ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટ્રાયબલ પાર્ટીએ નીતિશ કુમારની પાર્ટી JDU (જનતા દળ યુનાઇટેડ) સાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર
BTPએ JDU સાથે ગઠબંધનની કરી જાહેરાત
ગુજરાતની વિવિધ બેઠક પર ઊભા રાખશે ઉમેદવારો
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહી છે. ચૂંટણી જીતવા માટે તમામ રાજકીય પાર્ટીઓ તનતોડ મહેનત કરી રહી છે. એવામાં ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)એ નીતિશ કુમારની પાર્ટી JDU સાથે ગઠબંધનની જાહેરાત કરી છે.
નીતિશ કુમાર પ્રચાર કરવા આવશે ગુજરાતઃ છોટુ વસાવા
છોટુ વસાવાની હાજરીમાં બીટીપીના પ્રદેશ અધ્યક્ષ અને જનતા દળના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વચ્ચે બેઠક યોજાઈ હતી. જે બાદ છોટુ વસાવાએ જેડીયું અને બિટીપી ભેગા થઈને ચૂંટણી લડશે એવો મોટો ખુલાસો કર્યો છે. છોટુ વસાવાએ કહ્યું કે, જેડીયુના મદદ થી અમે ચૂંટણી લડીશું. આગામી દિવસોમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ચૂંટણીનો પ્રચાર કરવા માટે ગુજરાત આવશે.
બંને સાથે મળીને નવી યાદી જાહેર કરીશુંઃ વસાવા
BTPના સુપ્રીમો છોટુ વસાવાએ જણાવ્યું કે, જનતા દળ અમારા જૂના સાથી છે અને જૂના સાથી સાથે મળીને અમે ચૂંટણી લડીશું. આજે જેડીયું સાથે બેઠક છે. બંને સાથે મળીને આગામી નવી યાદી જાહેર કરીશું.
ગઈકાલે જ BTPએ જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી
ગતરોજ BTP (ભારતીય ટ્રાયબલ પાર્ટી)એ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. BTPએ 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. નાંદોદ બેઠક પર મહેશ શરદ વસાવાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ભિલોડા બેઠક પરથી ડો.માર્ક કટારા, ઝાલોદ બેઠક પરથી મનસુખ કટારા, દાહોદ બેઠક પરથી દેવેન્દ્ર મેડા, સંખેડા બેઠક પરથી ફુરકન રાઠવાને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ ઉપરાંત કરજણ બેઠક પરથી ઘનશ્યામ વસાવા, જંબુસર બેઠક પરથી મણીલાલ પંડ્યા, વ્યારા બેઠક પરથી સુનિલ ગામીત, નિઝર બેઠક પરથી સમીર નાઈક, ડાંગ બેઠક પરથી નિલેશ ઝાંબરે, ધરમપુર બેઠક પરથી સુરેશ પટેલ, નાંદોદ બેઠક પરથી મહેશ સરાદભાઈ વસાવા અને ઓલપાડ બેઠક પરથી વિજય વસાવાને ટિકિટ આપવામાં આવી છે.
આ પહેલા AAP સાથે કર્યું હતું ગઠબંધન
ઉલ્લેખનીય છે કે, તારીખ 1 મેના રોજ ગુજરાતમાં AAP અને BTP વચ્ચે ગઠબંધન થયું હતું. ભરૂચના ચંદેરીયાના વ્હાઇટ હાઉસ ખાતે BTPનું મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલન પહેલા અરવિંદ કેજરીવાલ અને છોટુ વસાવા વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં છોટુ વસાવાએ કહ્યું હતું કે, 'રાજકારણમાં નવા ઉદયની શરૂઆત થઇ છે. અગાઉ જેમની સાથે ગઠબંધન કર્યું તેમણે કામ ન કર્યું. ગરીબોનું કલ્યાણ થાય તે જ અમારુ લક્ષ્ય.' જે બાદ AAP અને BTP વચ્ચે ગઠબંધન ટૂંક સમયમાં જ તૂટી ગયું હતું. આ અંગે છોટુ વસાવાએ કહ્યું હતું કે, 'ટોપીવાળા AAPના લોકો દેખાતા નથી.' છોટુ વસાવાએ આપના નેતાઓ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, આપના નેતાઓ બીટીપીનું કહેલું માનતા નહોતા. ટોપીવાળા આપના લોકો ક્યાંય જોવા મળતા નહોતા.
2017માં બીટીપીને મળી હતી 2 સીટો
ગત વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો 182 સીટોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 99 બેઠકો કબજે કરી હતી. જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (કોંગ્રેસ)ને 77 સીટો મળી હતી. તો ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)ના 2 ઉમેદવાર, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના 1 ઉમેદવાર અને અપક્ષના 3 ઉમેદવારોનો વિજય થયો હતો. ઝગડિયા બેઠક પરથી બીટીપીના ઉમેદવાર છોટુ વસાવા 60.18 ટકા મતોથી જીત્યા હતા. જ્યારે દેડિયાપાડાથી મહેશ છોટુભાઈ વસાવા 50.22 ટકા મતોથી જીત્યા હતા.