અમદાવાદમાં ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા નિકળી હતી. ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં અમદાવાદની રથયાત્રા પૂર્ણ થઇ છે. દિવસભરની નગરચર્યા બાદ ભગવાન નીજ મંદીરે પહોચ્યા છે. બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ભગવાન પહોચ્યાં છે. નીજ મંદીર ખાતે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી. ભગવાનને નિરખવા માટે શહેરભરના લોકોની ભારે ભીડ ઉમટી હતી. પરંપરા અનુસાર રાતે ભગવાનને પ્રાંગણમાં પડાવ આપવામાં આવશે. મંદીરના મહંતે આરતી ઉતારીને ભગવાન જગન્નાથનું સ્વાગત કર્યુ હતું. આરતીનો લહાવો લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.
શહેરની અસ્મિતાનું પ્રતીક સમી અષાઢી બીજે નીકળતી ભગવાન શ્રી જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રામાં આ વખતે ઘણાં વર્ષ બાદ વહેલી સવારથી ખરેખરો અષાઢી માહોલ સર્જાયો હતો. જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરે મંગળા આરતી થતા જ મેઘરાજા પણ પોતાની હાજરી પુરાવતા હોય તેમ અમી છાંટણારૂપે વરસ્યા હતા.
કેન્દ્રીય ગૃહપ્રધાન બન્યા બાદ ગુજરાત આવેલા અમિત શાહે તેમનાં પત્ની સાથે મંગળા આરતી કરી હતી. મંદિર 'જય રણછોડ, માખણ ચોર'ના નાદથી ગૂંજી ઊઠ્યું હતું.
શ્રી જગન્નાથ યાત્રાના પાવન પર્વ નિમિત્તે અમદાવાદ જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી તથા દર્શનનો લાભ લેતા રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ. આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી શ્રી @PradipsinhGuj પણ ઉપસ્થિત રહ્યા pic.twitter.com/xwYW6hVxLm
વહેલી સવારથી જગન્નાથ મંદિરમાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો હતો. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પહિંદવિધિ કરાવીને રથ ખેંચાવીને રથયાત્રાની શરૂઆત કરાવી હતી. આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ છે. ત્યારે કેવી રહી રથયાત્રા જુઓ...
ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાનો પ્રારંભ જમાલપુર ખાતે આવેલા મંદિરેથી સવારે 7 વાગ્યે થયો હતો. વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી. મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. ભગવાન જગન્નાથને 'નંદીઘોષ' નામના રથમાં, બહેન સુભદ્રાને 'કલ્પધ્વજ' અને ભાઈ બળભદ્રને 'તાલધ્વજ' નામના રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.
મેયર બિજલ પટેલ દ્વારા સ્વાગત
ત્યારબાદ રથયાત્રા જમાલપુરથી એએમસી પહોંચી હતી. જ્યાં એએમસીના મેયર બિજલ પટેલ સહિત ભાજપ-કોંગ્રેસના આગેવાનો દ્વારા ભગવાનના રથ અને દિલીપ દાસજીનું સ્વાગત કર્યું હતું.
સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત
ભગવાનના રથ ગજરાજ, ટેબ્લો અને અખાડા સાથે સરસપુર મોસાળ પક્ષમાં પહોંચ્યા હતા. ભગવાન જગન્નાથજીના ત્રણેય રથ સરસપુર પહોંચ્યા હતા. સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ મનાય છે. ત્યારે તેમનું મોસાળમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભોજનથી લઇને તમામ સુવિધાઓ સરસપુર વાસીઓએ પુરી પાડી હતી.
18 પોળોના રસોડાઓમાં ક્યારેય જમવાનું ખુંટ્યું નથી!
સરસપુર પહોંચ્યા ભગવાનનું મામેરું કરવામાં આવ્યું હતું. સરસપુરમાં રથયાત્રાએ વિરામ લીધાં બાદ જમણવાર યોજાઇ હતી. સરસપુરની 18 પોળોના રસોડાઓમાં ક્યારેય જમવાનું ખુંટ્યું નથી! સરસપુરમાં જમણ બાદ 'જય રણછોડ'નાં નાદ સાથે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામનાં રથ સરસપુરથી જગન્નાથ મંદિર જવા રવાના થયા હતાં. સરસપુરમાં મામેરા બાદ ભગવાનને વિદાય અપાઈ હતી.
ભગવાનની રથયાત્રા દરમિયાન અમીછાંટણા
જ્યારે યાત્રા મંદિર તરફ રવાના થઇ હતી. આ દરમિયાન પ્રેમ દરવાજાએ ઝરમર વરસાદ વરસ્યો હતો. ચાલુ વરસાદમાં પણ રથયાત્રાને લઈ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને છત્રી લઈને રથયાત્રા જોવા પહોંચ્યા હતા. જોકે રથયાત્રા દરમિયાન આસ્ટોડીયા, રાયપુર કાલુપુર અને સરસપુરમાં ઝરમર વરસાદ પડ્યો હતો.
