ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા વચ્ચે ગોંડલ બેઠક પોતાને અથવા પરિવારના સભ્યોને મળે તે માટે સોંગઠાં ગોઠવી રહ્યા છે.
ગોંડલ બેઠક પર રાજકીય ઘમાસાણ
ભાજપના બે જૂથ આમને-સામને
ટિકિટ માટે બે જૂથ વચ્ચે ખેચતાણ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત અગાઉ જ ટિકિટ માટે દાવેદારીનો રાફડો ફાટ્યો છે. એ પછી ભાજપ હોય, કોંગ્રેસ કે પછી આપ. તમામ પક્ષોના રાજકિય નેતાઓ પોતાને ટિકિટ મળે તે માટે જોર લગાવી રહ્યા છે. શિસ્તબધ્ધ ગણાતી ભાજપ પાર્ટીમાં પણ ટિકિટ પેરવી માટે નેતાઑ અત્યારથી જ લોબિંગ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રની ગોંડલ વિધાનસભા બેઠક પર રાજકીય ઘમાસાણ યથાવત છે,.
બંને વચ્ચે વિવાદ યથાવત રહ્યો તો ગોંડલ બેઠકમાં નવો ચહેરો લાવી શકે ભાજપ: સૂત્ર
એક તરફ જયરાજસિંહ જાડેજા અને રીબડાના અનિરૂધ્ધસિંહ ગોંડલ બેઠક પરથી ટિકિટ મેળવવા મરણિયા પ્રયાસ કરી રહ્યા છે. અનિરૂધ્ધસિંહ જાડેજા સમર્થક રીબડાનું એક જુથ પણ એક્ટિવ થયું છે. બંને વચ્ચે ચાલી રહેલી ખેંચતાણમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ કરેલા સમાધાનના પ્રયાસ નિષ્ફળ નીવડ્યા છે. ટિકિટ માટે ભાજપના બે જૂથ આમને-સામને આવી ગયા છે. સૂત્રો અનુસાર મળતી માહિતી મુજબ રીબડા જૂથે ટિકિટ ડિમાન્ડની ફોર્મ્યુલા રજૂ કરી છે. રીબડા જૂથનું કહેવું છે કે અમે ભાજપના વિરોધી નથી પણ અમે પરિવારવાદના વિરોધી છીએ. આ સાથે જ ગોંડલ બેઠક પર થયેલી કામગીરીની માહિતી આપતા રિબડા જૂથ દ્વારા સહદેવસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા (અનિરૂધ્ધસિંહ જાડેજાના પુત્ર)ને ટિકિટ મળે તેવા પ્રયાસ થઈ રહ્યા છે. લેઉવા પાટીદારમાંથી ટિકિટ આપવાની પણ સમાધાન ફોર્મ્યુલા પર દાવ લગાવવામાં આવી શકે છે. આવતીકાલે રીબડા જૂથ મોટી જાહેરાત કરી શકે છે. સૂત્ર તરફથી મળતી માહિતી મુજબ બંને વચ્ચે વિવાદ યથાવત રહ્યો તો ગોંડલ બેઠકમાં નવો ચહેરો ભાજપ લાવી શકે છે.
રાજકારણમાં કોઈ કોઈના કાયમી મિત્રો નથી હોતાઃ જયરાજસિંહ
મહત્વનું છે કે આ પહેલા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ગોંડલ શહેર-તાલુકા કડવા પાટીદાર સમાજની બેઠકમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહપતસિંહ જાડેજાના પુત્ર અનિરૂધ્ધસિંહ. જાડેજા પર આકરા પ્રહાર કર્યા હતા. ગોંડલના વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પતિ અને પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, એક પણ શબ્દ ઘસાતો બોલવાનો મને અધિકાર નથી. પણ મિત્રો મારે દુઃખ સાથે એટલે કહેવું છે રાજકારણમાં કોઈ કોઈના કાયમી મિત્રો નથી હોતા અને કોઈ કોઈના કાયમી દુશ્મન નથી હોતા.
