અમદાવાદમાં આવેલી વીએસ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. વીએસ હોસ્પિટલમાં પેટની સારવાર લેવા માટે પહોંચેલા દર્દીઓને સારવાર માટે ના પાડતા દર્દીઓમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે દર્દીઓએ VS હોસ્પિટલના તબીબો પર દાદાગીરીનો આક્ષેપ લગાવ્યો છે.
મહિલાને 2 કલાક સુધી બેસાડીને ટ્રીટમેન્ટ ન આપ્યો હોવાનો દર્દીના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે. આ દરમિયાન પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો. આ ઘટનાની જાણ થતા RMO ઘટનાસ્થળે પહોંચ્યા હતા. RMOની સૂચના બાદ ડોક્ટરોએ મહિલા દર્દીને એડમિટ કર્યા હતા.
મહત્વનુ છે કે, આ પહેલા પણ વીએસ હોસ્પિટલ વિવાદમાં આવી છે. થોડા દિવસ પહેલા નર્સની બેદરકારીના કારણે એક બાળકીનો અંગૂઠો કપાયો હતો. જેના કારણે હોસ્પિટલમાં વિવાદ થયો હતો. આ ઘટના બાદ તંત્ર દ્વારા તપાસ કરવાના આદેશ અપાયા હતા. જોકે હવે ફરી એક વખત વીએસ હોસ્પિટલ વિવાદમાં આવી છે.
VTVના ગંભીર સવાલ:
VSના તબીબોની દાદાગીરી કયા સુધી ચાલશે?
સારવાર માટે કેમ ના પાડવામાં આવે છે?
દર વખતે VS હોસ્પિટલ જ કેમ વિવાદમાં આવે છે?
RMO દ્વારા કેમ તપાસ કરાતી નથી?
શું VSમાં કોઈ અનુભવી તબીબો નથી?
તંત્ર દ્વારા કેમ VS હોસ્પિટલની તપાસ કરાતી નથી?
વીએસ હોસ્પિટલમાં અવારનવાર લાપરવાહીના કિસ્સાઓ સામે આવતાં રહ્યા છે. થોડા દિવસો અગાઉ માત્ર છ મહિનાની બાળકીના હાથેથી પાટો કાપવાનો હતો, પણ વીએસની નર્સે કાતર વડે પાટો કાપવાને બદલે માસૂમ બાળકીનો અંગૂઠો જ કાપી દીધો હતો.
તમને જણાવીએ કે, આવુ પહેલીવાર નથી કે વીએસ હોસ્પિટલમાં બેદરકારીનો કિસ્સો બન્યો હોય. આ પહેલા પણ અનેકવાર આવા કિસ્સા બન્યા છે, જેમાંથી હોસ્પિલના સત્તાધીશો દ્વારા કોઈ બોધપાઠ લેવામાં આવ્યો નથી. તાજેતરમાં જ વીએસ હોસ્પિટલમાં યુવતીઓના મૃતદેહોની અદલાબદલી કરાઈ હતી, જેનો હોબાળો મચ્યો હતો. અનેકવાર આવા કિસ્સા બન્યા છતા વીએસના સત્તાધીશો આંખ આડા કાન કરે છે.