અમદાવાદના સિવિક સેન્ટરોને લઇને AMCએ મોટો નિર્ણય કર્યો છે. હવેથી શહેરમાં 6 સિવિક સેન્ટરો શનિ-રવિ પણ સવારે 9થી સાંજે 4:30 સુધી ચાલુ રહેશે.
જનતાના હિતમાં AMCએ લીધો મોટો નિર્ણય
હવેથી શનિ-રવિ પણ શરૂ રહેશે 6 સિવિક સેન્ટરો
અમદાવાદમાં જુદા-જુદા 7 ઝોનમાં 62 સિવિક સેન્ટરો આવેલા છે
અમદાવાદમાં જુદા-જુદા સાત ઝોનમાં 62 જેટલાં સિવિક સેન્ટરો આવેલા છે કે જેમાં તમામ ઝોનમાંથી એક-એક સિવિક સેન્ટર હવે શનિ-રવિ પણ ચાલુ રાખવાનો AMCએ નિર્ણય કર્યો છે. હવેથી શહેરમાં બીજા અને ચોથા શનિવાર ઉપરાંત રવિવારે પણ 6 સિવિક સેન્ટરો ચાલુ રહેશે. જણાવી દઇએ કે, શહેરમાં મધ્ય ઝોનમાં રિલીફ રોડ,પશ્ચિમ ઝોનમાં ઉસ્માનપુરા, ઉત્તર ઝોનમાં મેમ્કો, દક્ષિણ ઝોનમાં મણિનગર, પૂર્વ ઝોનમાં વિરાટનગર અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં બોડકદેવ સિવિક સેન્ટરો શરૂ રહેશે. રવિવારનાં સવારના 9:00થી 4:30 સુધી આ તમામ સેન્ટરો ચાલુ રહેશે.
કુલ 62 સિવિક સેન્ટરોમાં કરાય છે કામગીરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ઝોનમાં આવેલા કુલ 62 સિવિક સેન્ટરોમાં લોકોની સુવિધા માટેના કામો કરવામાં આવે છે. જેમાં પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, બીયુ પરમિશન, ડુપ્લિકેટ જન્મ-મરણ સર્ટિફિકેટ, ગુમાસ્તાધારા, હેલ્થ લાઇસન્સ, હોલ બુકિંગ, સ્વિમિંગ પૂલ ફી અને ફાયર NOC સહિતની કામગીરી કરવામાં આવે છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇ-ગવર્નન્સ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે, તાત્કાલિક અસરથી દર બીજા અને ચોથા શનિવાર તેમજ રવિવારના સવારે 9:00થી 4:30 સુધી તમામ ઝોનની ઝોનલ ઓફિસમાં આવેલા સિવિક સેન્ટરો શરૂ રહેશે. એ સિવાય ટેક્નિકલ બાબતે ચેક અને ટેક્સ કલેક્શન અને ઇ-ગવર્નન્સ માટે નાણાં વિભાગ તેમજ ડેપ્યુટી એસેસર અને ટેક્સ કલેક્ટર મારફતે ટેક્સ વિભાગે આ તમામ બાબતે વ્યવસ્થા કરવા પણ જણાવાયું છે.