મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા છેક માર્ચ ર૦૧૦માં ભદ્ર કિલ્લાના જિર્ણોદ્ધાર માટે રૂ.૭૮.૦૬ કરોડનો અંદાજ તૈયાર કરાયો હતો. તે વખતે ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટ પ્રોજેકટ હેઠળ બે તબક્કામાં કામગીરી વિચારણા હેઠળ લેવાઇ હતી. જે અંતર્ગત ભદ્ર કિલ્લાથી ત્રણ દરવાજા સુધીના પહેલા તબક્કા માટે નવેસરથી રૂ.ર૪.પ૯ કરોડનો અંદાજ બનાવાઇને તંત્ર દ્વારા આશરે ૩૪ ટકા વધુ ભાવના રૂ. ૩૨.૮૨ કરોડના ટેન્ડરને મંજૂરી અપાઇ હતી. જોકે આ સમગ્રો પ્રોજેકટના મામલે સૌથી વધુ ચોંકાવનારી વિગત એ છે કે તેની મૂળ ફાઇલનો અતોપતો જ મળતો નથી. આ પ્રોજેકેટની ગેરરીતિઓ-ગોટાળા બહાર આવે નહીં તે માટે ઇરાદાપૂર્વક મૂળ ફાઇલને ગાયબ કરી દેવાઇ છે.
તંત્રના મહત્ત્વાકાંક્ષી પ્રોજેકટ તરીકે ભદ્ર કિલ્લાના જિર્ણોદ્ધારનો પ્રોજેકટ ગણાય છે. આ પ્રોજેકટને લગભગ એક દાયકા પહેલાં વિચારણા હેઠળ લેવાયો હતો. મરાઠા શાસનકાળનો ઐતિહાસિક ભદ્ર કિલ્લો અને કિસ્સામાં બિરાજમાન માતા ભદ્રકાળીના મંદિરથી લઇને છેક ત્રણ દરવાજા સુધીના વિસ્તારને તંત્ર દ્વારા હેરિટેજ સ્થાપત્ય તરીકે વિકસિત કરવાની દિશામાં ગંભીરતાથી કવાયત હાથ ધરાઇ હતી. શહેરની નગરદેવી તરીકે ભદ્રકાળી માતાની પ્રતિષ્ઠા હોઇ આ પ્રોજેકટ સત્તાવાળાઓ માટે મહત્ત્વપૂર્ણ બન્યો હતો.
જોકે તંત્રના અન્ય પ્રોજેકટની જેમ આ પ્રોજેકટ પણ કૌભાંડોથી ખરડાયેલો હોવાનું તેની મૂળ ફાઇલ જ ગાયબ કરી દેવાતાં પુરવાર થાય છે. તંત્ર દ્વારા આ પ્રોજેકટ હેઠળ કેન્દ્ર સરકારને ભદ્ર પ્લાઝાથી ત્રણ દરવાજા સુધી પેડેસ્ટ્રિયન સ્કીમ, સમગ્ર વિસ્તારની હેરિટેજ છબીની જાળવણી, તેને ટૂરિઝમ સ્પોટ તરીકે વિકસિત કરવો, હયાત ઇન્ફ્રાસ્ટ્રકચરને અપગ્રેડ કરવું જેવી ખાતરીઓ અપાઇ હતી. આ માટે છેક જાન્યુઆરી, ર૦૧૦માં કેન્દ્ર સરકાર સમક્ષ તેનો ડિટેઇલ પ્રોજેકટ રિપોર્ટ (ડીપીઆર) રજૂ કરાયો હતો.
જોકે સત્તાવાળાઓ કેન્દ્ર સરકારને આપેલી ખાતરીઓનું પાલન કરવામાં મહદઅંશે નિષ્ફળ તો નીવડયા જ છે, પરંતુ પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે સેપ્ટની નિમણૂક કરાઇ હોવા છતાં સેપ્ટએ પણ કઇ કઇ ખાતરી પૂર્ણ કરાઇ નથી તે મામલે કોઇ સ્પષ્ટતા કરી હોય તેમ લાગતું નથી. કેન્દ્ર સરકારમાં મંજૂર કરાયેલા રૂ.૭૪.૩૯ કરોડના ડીપીઆર પણ મળતો નથી.
ટેન્ડરની મૂળ શરતોમાં પાછળથી કરાયેલા ભેદી સુધારા-વધારા પણ વિવાદાસ્પદ બન્યા છે. તત્કાલીન કમિશનરની આમાં મંજૂરી હતી કે કેમ? તે મોટો પ્રશ્ન ઊઠયો છે. પીએમસી સેપ્ટ અને આર્કિટેકટ વાસ્તુશિલ્પ ફાઉન્ડેશનના કોન્ટ્રાકટ પેપર અને તેમને ચૂકવાયેલી રકમની સ્પષ્ટતા થતી ન હોઇ આ બાબતે ચર્ચાસ્પદ બની છે.
કન્સલ્ટન્ટ દ્વારા અન્ય પાર્ટીઓના ભાવના ઇવોલ્યુશન રિપોર્ટની તંત્રે અવગણના કરી હોઇ આ કામના કોન્ટ્રાકટરને ફાયદો કરાવી આપવાના આક્ષેપ થયા છે. આ ઉપરાંત ૧૮પ વોટના ઇલેક્ટ્રિક પોલની જગ્યાએ ૭૬ વોટના એલઇડી ઇલેક્ટ્રિક પોલ નંખાવીને એનર્જી સેવિંગ કરવાના તંત્રના દાવા પોકળ નીવડયા છે. આમાં તો કોન્ટ્રાકટરને બમણો-અઢી ગણો ભાવ ચૂકવીને એનર્જી સેવિંગના નામે આર્થિક બખ્ખેબખ્ખાં કરાવ્યાં હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. ઓડિટમાં આ બધા ગોટાળા બહાર આવ્યા હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું.
તંત્ર દ્વારા કોન્ટ્રાકટરને સાઇટ પઝેશન અપાયા બાદ ફેબ્રુઆરી, ર૦૧રથી કામ શરૂ કરાયું હતું. જે એક વર્ષમાં પૂર્ણ કરવાનું હતું તેને બદલે બે વર્ષના વિલંબથી પૂરું કરાયું હોવા છતાં આ વિલંબ બદલ કોઇ કસૂરવાર ઠર્યા નથી.