અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ. હોસ્પિટલ લાંબા સમયથી વિવાદગ્રસ્ત બની છે. ખાસ કરીને પથારીઓની સંખ્યાનાં મામલે હોસ્પિટલની આબરૂ જાહેરમાં ખરડાઇ રહી છે. સત્તાધીશો અને વહીવટીતંત્ર વચ્ચેનાં સંકલનનાં અભાવે દર્દીઓ માટેની હાલની ૧૧૫૫ પથારીની વ્યવસ્થા હજુ બેથી ત્રણ મહિના સુધી ચાલુ રહેશે તેવી માહિતી જાણવા મળી છે. વી.એસ. હોસ્પિટલમાં પથારીની સંખ્યા ઘટાડીને ૫૦૦ કરવાની બાબતે મ્યુનિસિપલ કોંગ્રેસ દ્વારા વી.એસ. હોસ્પિટલ બચાવો આંદોલન શરૂ કરાયું હતું.
આ અભિયાન હેઠળ કોંગ્રેસે વિવિધ વોર્ડમાં કાળા ફુગ્ગા ઉડાડ્યાં હતાં તેમજ પોલીસ અને કાર્યકરો વચ્ચે ઠેર-ઠેર ઘર્ષણ થયું હતું. સરદાર વલ્લભભાઇ પટેલ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું કથિત ખાનગીકરણ રોકવા તેમજ વી.એસ. હોસ્પિટલમાં પથારીની વ્યવસ્થા જેમ છે તેમ સ્થિતિમાં રાખવાની કોંગ્રેસે માગણી કરી હતી. જો કે તંત્ર અને શાસકો વચ્ચેનાં આપસી મતભેદોથી વી.એસ. હોસ્પિટલમાં પથારીની વ્યવસ્થા યથાવત્ જળવાઇ રહેશે, કેમ કે હજુ પણ આને લગતી નીતિ ઘડાઇ નથી.
આમ તો વી.એસ. હોસ્પિટલનું બજેટ જ વિવાદોમાં મુકાયું હતું. તત્કાલીન સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા ૧૧૫૫ પથારી માટે રૂ. ૧૭,૨૭૦ કરોડ અને મેયરના હોદ્દાની રૂએ વી.એસ. મેનેજમેન્ટ બોર્ડનાં ચેરપર્સન બીજલબહેન પટેલના બજેટમાં પથારીની સંખ્યા ઘટાડીને ૫૦૦ કરાઇ હતી, પરંતુ બજેટનું કદ વધીને રૂ. ૨૩૧.૩૬ કરોડનું થયું હતું.
ગત નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ની સરખામણીમાં ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦નાં બજેટમાં રૂ. ૬૬.૩૮ કરોડનો વધારો કરાતાં વી.એસ. હોસ્પિટલનાં દાતા ટ્રસ્ટીઓએ તેને 'ફેક બજેટ' ગણાવ્યું હતું. શાસકોએ હોસ્પિટલ માટે ૫૦૦ પથારીની વ્યવસ્થા સાથે બજેટ બનાવ્યું હોઇ તેની અમલવારી ગઇ કાલથી શરૂ થઇ ચૂકી છે, પરંતુ હજુ પણ પથારીની સંખ્યા તો ૧૧૫૫ જ હોઇ આગામી બે-ત્રણ મહિના સુધી તેમાં ઘટાડો નોંધાય તેવી કોઇ શક્યતા જણાતી નથી.