અતિવૃષ્ટીથી નુકસાન મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલ, જીતુ વાઘાણી તેમજ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ, લલિત વસોયાએ નિવેદન આપ્યા છે.
અતિવૃષ્ટીને કારણે ખેડૂતોના પાકને નુકસાન
ભાજપ કોંગ્રેસ સહાય મુદ્દે આમને સામને
8 જિલ્લામાં ભારે વરસાદથી વધુ નુકસાન: સરકાર
રાજ્યમાં વરસાદી આફતથી ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે અને ખેડૂતોની હાલત કફોડી થઈ છે.ત્યારે પાક નુકસાનીના સર્વેને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તો બીજી તરફ સરકારે સર્વેની કામગીરી પુરજોશમાં ચાલુ હોવાની વાત કહી છે.
સરકાર પાસે અહેવાલ આવે એટલે સહાય નક્કી થશે: કૃષિ મંત્રી રાઘવજી પટેલ
કૃષિમંત્રી રાઘવજી પટેલે પાક નુકશાનીના સર્વેને લઈ મોટું નિવેદન આપતા કહ્યું કે અતિવૃષ્ટીને કારણે ખેડૂતોના પાકને નુકશાન થયુ છે, તેવામાં ખેતિવાડી અધીકારીઓ સર્વે કરી રહ્યા છે, સરકાર પાસે અહેવાલ આવે એટલે સહાય નક્કી થશે, કેવી રીતે સહાય આપવી તે અહેવાલ આવ્યા બાદ જાહેરાત કરવામા આવશે.
8 જિલ્લાના 38 તાલુકાઓમાં સહાય માટે સર્વે ચાલુ: જીતુ વાઘાણી
તો કેબિનેટ બેઠક બાદ જીતુ વાઘાણીએ કહ્યું કે રાજ્યમાં હાલની સ્થિતિએ ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત તેમજ મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ મળી કુલ ૮ જિલ્લાઓના ૩૮ તાલુકાઓમાં કૃષિ પાકો અસરગ્રસ્ત થયા છે.અસરગ્રસ્ત તાલુકાઓના કુલ ૧૨૦ સર્વે ટીમ દ્વારા સર્વેની કામગીરી ચાલુ છે તથા ૨૯,૮૦૦ હેક્ટર વિસ્તારમાં સર્વે કામગીરી પૂર્ણ થઈ છે તથા પાણી ભરેલ વિસ્તારમાં પાણી ઉતરે તેમ તમામ વિસ્તારમાં સર્વેની કામગીરી પ્રગતિમાં છે.સર્વે કામગીરી તમામ વિસ્તારોમાં પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા નિયમોનુસાર ખેડૂતોને સહાય જાહેર કરવામાં આવશે.
33%થી વધુ નુકસાનમાં સહાય નહીં, જેટલુ નુકસાન થયું તે મુજબ સહાય જાહેર કરો: કિરીટ પટેલ, ધારાસભ્ય કોંગ્રેસ
પાક નુકસાની સર્વે મુદ્દે કોંગ્રેસ MLA કિરીટ પટેલે સરકારની સહાય નીતિ સામે સવાલ ઊભા કરતાં કહ્યું કે સરકાર ખેડૂતોની મુશ્કેલીમાં સાથે ઉભી રહેતી નથી, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિમાં ખેડૂતો મુદ્દે માત્ર વાતો કરે છે, અતિવૃષ્ટિમાં ખેડૂતોના પાક અને ખેતરો ધોવાયા છે, સરકારની કોઇ ફિક્સ પોલિસી નથી. સરકાર ખેડૂતોને સહાય માટે 33 ટકા નુકસાનની વાતો કરે છે, ખેડૂતોને જેટલુ નુકસાન થયું હોય તેની સહાય આપવી જોઇએ
તાત્કાલિક સર્વે કરી સહાય જાહેર કરો: લલિત વસોયા, કોંગ્રેસ MLA
પાક નુકસાની સર્વે મુદ્દે કોંગ્રેસ MLA લલિત વસોયાએ પણ સરકારને આડેહાથ લીધી છે. સરકારે નિયમો ફેરવીને ખેડૂતોને સહાય કરવી જોઇએ તેવો મત તેમણે પણ વ્યક્ત કર્યો છે. અને કહ્યું છે કે વધારે વરસાદથી પાક બળી ગયા છે, ખેડૂતોની સ્થિતિમાં સરકારે મદદ કરવી જોઇએ, તાત્કાલિક સર્વે કરાવીને સહાય આપવી જોઇએ વાતો કરવાની ખેડૂતોના પ્રશ્ન સોલ્વ નહીં થાય.