કડવા પાટીદાર સમાજની બેઠકમાં કર્યા પ્રહાર
તેમણે જણાવ્યું કે, 'અત્યારથી ગોંડલમાં બધી પ્લાનિંગની શરૂ થઈ ગઈ છે, જેમકે માર્કેટિંગ યાર્ડના ચેરમેન કોણ?, નગરપાલિકાના પ્રમુખ કોણ?, તાલુકા પંચાયતની કમાન કોને સોંપીશું, નાગરિક બેંક હવે કોને દઈશું. મને જે વાત મળે છે તે હું તમારી સમક્ષ મૂકુ છું કે અનિરૂધ્ધસિંહ. જાડેજા (રીબડા)ના સુપુત્ર રાજદીપભાઈ અત્યારથી ધારાસભ્ય બની ગયા છે. અનિરૂધ્ધસિંહ. એવું કહે છે કે યાર્ડનું રક્ષણ તો હું કરીશ. આમાં બે વસ્તુ ક્યાંય ભેગી નથી થતી. તમારે દૂધની ભલામણ કરવી હોય તો બિલાડીને દૂર રાખવી પડે. તમારો લોકર રૂમ હોય તો એને સ્ટોગ રાખવો પડે, લોકર રૂમના દરવાજા આગળ ગનમેન રાખવો પડે. ચોરને આ જવાબદારી ન સોંપાય. રીબડામાં જતા હશે એ બધાને ખબર છે કે રીબડાની અંદર જમીન કેવી રીતે વેચાય છે'
યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપના કાર્યક્રમમાં જયરાજસિંહની બાદબાકી કરાઈ
આપને જણાવી દઈએ કે, ગોંડલમાં થોડા દિવસ પૂર્વે યુદ્ધ એ જ કલાયણ ગ્રુપનો કાર્યક્રમ યોજાયો હતો, આ કાર્યક્રમમાં જયરાજસિંહની બાદબાકી કરાઈ હતી. આ કાર્યક્રમમાં નરેશ પટેલ, જયંતી ઢોલ, અલ્પેશ કથીરિયા, વરૂણ પટેલ સહિતના લોકો હાજર રહ્યા હતા. એક બાજુ ગોંડલ બેઠક પરથી જયરાજસિંહ પોતાના પરિવારમાંથી અથવા પોતાને ટિકિટ માટે પ્રબળ દાવેદાર માની રહ્યા છે. તો બીજી બાજુ યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપ અનિરૂદ્ધસિંહ જાડેજાની સાથે છે. અનિરૂદ્ધસિંહ પણ પોતાના પરિવાર અથવા ખૂદને ટિકિટ મળે તેવા પ્રયાસ કરી રહ્યા છે. વર્ષોથી અનિરૂદ્ધસિંહ અને જયરાજસિંહ જાડેજા જૂથ આમને સામને છે.
છેલ્લી બે ટર્મથી ભાજપ પાસે છે ગોંડલ બેઠક
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લી બે ટર્મથી ગોંડલ બેઠક ભાજપ પાસે છે. ગીતાબા જયરાજસિંહ જાડેજા ગોંડલના ધારાસભ્ય છે. ગોંડલ વિધાનસભા બેઠક પર કુલ 2,12,784 મતદારો છે. જેમાં 1,09,995 પુરુષ અને 1,02,789 મહિલા મતદારો છે. 2017ની ચૂંટણી સમયે જયરાજસિંહને હત્યાના કેસમાં રાજ્યની બહાર રહેવાની શરતે જામીન મળ્યા હતા. એ કારણે ગોંડલ બેઠક પર તેમના પત્નીને ટિકિટ મળી હતી. વિધાનસભાની ચૂંટણીમાં ગીતાબા જયરાજસિંહ જાડેજાનો વિજય થયો હતો.