અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં એક પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાના સમાચાર સામે આવ્યા હતા. હરિદર્શન ચોકડી નજીક આવેલા ફ્લેટમાં રહેતા ત્રિવેદી પરિવારના 3 સભ્યએ એક સાથે આપઘાત કરી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે ગતરોજ પરિવારનો સંપર્ક ન થતાં તેમના સંબંધીઓએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે તપાસ કરતાં ઘરમાંથી ત્રણેયના મૃતદેહ મળી આવ્યાહતા. મૃતક કૃણાલભાઈ ત્રિવેદી પોતે કોસ્મેટિકનો વ્યવસાય કરતા હતા.
આ ઘટનામાં કૃણાલભાઇ તથા તેમના પત્ની તેમજ 15 વર્ષીય દીકરીએ આપઘાત કર્યો હતો. ત્યારે પરિવારે આર્થિક સંકડામણમાં આપઘાત કર્યો હોવાની શક્યતા સેવાઈ રહી છે.
આપને જણાવી દઇએ કે નરોડાના હરિદર્શન ચાર રસ્તા પર આવેલા અવની એપાર્ટમેન્ટની આ ઘટના બનવા પામી હતી. પરિવારના એક સાથે 3 સભ્યએ મોતને વ્હાલુ કર્યું હોવાના સમાચાર વાયુવેગે માધ્યમોમાં ફેલાઇ ગયા હતા.
જો કે ક્યાં કારણોસર પરિવારે આપઘાત કર્યો તે પોલીસ તપાસ બાદ ખુલાસો થશે. પરંતુ અચાનક સામૂહિક આપઘાતની ઘટના સામે આવતા નરોડા વિસ્તારમાં લોકો ચોંકી ઉઠ્યા છે. આ ઘટના મામલે સ્થાનિક પોલીસે આસપાસના લોકો પાસેથી પ્રાથમિક જાણકારી મેળવીને આગળની તપાસ હાથ ધરી છે.