ગુજરાતમાં અતિવૃષ્ટિથી થયેલા પાકના નુકસાન મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલ અતિવૃષ્ટિગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેશે. જ્યાં તેઓ અલગ-અલગ જિલ્લાઓના કલેક્ટર સાથે બેઠક કરશે.
કૃષિમંત્રી અતિવૃષ્ટિગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેશે
વિવિધ જિલ્લાઓના કલેક્ટર સાથે મંત્રી બેઠક કરશે
રાજ્યમાં વરસાદના કારણે કૃષિ પાકોને મોટું નુકસાન
કૃષિમંત્રી છોટાઉદેપુરના કલેક્ટર સાથે બેઠક કરશે. પંચમહાલના જાબુઘોડાના પાક નુકસાન ગામોની મુલાકાત લેશે. છોટાઉદેપુરના બોડેલી તાલુકાના અતિવૃષ્ટિગ્રસ્ત થયેલા ગામડાઓની પણ રાઘવજી પટેલ મુલાકાત કરશે. તેઓ નર્મદા જિલ્લા કલેક્ટર સાથે પણ બેઠક કરશે અને નર્મદા જિલ્લાના અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની પણ મુલાકાત લેશે.
રાજ્યમાં ભારે વરસાદના કારણે કૃષિ પાકોને મોટું નુકસાન
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વરસેલા ભારે વરસાદના કારણે કૃષિ પાકોને મોટું નુકસાન થયું છે. જેથી રાજ્ય સરકાર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં 33 ટકાથી વધુ નુકસાની સહન કરનારા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. જ્યારે 33%થી વધુ નુકસાનીના કેસમાં વિશેષ સહાય પેકેજની વિચારણા કરવામાં આવશે.
33 ટકાથી વધુ નુકસાની સહન કરનારા ખેડૂતોને સહાય મળશે
આ સહાય ચૂકવવા માટે સરકારે સર્વે શરૂ કરી દીધો છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણી ઓસર્યું ન હોવાથી સર્વેની કામગીરી અટકી છે. જેથી સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સહાયનું પેકેજ જાહેર કરવામાં આવશે. આ સહાય મહેસૂલ, કૃષિ અને નાણા વિભાગના સંકલન દ્વારા જાહેર કરવામાં આવશે. જેમાં માત્ર બિયારણનું ધોવાણ થવા પર સહાય ચૂકવવામાં આવશે નહીં.
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 20 દિવસ પડેલા વરસાદને કારણે ભારે નુકસાન થયું છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. જેથી ખેડૂતોએ વાવેલી મગફળી, સોયાબિન અને કપાસ સહિતનો પાક નિષ્ફળ ગયો છે. જેને લઇ ખેડૂતોને તાત્કાલિક સર્વે પૂર્ણ કરીને સહાય ચૂકવવા માંગ કરી છે.