શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટયું હોવાનો મ્યુનિ. સત્તાવાળાઓનો દાવો છે. હવે કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં ખાસ્સો એવો ઘટાડો દરરોજ પ્રસિદ્ધ થતી અખબારી યાદીમાં દર્શાવાઇ રહ્યો છે. એટલે કોરોનાના મામલે અમદાવાદીઓ માસ્ક સતત પહેરી તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને પણ અમુક અંશે રાહત મેળવી શકે છે.
અમદાવાદ બન્યું ચિકનગુનિયાગ્રસ્ત
ઓકટોબરમાં ૩૧પ કેસ મળતાં તંત્રમાં દોડધામ
નવેમ્બર-ડિસેમ્બરમાં પણ વધુ સાવચેત રહેવું પડશે.
બીજી તરફ ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગચાળાનો સમગ્ર અમદાવાદમાં ઉત્પાત ફેલાયો છે. મેલેરિયા અને ડેન્ગ્યુની જેમ હવે ચિકનગુનિયા પણ કાયમી બીમારી બન્યો છે.
અમદાવાદમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા
અમદાવાદમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા છે. સમગ્ર વર્ષ દરમિયાન હવામાન પણ મચ્છરની ઉત્પત્તિને માફક આવે તેવું બન્યું છે. ઘર, ઓફિસ કે સંસ્થાકીય મકાનોમાં આવેલી અંડરગ્રાઉન્ડ કે ઓવરહેડ ટાંકી, એરકૂલર, રેફ્રિજરેટર, ફૂલદાની, કન્સ્ટ્રકશન સાઇટ, ખાડા, ખાબોચિયાં કે મકાનમાં રાખી મૂકવામાં આવેલાં કોઇ પણ ભંગારમાં ભરાઇ રહેલાં પાણીમાં મચ્છરો પેદા થાય છે. મ્યુનિ. તંત્રના મેલેરિયા વિભાગ દ્વારા મચ્છરોના પોરાના નાશ માટે કામગીરી હાથ ધરાય છે. જોકે આ કામગીરી ખાસ સંતોષપ્રદ નથી.
ચિકનગુનિયા તાવ ચેપી એડિસ ઈજિપ્તી મચ્છરના કરડવાથી થાય
ચિકનગુનિયા તાવ ચેપી એડિસ ઈજિપ્તી મચ્છરના કરડવાથી થાય છે. ચિકનગુનિયાનો રોગી સખત તાવમાં પટકાઇ જાય છે. તેના હાથ-પગના સાંધા જકડાઇ જાય છે અને કયારેક મહિનાઓ સુધી હાથ-પગનું હલનચલન સારી રીતે થઇ શકતું નથી. ઊલટી કે ઊબકા આવવા કે શરીર પર રતાશ પડતાં ચકામાં ઉપસી આવવાં તે પણ ચિકનગુનિયાના રોગનાં લક્ષણ છે. અમદાવાદમાં ચાલુ વર્ષે જાન્યુઆરીમાં ર૩, ફેબ્રુઆરીમાં ૭, માર્ચમાં ૧૧, એપ્રિલમાં ૬, મેમાં ૧, જૂનમાં ૦, જુલાઇમાં ૩ અને ઓગસ્ટમાં ર૦ કેસ નોંધાયા હતા. ગત વર્ષના જૂન-જુલાઇ કરતાં આ વર્ષે જૂન-જુલાઇમાં ચિકનગુનિયાના કેસ ઓછા નોંધાયા હતા.
