અમદાવાદની વીએસ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં વીએસ હોસ્પિટલની એક નર્સે સારવાર દરમિયાન બાળકીનો અંગુઠો કાપી નાખ્યો છે. નર્સની બેદરકારીને લઇ બાળકીના પરિવારજનોએ હોસ્પિટલ સામે રોષ ઠાલવ્યો છે અને નર્સ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
બાળકી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે અહિંયા વીએસ હોસ્પિટલની કામગીરીને લઇને સવાલ ઉભા થઇ રહ્યા છે કે, તબીબની જગ્યાએ નર્સ અને કમ્પાઉન્ડર ઓપરેશન કેમ કરે છે? હોસ્પિટલમાં અનુભવ તબીબો કેમ હાજર નથી હોતા? નર્સ અને કમ્પાઉન્ડરને ઓપરેશન કરવાની સત્તા કોણ આપે છે?
વીએસ હોસ્પિટલની ગંભીર બેદરકારી બાદ સુપ્રિટેન્ડન્ટે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, નર્સની બેદરકારી સામે આવશે તો તેમની સામે પગલા લેવાશે. સમગ્ર્ ધટના અંગે હજુ તપાસ ચાલુ છે. વધુમાં તેમણે કહ્યું કે, હાલ બાળકીની સારવાર હેઠળ છે અને બાળકીની ઉમ્ર 6 મહિનાની છે. પાટા કાપતી વખતે શરત ચૂકથી અંગુઠો કપાયો છે. જાણી જોઇને સ્ટાફનો કોઇ સભ્ય આવું ન કરે.
VS હોસ્પિટલની બેદરકારી સામે VTVના ગંભીર સવાલ:
VS હોસ્પિટલ દર્દીઓના આરોગ્ય સાથે કેમ કરે છે ચેડાં?
હોસ્પિટલમાં કેમ નથી હોતા અનુભવી તબિબ?
નર્સ અને કંમ્પાઉન્ડર કેમ કરે છે ઓપરેશન?
VS હોસ્પિટલના સત્તાધીશો ક્યારે સુધરશે?
કમ્પાઉન્ડર સામે ક્યારે કરશે કાર્યવાહી?
વોર્ડ બોયને કોણ આપે છે સત્તા?
કમ્પાઉન્ડરના વાંકે માસૂમનો કેમ લેવાય છે ભોગ?
VS હોસ્પિટલે કેમ હાથ કર્યા અધ્ધર?
ઉલ્લેખનીય છે કે, આવુ પહેલીવાર નથી કે વીએસ હોસ્પિટલમાં બેદરકારીનો કિસ્સો બન્યો હોય. આ પહેલા પણ અનેકવાર આવા કિસ્સા બન્યા છે, જેમાંથી હોસ્પિલના સત્તાધીશો દ્વારા કોઈ બોધપાઠ લેવામાં આવ્યો નથી. તાજેતરમાં જ વીએસ હોસ્પિટલમાં યુવતીઓના મૃતદેહોની અદલાબદલી કરાઈ હતી, જેનો હોબાળો મચ્યો હતો. અનેકવાર આવા કિસ્સા બન્યા છતા વીએસના સત્તાધીશો આંખ આડા કાન કરે છે. જ્યારે હવે એક માસુમ બાળકી વીએસના બેદરકાર તંત્રનો ભોગ બની છે.
શહેરની હોસ્પિટલોમાં થયેલા વિવાદો:
એલજી હોસ્પિટલમાં 80 વર્ષના વૃદ્ધને મારવાનું ઈન્જેક્શન યુવતિને અપાયું હતુ.