દર ચોમાસામાં નાના રોપા માટે લાખો રૂપિયાના ખર્ચે ટ્રીગાર્ડની ખરીદી કરાય છે. વૃક્ષારોપણના બહાના હેઠળ ટ્રીગાર્ડનાં એક અથવા બીજા પ્રકારનાં કૌભાંડ થતાં રહ્યાં છે, જોકે પહેલી વખત ભાજપના શાસકો ટ્રીગાર્ડનાં કૌભાંડને રોકવા તેની વર્ષોજૂની ડિઝાઇન બદલવાના છે.
અત્યાર સુધી લોખંડનાં ટ્રીગાર્ડને નાના રોપા માટે ઉપયોગમાં લેવાય છે. આશરે ૯.૩ કિ.ગ્રા. વજનનાં લોખંડનાં ટ્રીગાર્ડના વજનમાં ૭૦૦ ગ્રામનો ઘટાડો કરીને તેની જૂની ડિઝાઇન મુજબનાં ટ્રીગાર્ડના આશરે રૂ.૩૯.૧૧ લાખના ટેન્ડરને તંત્રે મંજૂર કરીને તેને ગઇ કાલે મળેલી રિક્રિએશનલ કમિટીમાં મંજૂરી માટે મૂક્યું હતું. આ ટ્રીગાર્ડ માટે પ્રતિ ટ્રીગાર્ડ રૂ.૬પ૧.૮૪ની કિંમત નક્કી કરાઇ હતી, જોકે રિક્રિએશનલ કમિટીએ આ દરખાસ્તને અનિર્ણીત રાખી છે.
રિક્રિએશનલ કમિટીના ચેરમેન જિજ્ઞેશ પટેલ કહે છે, લોખંડનાં ટ્રીગાર્ડને કાટ લાગે છે. અનેક વાર ભંગારમાં વેચાઇ જવા સહિતની ગેરરીતિ થાય છે. આના બદલે હવે અમે પ્લાસ્ટિકનાં ટ્રીગાર્ડ પર પસંદગી ઉતારી છે. ૬ એમએમ જાડી પ્લાસ્ટિક મેટ ધરાવતાં આ ટ્રીગાર્ડને કાટ નહીં લાગે, તેનું વજન બહુ હળવું હશે. તેને ભંગારમાં નહીં વેચી શકાય તેમજ તેનો રિયુઝ થઇ શકશે. પ્લાસ્ટિકનાં ટ્રીગાર્ડ તંત્રને માત્ર રૂ.રરપમાં પડશે. આનાથી મ્યુનિસિપલ તિજોરીના લાખો રૂપિયાની બચત થશે.