અમદાવાદમાં નશાના ઉપયોગમાં લેવાતી કફ સિરપની બોટલના જથ્થા સાથે પોલીસે બે શખ્સોને પકડી પાડયા છે.
અમદાવાદમાં ફરી ઝડપાયું નશાનું નેટવર્ક
કફ સિરપના નશાનો વેપાર કરતાં બે પકડાયા
477 કફ સિરપની બોટલ સાથે બે શખ્સોની ધરપકડ
અમદાવાદમાંથી વધુ એક વખત નશાના કારોબાર સાથે સંડોવાયેલ બે શખ્સોને પોલીસે દબોચી લીધા છે. પોલીસ ઝપટે ચડેલ આરોપી પાસેથી નશાના ઉપયોગમાં લેવાતી કફ સિરપની બોટલનો જથ્થો જપ્ત કરી પોલીસે નશાના કાળા કારોબારને ઉઘાડો પાડયો છે. બંને આરોપીઓ કફ સિરપના નશાને રવાડે ચડી ગયા બાદ રૂપિયાની જરૂરીયાત ઊભી થતાં નશાના આ વેપારમાં ધકેલાયા હોવાનું સામે આવ્યું છે.
SOG એ બે આરોપીને દબોચી લીધા
રાજ્યમાં નશાનો વેપાર અને વેચાણ વકર્યું હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે. નશાનું દૂષણ આજના યુવાધનને આર્થિક અને શારીરિક રીતે ઊધયની માફક કોરી ખાય રહ્યું છે. વારંવાર આવા કારોબારનો પર્દાફાસ થતો હોવા છતાં આવા દૂષણ અટકવાનું નામ લેતા નથી. તેવી સ્થિતિ વચ્ચે અમદાવાદમાં ફરી એકવાર કફ સિરપના નશાનો વેપાર કરતા બે આરોપીઓ ઝડપાયા છે. અમદાવાદ SOG પોલીસે બાતમીના આધારે શહેરના દાણીલીમડા વિસ્તારમાં વોચ ગોઠવી હતી આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં રહેલા બે શખ્સોની અટકાયત કરી તેની તલાશી લીધી હતી. જેથી સલમાન ઉર્ફે શાહરૂખ શેખ અને રૂસ્તમ અલી હાસમી કફ સિરપની હેરાફેરી કરવા માટે આવ્યા હોવાની કબૂલાત આપતા ભાંડો ફૂટ્યો હતો.
477 કફ સિરપની બોટલ કબજે કરાઇ
જેને લઈને પોલીસે બંનેની ધરપકડ કરી લીધી હતી. બંને આરોપીઓ પાસેથી 477 કફ સિરપની બોટલ કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરતા આ બંને આરોપીઓ નશાના બંધાણી હોવાનું ખૂલ્યું હતું. વધુમાં પૈસાની જરૂરિયાતના કારણે આ નશાનો વેપાર કરવાનો શરૂ કર્યો હોવાની પણ કબૂલાત આપી હતી. આ બન્ને આરોપીઓ અગાઉ પણ કફ સિરપની હેરાફેરી કરી હોવાનુ તપાસમા ખુલ્યુ છે. કફ સિરપના નશાના કારોબાર પાછળ ફાર્માસ્યૂટિકલ કંપનીઓની સંડોવણી હોવાની પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જે આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અગાઉ પણ દાણીલીમડામા કફ શીરપનો જથ્થો પકડાયો હતો
નોંધનીય છે કે અગાઉ પણ દાણીલીમડામા કફ શીરપનો જથ્થો પોલીસે પકડી પાડ્યો હતો. એમ ડી ડ્રગ્સ સાથે હવે કફ શીરપના નશાનુ પણ પ્રમાણ સતત વધી રહયુ છે. આ પ્રકરણમાં ફાર્માશ્યુટીકલ કપંનીઓની સંડોવણી છે કે કેમ ? ઉપરાંત વોન્ટેડ આરોપી સુધી પહોંચવા સહિતની દિશામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
સિરપનો નશો કેટલો ભારે પડે?
ઉંઘ ઓછી થવા લાગે
ભૂખ ન લાગે
દિવસભર બેચેની રહે
સ્વાભાવ ચીડિયો થઈ જાય
ભવિષ્ય અધંકારમાં ધકેલાઈ જાય
લાંબા સમયે ગંભીર બિમારી આવે છે