દિલ્હીની એક કોર્ટે અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઇપી હેલીકોપ્ટર મામલાના સંબંધમાં ધરપકડ કરવામાં આવેલા કથિત મધ્યસ્થી ક્રિશ્ચિયન મિશેલની જામીન અરજી શનિવારે ફગાવી છે. વિશેષ જસ્ટિસ અરવિન્દ કુમારે કેન્દ્રીય તપાસ બ્યૂરો (સીબીઆઇ) અને ઇડીની તરફ દાખલ મામલામાં મિશેલની અરજી એમ કહેતા ફગાવી કે રાહત આપવા માટે પૂરતા આધાર નથી.
દુબઇથી પ્રત્યાર્પિત કરી લાવવામાં આવેલા મિશેલને ઇડીએ ગત વર્ષે 22 ડિસેમ્બરે ધરપકડ કરી હતી. આ વર્ષે 5 જાન્યુઆરીએ મિશેલને ઇડીએ દાખલ કરે મામલામાં ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયા હતા. મિશેલ કૌભાંડને પગલે સીબીઆઇ દ્વારા અન્ય એક મામલામાં પણ ન્યાયિક કસ્ટડીમાં હતા. મિશેલ આ મામલાના ત્રણ કથિત મધ્યસ્થીઓમાંથી એક છે. જેમની તપાસ ઇડી અને સીબીઆઇ કરી રહી છે. અન્ય બે મધ્યસ્થીના નામ હશકે અને કાર્લો ગેરોસા છે.
નોંધનીય છે કે યૂપીએ 1 ના કાર્યકાળમાં અગસ્તા વેસ્ટલેન્ડથી વીવીઆઇપી માટે 12 હેલિકોપ્ટરની ખરીદીનો સોદો થયો હતો. સોદો 3600 કરોડ રૂપિયાનો હતો. તેમાંથી 360 કરોડ રૂપિયાની લાંચરૂશ્વતની વાત સામે આવી હતી, જે બાદ યૂપીએ સરકારે સોદો રદ્દ કર્યો હતો.