ઓગસ્ટથી ચિકનગુનિયાના કેસનો ગ્રાફ ઉંચકાયો છે
જોકે ઓગસ્ટથી ચિકનગુનિયાના કેસનો ગ્રાફ ઉંચકાયો છે. સપ્ટેમ્બરમાં તો ચિકનગુનિયાના સત્તાવાર કેસ વધીને ૧રપ થયા હતા. જેમાં મ્યુનિ. હોસ્પિટલના ૬૦ અને ખાનગી હોસ્પિટલના ૬૧ હતા. જે સપ્ટેમ્બર-ર૦૧૯ના ૧૮ કેસની તુલનામાં આઠ ગણા હતા, પરંતુ ગત ઓકટોબર મહિનામાં ચિકનગુનિયાએ અમદાવાદમાં હાહાકાર મચાવ્યો હતો.
ગત ઓકટોબર મહિનામાં તંત્રના ચોપડે ચિકનગુનિયાના સત્તાવાર ૩૧પ કેસ નોંધાયા હતા. ગત વર્ષ ર૦૧૯માં સમગ્ર વર્ષ દરમિયાન ચિકનગુનિયાના સત્તાવાર કુલ ૧૮૩ કેસ નોંધાયા હતા. એટલે કે ગત વર્ષ કરતાં દોઢ ગણા કેસ એકલા ઓકટોબર મહિનામાં નોંધાઇ ચૂકયા છે અને હજુ ચાલુ વર્ષ ર૦ર૦ને પૂર્ણ થવા આડે બે મહિના બાકી છે.
બે મહિનામાં ચિકનગુનિયાના સત્તાવાર ૪૪૦ કેસ નોંધાયા
મ્યુનિ. તંત્રની સત્તાવાર યાદીની વિગતને તપાસતાં છેલ્લા બે મહિનામાં ચિકનગુનિયાના સત્તાવાર ૪૪૦ કેસ નોંધાયા હોઇ નવેમ્બર અને ડિસેમ્બરમાં પણ ચિકનગુનિયાનો કહેર યથાવત્ રહેવાનો છે. જેના કારણે ચાલુ વર્ષ ર૦ર૦માં ચિકનગુનિયાના સત્તાવાર કેસ ૧૦૦૦ના આંકડાને પાર કરે તો તેમાં નવાઇ પામવા જેવું નથી. ચિકનગુનિયાના કહેરથી બચવા આગામી બે મહિના નાગરિકોએ વધારે સાવચેત રહેવાની જરૂર છે. ખાસ તો ચોખ્ખું પાણી વધુ સમય સુધી ઘરમાં જમા ન રહે તેની પણ કાળજી રાખવી પડશે.
બિનસત્તાવાર રીતે તો શહેરમાં ચિકનગુનિયાના કેસનો આંકડો ૪૦૦૦ પાર કરી
બિનસત્તાવાર રીતે તો શહેરમાં ચિકનગુનિયાના કેસનો આંકડો ૪૦૦૦ પાર કરી ગયો છે. અમદાવાદમાં ખાનગી દવાખાના ચિકનગુનિયાના દર્દીથી ઊભરાઇ રહ્યાં છે. શહેરભરમાં ચિકનગુનિયાના દર્દી હાથ-પગના સાંધા જકડાઇ ગયાની બૂમો પાડે છે. ખાનગી દવાખાનામાં ફેમિલી ફિઝિશિયન પાસે ચિકનગુનિયાની સારવાર લેતા દર્દીઓના આંકડા મ્યુનિસિપલ સત્તાવાળાઓ પાસે નથી, પરંતુ ચિકનગુનિયાએ સમગ્ર અમદાવાદમાં હાહાકાર મચાવ્યો છે તે કડવી વાસ્તવિકતા છે.
કોરોના કેસના આંકડાને છુપાવવાના મામલે વગોવાયેલું મ્યુનિ.તંત્ર હવે ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગચાળાના સત્તાવાર આંકડાને પણ છુપાવી રહ્યું છે. જો સત્તાવાળાઓ નાગરિકોને ચિકનગુનિયા કેસના આંકડાથી દર અઠવાડિયે વાકેફ કરે તો અત્યારે જે રીતે લોકોમાં આ રોગનો ડર ફેલાયો છે તે દૂર થઇ શકે છે.