મારી દીકરીને ન્યાય અપાવી શકશો.
આઈસ્ક્રીમ ખવડાવવાનું કહીને નરાધમ લઇ ગયો અને પછી...
ઘટનાની વાત કરીએ તો 8 ફેબુઆરી 2009ના રવિવારનો દિવસ હતો. રજાની મજા 7 વર્ષની દીકરી માણી રહી હતી. પોતાના નાના ભાઈઓ સાથે રમી રહી હતી. કોઈ નરાધામ આવ્યો. તેણે દીકરીને આઈસ્કીમ ખવડાવાનુ કહીને લઈ ગયો. માતા-પિતા દીકરીના ગુમ થતા બાપુનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસે શોધવાના બદલે તેમની વાત ના સાભંળી. અંતે ગુમ થવાની ફરિયાદ નોંધી. પણ શોધખોળ કરવાના બદલે પિતા પર દબાણ વધાર્યુ. અંતે 3 દિવસ બાદ દીકરીનો મૃતદેહ નજીકની સરકારી શાળામાંથી મળી. દીકરી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાની જાણ થતા માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. આંખોમાંથી આસું 10 વર્ષ બાદ સુકાઈ તો ગયા પણ દર્દ હજુ પણ તેવુ જ છે. બસ ન્યાયની ઝંખના છે. પણ ન્યાય મળશે તે સવાલ બન્યો છે.
આ સ્કુલમાં જ દીકરીની હત્યાની કડીઓ છુપાઇ હોવાનો પિતાનો આરોપ
એક દસકો પસાર થઈ ગયો. અનેક પોલીસ અધિકારીઓ આવ્યા અને ગયા. પરંતુ દીકરીના આરોપીઓને પકડી ન શક્યા. પિતાએ ન્યાય માટે રાજ્યપાલથી રાષ્ટ્રપતિ સુધી અપીલ કરી. પરંતુ આ દીકરીનો આરોપીને આકાશ ખાઈ ગયો કે જમીન ગળી ગઈ. તે હજુ સમજાતુ નથી. પોલીસે હથિયાર મુકી દીધા. છેલ્લા 7 વર્ષથી તો પોલીસે તપાસના નામે ફાઈલ બંધ કરી દીધી. એવું વિચારી લીધુ કે હવે નહિ મળે આરોપી. પણ આ માતા-પિતા તો દીકરીને ન્યાય મળે તેવી ગુહાર લગાવી રહ્યા છે. જે સ્કુલમાં દીકરીનો મૃતદેહ મળ્યો ત્યાં હવે નિયમોને લઈને એન્ટ્રીને લઈને પ્રતિબંધની વાતો કરે છે. પરંતુ સ્કુલમાં 3 દિવસ બાદ લાશ કેવી રહી પહોંચી. સ્કુલના પ્રિન્સીપાલ અને શિક્ષક શું કરી રહ્યા હતા. સિક્યુરીટીગાર્ડની કેમ હકાલપટ્ટી કરી. એવા અનેક સવાલો છે. આ સ્કુલમા જ દીકરીની હત્યાની કડીઓ છુપાઈ હોવાનો પિતાનો આરોપ છે.
દીકરીનો હત્યારો આજે પણ બિન્દાસ ખુલ્લેઆમ ફરી રહ્યા છે
અનેક સવાલો વચ્ચે 7 વર્ષની દીકરીને 10 વર્ષ બાદ પણ ન્યાય નથી મળ્યો. આંતકવાદી અને લૂંટારાઓને પકડીને વાહવાહી મેળવનાર અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને પોલીસ આ દીકરીને ન્યાય આપવામા નિષ્ફળ રહી. આ દીકરીને ન્યાય કોણ આપશે. કોની જવાબદારી છે ન્યાય આપવાની. આ દીકરીનો હત્યારો આજે પણ બિન્દાસ ખુલ્લેઆમ ફરી રહ્યો છે. પરંતુ પોલીસ નિષ્ક્રીય છે. નિર્ભયા અને દિશાના જે આરોપી પકડાયા અને સજાની વાત થઈ રહી છે. પરંતુ આ દીકરીના કસુરવાર તો કોણ છે તેની કોઈને ખબર જ નથી. આ માતા-પિતા દીકરીના માફી માંગી રહ્યા છે. કારણ કે તે તેના હત્યારાને સજા આપવામા લાચાર છે. શું આ દીકરીને ન્યાય મળશે?