ત્રણેય સેનાઓમાં ભરતી માટે કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. જેને લઇને એકબાજુ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે તો બીજી તરફ રાજકીય નેતાઓ રાજકીય રોટલા શેકી રહ્યાં છે.
હવે આ વિવાદમાં નેતાઓની સાથે અભિનેતાઓએ પણ એન્ટ્રી કરી છે. ખરેખર, બોલીવુડ અભિનેત્રી રવીના ટંડને અગ્નિપથ યોજનાને લઇને એક ટ્વિટ કર્યુ. રવિનાના ટ્વિટ બાદ RLD પ્રમુખ જયંત ચૌધરીએ અભિનેત્રીને ટેન્શન ના લેવાની સલાહ આપી છે. જાણકારી મુજબ, અભિનેત્રી રવિના ટંડને તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો. વીડિયોમાં કેટલાંક પ્રદર્શનકારીઓએ અગ્નિપથ યોજનાનો વિરોધ કર્યો છે. રવિનાએ ટ્વિટ કરી લખ્યું કે પ્રદર્શન કરતા 23 વર્ષના અભ્યર્થી. ખરેખર, વીડિયોમાં વિરોધ પ્રદર્શન અને નારેબાજી કરી રહેલા લોકો ઉંમરમાં 23 વર્ષથી વધુના દેખાઈ રહ્યાં છે. રવિનાના આ ટ્વિટર પર આરએલડી પ્રમુખ જયંત ચોધરીએ રિએક્શન આપ્યું.
દેશભરમાં થઇ રહ્યું છે વિરોધ પ્રદર્શન
રાજ્યસભા સાંસદ જયંત ચૌધરીએ અભિનેત્રીના ટ્વિટને રિટ્વિટ કરતા લખ્યું, તમે મસ્ત રહો, કેમ ટેન્શન લો છો! જયંત ચૌધરીની પાર્ટી આરએલડીએ સેના ભરતીની અગ્નિપથ યોજનાનો વિરોધ કર્યો છે. આ સાથે કેન્દ્ર સરકારને યોજના પાછી લેવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે અગ્નિપથ યોજના વિરુદ્ધ દેશભરમાં પ્રદર્શન દિવસે-દિવસે વધી રહ્યું છે. બિહારમાં પ્રદર્શનોને જોઇને 15 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. આ સાથે બિહાર જતી બધી ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે. રેલવે સુત્રો મુજબ, અત્યાર સુધી રેલવે સંપત્તિને 500 કરોડ રૂપિયાથી વધુનુ નુકસાન થયુ છે.