ગુજરાતમાં કૃષિ પેકેજને લઈને કૃષિ મંત્રી આર.સી.ફળદુએ એક નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે ચાલુ વર્ષે રાજ્યના અનેક ભાગોમાં સતત વરસાદને કારણે ખેડૂતોને ઘણું નુકસાન ગયું છે જો કે સાથે તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે સરકારે ખેડૂતોની સહાયતા માટે 3700 કરોડ રૂપિયાનું રાહત પેકેજની ઘોષણા કરી હતી.
રાજ્યમાં ખેડૂતો ની સ્થિતિને લઈને કૃષિ મંત્રી ફળદુએ એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે સ્વીકાર્યું હતું કે ચાલુ વર્ષે ગુજરાતના અનેક ભાગોમાં સતત વરસાદ વરસ્યો હતો જેના લીધે ઘણા ખેડૂતોના પાકને સીધું નુકસાન પહોંચ્યું હતું, આ અંગે જો કે તેમણે જણાવ્યું હતું કે સરકારે ખેડૂતોની મદદ માટે 3700 કરોડ રૂપિયાની કિમતનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું, જેનો ઘણા ખેડૂતોએ લાભ લીધો હતો.
"31 ઓકટોબર સુધી હજુ અરજી થઈ શકે છે": કૃષિ પ્રધાન
આ અંગે વધુમાં માહિતી આપતા તેમણે કહ્યું હતું કે "અત્યાર સુધીમાં રાજ્યના 15 લાખ 7 હજાર જેટલા ખેડૂતો ની નોંધણી થઈ ચૂકી છે, અને કુલ 20 જિલ્લાના 3 લાખથી વધુ ખેડૂતો ના ખાતામાં સીધા રૂપિયા જમા થયા છે. 10 થી 20 હજાર જેટલી રકમનો ખેડૂતો એ લાભ લીધો હતો. સાથે જ તેમણે કહ્યું હતું કે હજુ પણ આ પોર્ટલ પર નોંધણી શરૂ છે અને અરજી ન કરી શકનાર ખેડૂતો હજુ પણ 31 ઓકટોબર સુધી અરજી કરી શકે છે."
"નુકસાન જનાર ખેડૂતો એ રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ":કૃષિ મંત્રી
કૃષિ પ્રધાન ફળદુએ આ સાથે જ રાજ્યના ખેડૂતો ને સલાહ આપી હતી કે "નુકસાન પામેલા ખેડૂતોએ આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી લેવું જોઈએ" સાથે જ મગફળી ખરીદી અંગે તેમણે કહ્યું હતું કે ટેકનિકલ કારણોને લઈને ટેકાના ભાવે મગફળીની ખરીદી 5 દિવસ મોડી શરૂ થશે, આ પહેલા 21 ઓક્ટોબરે ખરીદી શરૂ થવાની હતી જો કે હવે તે સોમવારથી શરૂ થશે.
આ સિવાય કૃષિ પેકેજમાં સામેલ ન થનાર વિસ્તારોને સમાવવા માટે મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા કરાશે તેવુ તેમણે કહ્યું હતું અને સાથે જ જણાવ્યું હતું કે વિધાનસભાની પેટાચૂંટણી બાદ વધુ સહાય અંગે સરકાર ચર્ચા કરશે