અમદાવાદના ગોમતીપુરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ઘટના મોડી રાત્રીના સાડા બાર વાગ્યાની છે. ગોમતીપુર વિસ્તારમાં આવેલી નૂરભાઈ ધોબીની ચાલી પાસે ફાયરિંગ થયું છે. બાઈક પર આવેલા બે બુકાનીધારી શખ્સો દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું અને બાદમાં તેઓ ઘટના સ્થળેથી ફરાર થયા.
આ ઘટનાની જાણ પોલીસ વિભાગને થતા પોલીસ ઉચ્ચ અધિકારીઓ સહિત F.S.L.ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી. પોલીસે ખાલી કારતૂસ અને બ્લડ સેમ્પલ લઈ તપાસ માટે મોકલી આપ્યા છે.
તો ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાંથી લોકોનાં ટોળે ટોળે ઉમટ્યા. તો ફાયરિંગમાં મહેકૂદ મન્સૂરી નામના યુવકને માથાના ભાગે ગોળી વાગતા તેને ગંભીર હાલતમાં વી.એસ. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
તો પોલીસ તપાસમાં પ્રાપ્ત થયેલી વિગતો મુજબ ઈજાગ્રસ્ત યુવકના પરિવારજનોએ હુમલાનો આરોપ સાઝીદ સમીર અને વીકી નામના શખ્સો પર લગાવ્યો છે. અંગત અદાવતમાં આ હુમલો કર્યો હોવાનો પણ દાવો પરિવારજનોએ કર્યો છે. જો કે પોલીસે હવે તમામ બાજુઓને ધ્યાનમાં રાખી પ્રત્યક્ષદર્શી અને CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.