મુસ્લિમ બિરાદરોએ રથયાત્રાનું કર્યું સ્વાગત
શહેરમાં અનેક સ્થળો પર મુસ્લિમ બિરાદરોએ રથયાત્રાનું સ્વાગત કર્યું હતું. તો કબુતર ઉડાડીને મુસ્લિમ બિરાદરોએ શાંતિનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદ પોલીસે માન્યો આભાર
અમદાવાદ પોલીસે ટ્વિટ કરીને અમદાવાદીઓનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રથયાત્રા શાંતિપૂર્ણ રીતે ચાલી હતી. અભૂતપૂર્વ સહકાર આપવા બદલ અમદાવાદીઓનો આભાર માન્યો હતો. મહત્વનું છે કે, રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે CCTVથી પોલીસ બાજ નજર રાખવામાં આવી હતી. જેનું મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
Gujarat CM Shri @vijayrupanibjp did the real-time monitoring of the passage of #RathYatra through the streets of Ahmedabad through the CM dashboard command control wall from his official residence in Gandhinagar pic.twitter.com/uW54ckOUCN
મહંત દિલીપદાસજી મહારાજે આભાર વ્યક્ત કર્યો
ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા દિવ્યતાપૂવક સંપન્ન થઇ છે. આ પ્રસંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ તેમણે જણાવ્યુ હતું કે અનેક ભાવિકભક્તો, અનેક સંસ્થાઓની સેવા, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તેમજ મિડિયાના સહકારને તેમણે બિરદાવ્યા હતાં.
રથયાત્રામાં શું-શું હતું?
16 ગજરાજ આકર્ષણનું કેન્દ્ર
રથયાત્રામાં શણગારાયેલા 16 ગજરાજ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. રથયાત્રામાં અલગ અલગ પ્રકારના ટેબલો જોવા મળ્યા હતા. જેમાં દેશભક્તિને લગતો ટેબ્લો મુખ્ય આકર્ષણ બન્યો હતો. આ ટેબલો પર વિંગ કમાન્ડર અભિનંદનની તસવીર લગાવાઈ હતી, જેના થકી રાષ્ટ્રભાવનાનો મેસેજ આપવામાં આવ્યો હતો.
શણગારેલી ટ્રકો 101
રથયાત્રામાં શણગારેલા 101 ટ્રકો જોડાઈ હતી. જેમાં વિવિધ ટેબ્લો ઉભા કરાયા હતા. ત્યારે જેમ જેમ રથયાત્રા આગળ વધી તેમ તેમ લોકો વધુને વધુ ભક્તો રથયાત્રામાં જોડાયા હતા.
અખાડા દ્વારા અવનવા કરતબ
ભગવાન જગન્નાથની રથયાત્રામાં અખાડા દ્વારા અંગ કસરતના કરતબો, તલવારબાજીના પણ દિલધડક સ્ટન્ટ અને લાઠીનાં કરતબ પણ કરવામાં આવ્યા હતા. અખાડા દ્વારા રસ્તા પર મલખંભ તથા વિવિધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા.
ભજન મંડળીઓનું નાચગાન
રથ સાથે જોડાયેલી ભજન મંડળીમાં નાચગાન કરતા જોવા મળી હતી. જેનો લોકો આનંદ માણ્યો હતો. શરીર પર ધાર્મિક લખાણ સાથે અનેક લોકો રથયાત્રામાં જોડાયા હતા. તો કેટલાકના શરીર પર ટેટૂ ચિતરાવ્યું હતું. તો ગરબા અને હરીધુનની ઝલક પણ જોવા મળી હતી.
— Ahmedabad Police (@AhmedabadPolice) July 4, 2019
અમદાવાદના રથ દર વર્ષે નવા નથી બનતા
પુરીની જેમ ભગવાનના રથ દર વર્ષે બનતા નથી માત્ર સમારકામ થાય છે. હાલ જે રથ છે તે 7 દાયકા જૂના છે જેમાં ભગવાન નગરચર્ચા કરે છે. પ્રભુના રથ સાગના લાકડામાંથી તૈયાર થયા છે, આ રથ 1950માં બનાવાયા હતા જેમાં પ્રભુની શાહી સવારી નિકળે છે. જ્યારે સૌ પ્રથમ રથયાત્રાના રથ ખલાસીઓએ નાળિયેરથી બનાવ્યા હતા. એક રથમાં બે પૈડા આગળ અને 4 પૈડા પાછળ રાખવામાં આવે છે, જ્યારે એક રથમાં કુલ 6 પૈડા અને ત્રણેય રથના 18 પૈડા હોય છે. તો રથના પૈડા બાવળના લાકડામાંથી તૈયાર કરવામાં આવ્યા છે. 17 કિલોમીટરની યાત્રામાં રથ ખંડિત થવાની સંભાવના હોય છે, જેના કારણે રથના પૈડા પર લોખંડના પાટીયા ચડાવાયા છે. તો 8 પૈડા સ્પેર વ્હીલ તરીકે રખાય છે પરંતુ અત્યાર સુધી તેની જરૂર પડી નથી.