ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ પૂર્ણ થવાના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. મ્યુનિ. પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા ગઇ કાલ સુધી રૂ.૯૩ર.૮પ કરોડ ટેક્સ વસૂલાયો છે. જે ગત વર્ષની સરખામણીમાં ર૭ ટકા વધારે છે. તંત્રની સીલિંગ ઝુંબેશ તેમજ બે વર્ષ બાદ અમલમાં મુકાયેેલી બાકી પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજનાથી પ્રોપર્ટી ટેક્સની આવકમાં ઉલ્લેખનીય વધારો થયો છે. આની સાથે તંત્રએ ડિફોલ્ટરનું લિસ્ટ પણ તૈયાર કર્યું છે. તંત્રના ટોપ-ર૦ ડિફોલ્ટરના લિસ્ટ મુજબ કુલ ૧ર૯ કરોડથી વધુ ટેકસ બાકી બોલે છે, જે પૈકી મોટા ભાગનો ટેક્સ બંધ મિલોનો હોઇ તેમની બાકી રકમ મેળવવાનું કોકડું ગૂંચવાયેલું રહેશે.
ધી ન્યૂ કોમર્શિયલ મિલનો સૌથી વધુ ર૧.૪૬ કરોડ ટેક્સ ભરાયો નથી
કાલુપુર રેલવે સ્ટેશનનો રૂ.૮.૮૮ કરોડ ટેક્સ પણ તંત્રના ચોપડે ઉધાર
મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓની ટોપ-ર૦ ડિફોલ્ટરની યાદીની વિગત જોતાં નરોડાની ન્યૂ કોમર્શિયલ મિલ રૂ. ર૧.૪૬ કરોડના બાકી ટેક્સ સાથે પ્રથમ ક્રમે છે. આ મિલનો રૂ.૬.૯૮ કરોડનો જૂનો ટેક્સ અને ૧૩.૮૧ કરોડનો નવો ટેક્સ અને ચાલુ વર્ષનો રૂ.૬૬.૩૯ લાખનો ટેક્સ બાકી બોલે છે.
આ ટોપ-ર૦ ડિફોલ્ટરની યાદીમાં ધ જ્યૂબિલી મિલ, આર્યોદય મિલ, ન્યૂ ગુજરાત સિન્થેિટક મિલ, પ્રસાદ મિલ, ગુજરાત ટેક્સટાઇલ મિલ, ગુજરાત જીનિંગ મિલ, ધ કોમર્શિયલ મિલ, ગુજરાત જીન મિલ, એન. પ્રોસેસિંગ મિલ મળીને કુલ ૧૦ મિલનો સમાવેશ કરાયો છે.
આ તમામ મિલ બંધ હોઇ તેનો મામલો હાઇકોર્ટે નીમેલા લિક્વિડેટર પાસે છે એટલે બંધ મિલની જમીનનું વેચાણ થયા બાદ તેની આવકમાંથી પહેલાં બંધ મિલ કામદારની બાકી રકમ સહિતના અન્ય વેરાના ઉઘરાણા બાદ છેલ્લે મ્યુનિ. કોર્પો.નો પ્રોપર્ટી ટેક્સ આવતો હોઇ એક પ્રકારે બંધ મિલનો બાકી ટેક્સ ભૂલી જવા ખાતે છે.
જ્યારે એરપોર્ટ ઓથોરિટીનો આશરે રૂ.૧૯થી ર૦ કરોડ ટેક્સ બાકી છે, જે પૈકી એરપોર્ટ ઓથોરિટીએ રૂ.૧.પ કરોડ મળી કુલ રૂ.૩ કરોડની ભરપાઇ તંત્રને કરી છે. આગામી દિવસોમાં મ્યુુનિ. તંત્ર અને એરપોર્ટ ઓથોરિટી વચ્ચે ચર્ચા-વિમર્શથી વધુ ત્રણથી ચાર કરોડનો ટેક્સ મળે તેવી શક્યતા છે. એરપોર્ટ ઓથોરિટીની ઇન્ટરનેશનલ બિલ્ડિંગ, રન-વે સહિતની કુલ ૧૯ મિલકત મ્યુનિ. હદ વિસ્તારમાં આવે છે, જ્યારે ડોમેસ્ટિક બિલ્ડિંગ સહિતની અન્ય મિલકતો કેન્ટોન્મેન્ટ એરિયામાં આવતી હોઇ તેના ટેક્સ કેન્ટોન્મેન્ટ ઓથોરિટી ઉઘરાવે છે.
આ ઉપરાંત રેલવે સત્તાવાળા હસ્તકનાં બિલ્ડિંગ પૈકી કાલુપુર રેલવે સ્ટેશનનો ૮.૮૮ કરોડનો ટેક્સ બાકી છે. આમ તો રેલવેની મિલકતોનો કુલ રૂ. ૧૭થી ૧૮ કરોડનો ટેક્સ ભરાયો નથી. આંબાવાડીનો સીતારામ પાર્ટી પ્લોટ તેમજ નહેરુબ્રિજના નાકે આવેલ ચીનુભાઇ ટાવરની સ્ટર્લિંગ સિક્યોરિટીની ઓફિસ એમ બે મિલકતને તંત્રએ જાહેર હરાજીમાં મૂકયા બાદ કોઇ લેવાલ ન આવતાં પોતાના કબજામાં લીધી છે. અન્ય ટોપ ડિફોલ્ટર પૈકી ટેસ્ટીલ લિ. નામની એક સમયની જાણીતી કંપની લાંબા સમયથી બંધ છે. વટવા જીઆઇડીસીની આ કંપનીનો રૂ.૧.પર કરોડ ટેક્સ બાકી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા બાકી ટેક્સ વસૂલાત ઝુંબેશ હેઠળ રૂ.રપ હજારથી વધુ ટેકસ બાકી હોય તેવી કોમર્શિયલ મિલકતોને સીલ મારવાની કામગીરી ગત તા.ર૦ જાન્યુઆરીથી આરંભાઇ છે, જે હેઠળ ગઇ કાલ સુધી મધ્ય ઝોનમાં ૪૦૬, ઉત્તર ઝોનમાં ૩૮૦, દક્ષિણ ઝોનમાં ૩પપ, પૂર્વ ઝોનમાં ૭ર૬, પશ્ચિમ ઝોનમાં ૩૦૪, ઉત્તર-પશ્ચિમમાં ૮૯પ અને દ. પશ્ચિમ ઝોનમાં ૧૧૪૧ મિલકત મળી કુલ ૪ર૦૭ મિલકતને અત્યાર સુધીમાં તાળાં મરાયાં છે.