કિસાન નેતાઓને એવી દહેશત છે કે આ કૃષિ વિધેયકો ખેડૂતોની મુશ્કેલીઓ વધારશે. ખાસ કરીને તેમને મુખ્ય ડર એ વાતનો છે કે આ વિધેયકોને પગલેે કૃષિ ઉત્પાદનો માટે હાલ પ્રવર્તતી લઘુતમ સમર્થન મૂલ્યની સિસ્ટમ ખતમ કરી નાખશે
કૃષિ વિધેયક મામલો ગરમાયો
હરસિમરતકૌર બાદલે ધરી દીધું રાજીનામું
દેખાવો બની રહ્યા છે ઉગ્ર
મોદી સરકારના તાજેતરના કૃષિ વિધેયકોમાં એવું તે શું છે કે જેનો ખેડૂતો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોના ઉગ્ર વિરોધ છતાં મોદી સરકારે તાજેતરમાં કૃષિ સંબંધિત બે વિધેયકો સંસદમાં ભારે હોબાળા અને હંગામા વચ્ચે પાસ કરાવી દીધા. સાંસદોની માગણી હતી કે આ વિધેયકો પર મતદાન કરાવવામાં આવે, પરંતુ રાજ્યસભામાં સંખ્યાની દૃષ્ટિએ શાસક પક્ષની સ્થિતિ નબળી હોવાથી ઉપાધ્યક્ષે ઉતાવળે મૌખિક મતદાન દ્વારા વિધેયકો પસાર કરાવતાં સાંસદોએ વધુ મિજાજ ગુમાવ્યો હતો અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણસિંહને ધક્કે ચઢાવીને માઇક વગેરે તોડી નાખ્યાં હતાં.
હરસિમરતકૌર બાદલે રાજીનામું આપતાં શાસક પક્ષ માટે મુશ્કેલીઓ વધી
ખાસ કરીને કિસાન નેતાઓમાં સરકાર વિરુદ્ધ ભારે રોષ પ્રવર્તે છે અને એટલે સુધી કે એનડીએના જ સાથી પક્ષ શીરોમણિ અકાલીદળના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન હરસિમરતકૌર બાદલે રાજીનામું આપતાં શાસક પક્ષ માટે મુશ્કેલીઓ વધી છે. કારણ કે કિસાન વિધેયકોના મામલે હવે માત્ર વિપક્ષો જ નહીં, પરંતુ મોદી સરકારના સાથી પક્ષોએ પણ વિરોધનું રણશીંગું ફૂંકયું છે.
કિસાન નેતાઓને એવી દહેશત છે કે આ કૃષિ વિધેયકો ખેડૂતોની મુશ્કેલીઓ વધારશે. ખાસ કરીને તેમને મુખ્ય ડર એ વાતનો છે કે આ વિધેયકોને પગલેે કૃષિ ઉત્પાદનો માટે હાલ પ્રવર્તતી લઘુતમ સમર્થન મૂલ્ય (એમએસપી)ની સિસ્ટમ ખતમ કરી નાખશે. બીજી દહેશત એ છે કે કૃષિ ઉત્પાદનનાં વેચાણ માટે હાલ જે મંડી સિસ્ટમ પ્રવર્તે છે તેનો એકડો નીકળી જશે.
મૌખિક મતદાનથી પસાર થયાં ખરડા
રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણસિંહને મોદી સરકારના કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે રજૂ કરેલા ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બિલ અને ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓન પ્રાઈસ એશ્યોરેન્સ એન્ડ ફાર્મ સર્વિસીઝ બિલ એ બે ખરડા પર મતદાન કરાવવાનું પણ યોગ્ય ના લાગ્યું. મૌખિક મતદાનથી જ તેમણે બંને ખરડાને પસાર કરાવી દીધા ને વિપક્ષો જોતા રહી ગયા.
કૃષિ ઉત્પાદનની ઓનલાઈન ખરીદી કાયદેસર બની જશે
રાજ્સભામાં પસાર થયેલા બે ખરડા પૈકી ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ બિલ હેઠળ કોઈ પણ કૃષિ ઉત્પાદનની ઓનલાઈન ખરીદી કાયદેસર બની જશે. આ કાયદા હેઠળ જેની પાસે પાન નંબર છે એવી કોઈ પણ વ્યક્તિ કે કંપની કૃષિ ઉત્પાદનોની સીધી ઓનલાઈન ખરીદી માટે પ્લેટફોર્મ બનાવી શકશે. તેની મદદથી તે ખેડૂતો પાસેથી સીધો માલ ખરીદી શકશે. ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓન પ્રાઈસ એશ્યોરેન્સ એન્ડ ફાર્મ સર્વિસીઝ બિલ કોઈ પણ ખેડૂત સાથે જેની પાસે પાન નંબર છે એવી કોઈ પણ વ્યક્તિ કે કંપની કૃષિ ઉત્પાદનોની સીધી ખરીદી માટેનો કરાર કરી શકશે. આ કરારમાં કંપની કે વ્યક્તિ ખેડૂતને તેના ઉત્પાદન માટે જે ભાવ નક્કી કરશે તેનો ઉલ્લેખ કરવાનો રહેશે ને એ ભાવે ખરીદી કરવાની ખાતરી આપવી પડશે.
કિસાન નેતાઓને ડર છે કે ઉપરોકત બંને વિધેયકો લાગુ થવાથી કિસાનોના ઉત્પાદનોની ખરીદી મંડીમાં થશે નહીં અને તેથી સરકાર કિસાનોને લઘુમત સમર્થન મૂલ્ય મળે છે કે કેમ તેને રેગ્યુલેટ કરી શકશે નહીં. કારણ કે આ વિધેયકમાં ખેડૂતોને લઘુમત સમર્થન મૂલ્યની ગેરંટી આપવામાં આવી નથી. ખેડૂતોની માગણી છે કે લઘુમત સમર્થન મૂલ્યને ખેડૂતોનો કાનૂની અધિકાર બનાવવામાં આવે કે જેેથી નિર્ધારિત દરથી ઓછા ભાવે ખરીદ કરનારને જેેલમાં જવું પડે. કિસાનોને બીજો ડર એ છે કે નવા કાયદામાં એવું સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે મંડીની અંદર પાક આવવાથી માર્કેટ ફી લાગશે અને મંડીની બહાર અનાજ વેચવા પર માર્કેટ ફી નહીં. આથી મંડી ધીમે ધીમે બંધ થઇ જશે. કારણ કે માર્કેટ ફી ચૂકવીને મંડીમાંથી ખરીદી કોણ કરશે.
કિસાન વિધેયકોના મામલે દેશભરમાં આંદોલન ઉગ્ર બન્યું
આમ ધીમે ધીમે કિસાન વિધેયકોના મામલે દેશભરમાં આંદોલન ઉગ્ર બનતું જાય છે અને તેમાં હવે વિપક્ષોને ભાજપના સાથી પક્ષોનો પણ સાથ મળી રહ્યો છે. આગામી સમયમાં મોદી સરકારની મુશ્કેલી વધી શકે છે. આશા રાખીએ કે મોદી સરકાર કિસાનોના વિશાળ હિતમાં તેમની માગણીઓ પ્રત્યે સકારાત્મક અભિગમ દાખવે.