કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો આંદોલનને વધુ ઉગ્ર બની રહ્યું છે અને આજે આંદોલનનો 18મો દિવસ છે ત્યારે હવે દિલ્હી-જયપુર હાઇવે પર ખેડા બોર્ડર પર રાજસ્થાનના ખેડૂતોના આવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
ખેડૂત આંદોલન બન્યું વધુ મજબૂત
રાજસ્થાનના ખેડૂતો દિલ્હી તરફ કરી કૂચ
બોર્ડર પર ગોઠવાયો ડબલ લેયર સુરક્ષા બંદોબસ્ત
ઉલ્લેખનીય છે કે, ખેડુતોના આંદોલનને ધ્યાનમાં રાખીને પોલીસે ટ્રોલી મૂકીને હાઇવે બંધ કરી દીધો છે. રવિવારે રાજસ્થાનના અનેક ખેડૂત સંગઠનો સહિત દક્ષિણ હરિયાણાના ખેડૂતોએ ખેડા બોર્ડરથી દિલ્હી સુધીની યાત્રા કરવાની જાહેરાત કરી છે. અહીંથી આવતા વાહનોને અન્ય માર્ગો પર ડાયવર્ટ કરીને મોકલવામાં આવે છે.
જામિયાના વિદ્યાર્થીઓ પહોંચતા કરાયો વિરોધ
ગાજીપુર સરહદે ખેડૂત આંદોલનમાં ભાગ લેવા જામિયાના કેટલાક વિદ્યાર્થીઓ પહોંચ્યા છે. આ વિદ્યાર્થીઓમાં 4-5 છોકરીઓ પણ સામેલ છે જ્યારે એક છોકરો સામેલ હતો. ખેડૂત આંદોલનકારીઓએ આ લોકોનો તુરંત વિરોધ કર્યો. ખેડૂતોનો વિરોધ જોઇને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ખેડૂત આંદોલનકારીઓએ શાંતિથી તે તમામ છોકરીઓ અને છોકરાઓને ગાજીપુરથી ચાલ્યા જવાનું જણાવ્યું હતું, ત્યારબાદ જામિયાના તમામ વિદ્યાર્થીઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા.
હરિયાણા પોલીસ બની સતર્ક
જયપુરથી ખેડૂતો બહાર આવવાના સમાચાર મળ્યા બાદ હરિયાણા પોલીસ ખૂબ સતર્ક બની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હરિયાણા પોલીસ સતત રાજસ્થાન પોલીસના સંપર્કમાં રહે છે. ખેડુતો ત્યાંથી દિલ્હી તરફ મુસાફરી કરશે ત્યાં જ હરિયાણા પોલીસને જાણ કરવામાં આવશે. રેવાડીના એસપી અભિષેક જોરવાલ દ્વારા ભિવાડી અને રેવારી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અહીં કલમ -144 લગાવી દેવામાં આવી છે.
બોર્ડર પર ગોઠવાયો ડબલ લેયર બંદોબસ્ત
રાજસ્થાનથી ખેડૂતોના આગમન પછી રેવારીમાં 3 કંપની અર્ધસૈનિક દળ અને જિલ્લા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વજ્ર વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સરહદ પર ડબલ લેયર સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે અને જો જરૂર પડે તો અડધા કલાકમાં સરહદ બંધ કરી શકાય છે.
આજે હાઈવે ચક્કાજામ કરાશે
રવિવારે સવારે 11 વાગ્યે રાજસ્થાનના શાહજહાંપુરના ખેડૂતો જયપુર-દિલ્હી નેશનલ હાઈવે દ્વારા દિલ્હી ચલો માર્ચ શરુ કરશે. સંયુક્ત ખેડૂત આંદોલનના નેતા કમલ પ્રીત સિંહ પન્નૂએ શનિવારે જણાવ્યું કે,આજે 11 વાગ્યે રાજસ્થાનનથી જયપુર-દિલ્હીવાળો જે રોડ છે તેને રોકવા માટે હજારોની સંખ્યામાં ખેડૂત ટ્રેક્ટર માર્ચ કરશે.'
14 તારીખે ઉપવાસ પર બેસશે ખેડૂત
કૃષિ કાયદાની વિરોધમાં ખેડૂતો 14 ડિસેમ્બરે ઉપવાસ પર પણ બેસવાના છે. ખેડૂતો સોમવારે સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ભૂખ હડતાલ કરશે. સંયુક્ત ખેડૂત આંદોલનના નેતા આ વિશેની જાણકારી આપીને કહ્યું છે, 'તમામ ખેડૂત સંગઠનોના પ્રતિનિધિ અને અધ્યક્ષ સ્ટેજ પર 14 તારીખે ઉપવાસ પર બેસશે. અમે અમારી માતાઓ અને બહેનોને આ આંદોલનમાં જોડાવવા માટે આહ્વાન કરી રહ્યા છીએ. તેમની રહેવાની અને ટોઈલેટની વ્યવસ્થા કર્યા બાદ તેમને આંદોલનમાં જોડીશું.'
અમેરિકા સુધી પહોંચ્યા ખેડૂત આંદોલનના પડઘા
કૃષિ કાયદા સામે વિરોધ પ્રદર્શન દરમિયાન અમેરિકામાં મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે તોડફોડ કરવામાં આવી છે. પ્રદર્શન દરમિયાન ખાલિસ્તાનના ઝંડા પણ લહેરાવવામાં આવ્યા અને સાથે જ વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસ બહાર પ્રદર્શન કરતો વીડિયો વાયરલ થયો છે.
દેશમાં ખેડૂત પોતાની માંગને લઈને 2 અઠવાડિયાથી વધારે સમયથી સડક પર છે ત્યારે આંદોલનની આડમાં વિરોધીઓ હરકતો પણ જોવા મળી રહી છે. શનિવારે ખેડૂત માંગના સમર્થનમાં વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસ સામે પ્રદર્શન કરાયું જેમાં ગાંધીજીની પ્રતિમાની સાથે તોડફોડની ઘટના પણ બની છે.
આ દેશોમાં પણ ખેડૂત આંદોલનના સમર્થનમાં પ્રદર્શન
ખેડૂત આંદોલનના સમર્થનમાં અમેરિકા, બ્રિટન અને કેનેડા સહિતના અનેક દેશો સામેલ છે, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ, કનાડાના પીએમ જસ્ટિન ટ્રૂડો ખેડૂતોના પ્રદર્શનનું સમર્થન કરી રહ્યા છે. ખેડૂતોને શાંતિપૂર્ણ રીતે પ્રદર્શનનો અધિકાર છે.
આ પહેલાં પણ વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસની પાસે મહાત્મા ગાંધીની પ્રતિમાની સાથે આ વર્ષે જૂનમાં પણ જ્યોર્જ ફ્લોયર્ડના મોત બાદના પ્રદર્શનમાં તોડફોડ કરાઈ હતી. અમેરિકામાં મેટ્રોપોલિટન પોલિસ અને પાર્ક પોલિસની પાસે ફરિયાદ નોંધાઈ પછી બાપૂની પ્રતિમાને ફરી સાજી કરાઇ હતી. 16 સપ્ટેમ્બર 2000માં પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીએ તેનું અનાવરણ કર્યું હતું.