રાજ્યમાં વાવાઝોડાના એલર્ટ, મેઘરાજાનું આગમન થાય તે પહેલાં જ દિલ્હી અને મુંબઈ તરફનો એર ટ્રાફિક ખોરવાયો છે. મુંબઈમાં વરસાદના પગલે અનેક ફ્લાઇટ અમદાવાદ ડાઇવર્ટ કરવામાં આવી છે. દિલ્હીથી પણ આ લખાય છે ત્યાં સુધી ૪ ફ્લાઇટ અમદાવાદ ડાઇવર્ટ કરાઈ છે.
સવારથી અમદાવાદથી મુંબઈ અને દિલ્હી જતી-આવતી ફ્લાઇટ મોડી પડી છે, જયારે કેટલીક ફ્લાઇટ હજુ પણ ઈન રૂટ છે. વાવાઝોડા અને વરસાદના પગલે અમદાવાદ-મુંબઈ અને દિલ્હી-બેંગલુરુ સહિત ર૪ ફ્લાઇટના શેડ્યૂલ ખોરવાયાં છે, દિલ્હીથી આવતી ૯ ફલાઇટનાં શેડ્યૂલ ખોરવાયાં છે.
જેમાં ઇન્ડિગોની લખનૌ વાયા દિલ્હી એર ઇન્ડિયા, ઈથોપિયન એરલાઇન્સ, એશાના એરલાઇન્સ, એર ઇન્ડિયા, વિસ્તારા, બ્રિટિશ એરવેઝ, ઝાલ, સિંગાપોર એરલાઇન્સની સવારે અમદાવાદ આવતી ફ્લાઇટ હજુ સુધી દિલ્હીથી ઉડાન ભરી શકી નથી.
જ્યારે એર ઇન્ડિયા, એર કેનેડા, ઈથોપિયન એરલાઇન, ઇજિપ્ત એર, શ્રીલંકન એર અને સિંગાપોર એરલાઈનની મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટમાં કેટલીક બે કલાકથી વધુ સમય માટે મોડી છે તો કેટલીક હજુ સુધી મુંબઈથી અમદાવાદ માટે ઉડાન ભરી શકી નથી.
અમદાવાદથી મુંબઈ, દિલ્હી અને બેંગલુરુ, હૈદરાબાદ જતી ફ્લાઇટનાં શેડ્યૂલ પણ ખોરવાયાં છે. ગોએર, ઈન્ડિગો, એર ઇન્ડિયા, ઈથોપિયનની મુંબઈ જતી પ અને દિલ્હી જતી ૪ ફ્લાઇટનાં શેડ્યૂલ ખોરવાયાં છે.