કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદા સામે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ચાલુ છે, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ જેવા રાજ્યોથી હજારો ખેડૂતો દિલ્હીની સરહદે એકઠા થયા છે. આ દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે વિરોધ કરી રહેલા ખેડૂતો ને આંદોલનનો રસ્તો છોડીને વાતચીત કરીને આ પ્રશ્નનો ઉકેલ લાવવાની અપીલ કરી હતી.
કૃષિ મંત્રીએ કહ્યું," વિશ્વાસ છે વાતચીતપથી હલ નીકળશે"
ખેડૂત અગ્રણીઓએ સરકારને પહેલા ત્રણ કાયદા હટાવવાની માંગણી કરી
MSP મુદ્દે કૃષિ મંત્રીએ કહ્યું," તે ક્યારેય કાયદાનો ભાગ રહી નથી"
કેન્દ્રીય કૃષિ મંત્રી તોમરે કહ્યું,"દિલ્હીની પ્રજા સંયમ દાખવી રહી છે. સરકારને પણ ખ્યાલ છે કે તેઓ પીડિત છે. ખેડૂતો ને વિનંતી છે કે આંદોલનનો રસ્તો છોડી ચર્ચામાંથી કોઈ સમાધાન શોધી કાઢો. ચર્ચા ચાલી રહી છે. આવતીકાલે ખેડૂત નેતાઓ સાથે બેઠક પણ છે. અમે ઝડપી સમાધાન મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ."
ખેડૂત સંગઠનોની માંગણી," સરકાર કાયદાઓ રદ્દ કરે"
આ પહેલા જ ખેડૂત સંગઠનોના નેતાઓએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને સ્પષ્ટ કહ્યું હતું કે સરકારે ત્રણ કાયદાને રદ કરવા જોઈએ. ખેડૂત નેતા દર્શનસિંહે કહ્યું કે, "જ્યાં સુધી ત્રણેય કૃષિ કાયદા રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે અમારું આ આંદોલન ચાલુ રાખીશું." જો કે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરને વાતચીત દ્વારા ખેડૂતોની ચિંતા હલ કરવાની આશા વ્યક્ત કરી હતી.
લઘુત્તમ ટેકાના ભાવ MSP મુદ્દે એક ખાનગી મીડિયા હાઉસને કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું, 'તે ક્યારેય કાયદાનો ભાગ રહ્યો નથી. પીએમ મોદી ઇચ્છે છે કે આ ખેડૂતો ને આપવામાં આવે. અને તેમને લાભ મળી રહ્યા છે. અગાઉની સરકારોની તુલનામાં અમે ડબલ ખરીદી કરી છે. MSP માટે નિયમિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, મોદીજીએ આશ્વાસન આપ્યું છે અને તે ચાલુ રહેશે."
2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરીશું: કૃષિ મંત્રી
વિપક્ષના સવાલ પર કૃષિ પ્રધાને કહ્યું કે દરેક વસ્તુ કાયદાના દાયરામાં લાવી શકાતી નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS સાથે જોડાયેલા સ્વદેશી જાગરણ મંચની પ્રતિક્રિયા પર નરેન્દ્રસિંહ તોમરે કહ્યું, 'દરેક સંસ્થાની પોતાની દ્રષ્ટિ હોય છે, પરંતુ સરકારનો સર્વગ્રાહી દૃષ્ટિકોણ હોવો જોઈએ. અમે ખાતરી આપી કે કૃષિ ક્ષેત્રે રોકાણ હોવું જોઈએ અને 2022 સુધીમાં ખેડૂતો ની આવક બમણી કરવાની ઝુંબેશ ચાલી રહી છે. તે મોદીજીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ખેડૂત આંદોલનમાં ખાલિસ્તાની ઘૂસણખોરી અથવા તોફાની તત્વોના પ્રશ્નના મુદ્દે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે જે લોકોની સાથે હમણાં વાટાઘાટો થઈ રહી છે તે ખેતીના લોકો છે. તેની પાસે તેનો અનુભવ પણ છે. મને લાગે છે કે ત્યાં જે આંદોલન છે તે ખેડૂતોનું છે. ખેડૂત આંદોલનના નેતાઓ સાથે વાત કરવી એ મારો ધર્મ છે.