ભાજપ શાસિત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વીએસ હોસ્પિટલની ઐતિહાસિક ગરિમા ઝાંખી પડી છે. નવી એસવીપી હોસ્પિટલ શરૂ કરાયા બાદ શાસકો જાણે કે યેનકેનપ્રકારેણ વીએસ હોસ્પિટલને બંધ કરવા માગતા હોય તેમ ચર્ચાઇ રહ્યું છે.
ચાલુ વર્ષના બજેટમાં રૂ. ત્રણ કરોડ પણ ફાળવાયા હતા
પંડિત દીનદયાળ કેન્ટીન સેવા શરૂ કરવાની જાહેરાત કરાઇ હતી
ચારેય મ્યુનિસિપલ હોસ્પિટલોની હાલત ભારે કફોડી બની
વીએસ હોસ્પિટલની હેરિટેજ ઇમારતને જમીનદોસ્ત કરવાની કામગીરી પર હાઇકોર્ટે રોક લગાવી છે, પરંતુ વીએસ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, શારદાબહેન હોસ્પિટલ અને નગરી હોસ્પિટલ એમ આ ચારેય મ્યુનિસિપલ હોસ્પિટલોની હાલત ભારે કફોડી બની છે. શાસક પક્ષ લોકોને હથેળીમાં ચાંદ બતાવવાની નીતિમાં રાચતો હોઇ દર્દીનાં સગાંને રૂ.૧૦માં ભોજન આપવાનો બજેટ ઠરાવ પણ હવાઇ ગયો છે.
મ્યુનિસિપલ હોસ્પિટલોમાં દર્દીઓને અપાતી સારવાર કથળી ગઇ છે. તેમાં પણ વીએસ હોસ્પિટલ તો લગભગ તાળાં મારવાં પડે તેવી દયનીય િસ્થતિમાં મુકાઇ ગઇ છે. એક સમયે વીએસ હોસ્પિટલમાં ઇન્ડોર અને ઓપીડી દર્દીઓની સંખ્યા વર્ષે દોઢથી બે લાખની આસપાસ રહેતી હતી. જેમાં ૮૦,૦૦૦ ઇન્ડોર દર્દી નોંધાતા હતા, પરંતુ નવી એસવીપી હોસ્પિટલના કારણે વીએસ હોસ્પિટલની માઠી દશા બેઠી છે. દર્દીઓ એલજી અને શારદાબહેન તરફ વળ્યા છે.
બીજી તરફ એલજી અને શારદાબહેન હોસ્પિટલમાં દર્દીઓ વધવા છતાં પેરામેડિકલ સ્ટાફ સહિતના સ્ટાફની અછત છે. એટલે સારવાર પ્રભાવિત થઇ છે. મ્યુનિસિપલ શાસકો પણ દર વર્ષે બજેટમાં ફુલગુલાબી ચિત્ર રજૂ કરતા હોઇ જે તે સમયે નાગરિકોને મંત્રમુગ્ધ કરે છે, પરંતુ બજેટના ઠરાવને સિફતપૂર્વક અભરાઇએ ચઢાવી દેવાય છે.
જાણકાર સૂત્રો કહે છે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટે મ્યુિનસિપલ હોસ્પિટલોમાં દર્દી સાથે રહેતા સગાંઓને રૂ.૧૦માં ભોજન અપાશે તેવી મનમોહક જાહેરાત પોતાના ચાલુ વર્ષના બજેટમાં કરી હતી. ચેરમેન ભટ્ટે 'પંડિત દીનદયાળ કેન્ટીન સેવા' તમામ મ્યુનિસિપલ હોસ્પિટલોમાં શરૂ કરીને આ કેન્ટીનમાં રૂ.૧૦માં દર્દીનાં સગાંને ભોજન આપવાની ઘોષણા કરી હતી.
જોકે આશ્ચર્યજનક રીતે સંપૂર્ણ વર્ષ હવે પતવા આડે ગણતરીના ત્રણ મહિના બાકી રહ્યા છે તો પણ એક પણ હોસ્પિટલમાં 'પંડિત દીનદયાળ કેન્ટીન સેવા' જોવા મળતી નથી. એટલે કે દર્દીનાં સગાંને રૂ.૧૦માં ભોજન પૂરું પાડવાનો બજેટ ઠરાવ હજુ સુધી કાગળ પર જ રહ્યો છે. આ માટે બજેટમાં રૂ.ત્રણ કરોડની ફાળવણી કરાઇ હતી.
તેમ છતાં એક રૂપિયો પણ વપરાયો નથી. બીજી તરફ મ્યુનિસિપલ કમિશનરે તેમના બજેટમાં રેનબસેરામાં આશ્રય લેતા ઘરવિહોણા નાગરિકોને એક ટંક ભોજન આપવાની જાહેરાત કરી હતી અને આ જાહેરાતનો અમલ થઇ ગયો છે. તો શાસકોની જાહેરાતનો અમલ કયારે થશે? તેવો પ્રશ્ન મ્યુનિસિપલ વર્તુળોમાં પુછાઇ રહ્યો છે.