અમદાવાદમાં પોલીસકર્મીઓને કામમાં રાહત આપવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. હવે પોલીસ કર્મચારીઓને વીકલી ઓફ મળશે. દરરોજ 8 કલાકની નોકરી અને વીકલી ઓફ માટે પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.
અમદાવાદના 7 પોલીસ મથકમાં પ્રાયોગિક અમલ શરૂ કરાયો છે. જેમાં શહેરના 7 ઝોનના એક એક પોલીસ સ્ટેશનમાં અમલ કરવા આદેશ કરાયો છે. પોલીસ કમિશનર એ.કે. સિંઘે આ મામલે આદેશ કર્યો છે. જેમાં હવે 3 શિફ્ટમાં નોકરી અને 8 કલાકની જ નોકરી કરવી પડશે. તો સપ્તાહમાં એક દિવસની રજા પણ આપવામાં આવશે. PSIથી નીચેના કર્મચારીઓને વારાફરતી સપ્તાહમાં રજા અપાશે. અમદાવાદમાં પ્રાયોગિક બદલાવ સફળ થયા બાદ રાજ્યભરમાં તેનો અમલ કરવામાં આવશે.
કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈ કક્ષાના પોલીસ કર્મચારીઓને આ અઠવાડિક રજાનો લાભ મળશે. જો કે દરેક પોલીસ કર્મચારીઓને ફરતો વીકલી ઓફ એટલે કે ફરતી અઠવાડિક રજા આપવાની રહેશે. રજાની ફાળવણીની સત્તા પોલીસ સ્ટેશનના પીઆઈ પાસે રહેશે. તેમાં પણ પોલીસ સ્ટેશનના કુલ સ્ટાફમાંથી ઓછામાં ઓછા 70 ટકા પોલીસ કર્મચારીઓ નોકરી ઉપર હાજર રહે તે રીતે જ અઠવાડિક રજાની વહેંચણી કરવાની રહેશે.
ઘણા બધા પોલીસ સ્ટેશનોમાં પીઆઈ પર્સનલ એટલે કે પીઆઈના રાઈટરોની સંખ્યા 4 થી 6 જેટલી છે. જેથી દરેક પોલીસ સ્ટેશનમાં પીઆઈ પર્સનલમાં 2 કરતાં વધારે માણસોને નહીં રાખવા માટે પણ કડક સૂચના આપવામાં આવી છે.