આધુનિક યુગમાં શિક્ષણનું ઘણુ મહત્ત્વ છે. ત્યારે રાજ્યના છેવાડાના કોઈ બાળકો શિક્ષણથી વંચિત રહી ન જાય તેની ચિંતા સરકાર કરી રહી છે. સરકારે રણમાં વસતા અગરિયાઓના બાળકોના શિક્ષણ માટે સ્કૂલ ઓન વ્હીલ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
સરકારે રણમાં વસતા અગરિયાઓના બાળકો માટે શરૂ કર્યો અનોખો પ્રોજેક્ટ
જર્જરિત બસને રિનોવેટ કરીને શાળામાં કરાઇ રૂપાંતરીત
'રણ શાળા' નામ અપાયું
ચારે તરફ અફાટ રણ વચ્ચે ભલે અહીં કોઈ નજરે ન ચડતું હોય, પરંતુ સરકારને અહીં દેશના મુરજાતા ભવિષ્યની ચિંતા નજરે પડી હતી. કેમ કે, આ રણમાં દેશના ભવિષ્યનું જીવન ખારું થઈ જાય તે વાત જનહિતૈષી સરકારે કદી પાલવે નહી. આખરે અમે અમારી તલાશના એ મુકામ પર આવી પહોંચ્યા કે જ્યાંથી આ દેશના છેવાડાના બાળકોની યાત્રા શરૂ થાય છે.
જર્જરિત બસને રીનોવેટ કરી શાળામાં કરાઇ રૂપાંતર
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રણ વિસ્તારમાં મીઠું પકવવાના વ્યવસાય સાથે જોડાયેલા અગરિયા પરિવારોના બાળકોના શિક્ષણની ચિંતા સરકારે કરી છે. આ માટે ગુજરાત સરકારે એસટી વિભાગની જર્જરિત બસો ને રીનોવેટ કરીને હરતી-ફરતી શાળામાં રૂપાંતર કરી છે. બસમાં તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણ લગાવવામાં આવ્યા છે જે ઉપકરણો સોલાર થી ચાલે છે. બસમાં ટીવી, બેન્ચીસ, ફાયર સેફટી, બાળકોને મનપસંદ કાર્ટુન વાળા લખાણ, પંખા, એલઈડી લાઈટ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. રણ વચ્ચે આવી હરતી ફરતી હાઈટેક શાળામાં અભ્યાસ કરીને બાળકો ખુશી અનુભવી રહ્યા છે..
અગરિયાઓના બાળકોને મફત શિક્ષણ આપવાનો હેતુ
નવાઈની વાત એ છે કે રણશાળા દ્વારા સરકાર માત્ર બાળકોના અભ્યાસની જ ચિંતા નથી કરતી પરંતુ તેમના પોષણની પણ ચિંતા કરે છે રણશાળામાં બાળકોને પોષ્ટિક નાસ્તો અને ભોજન પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સાંતલપુરના રણ વિસ્તારમાં અગરિયાઓના બાળકોને મફત શિક્ષણ મળી રહે તે માટે આવી 9 બસો મૂકવામાં આવી છે.
સરકાર દ્વારા શરૂ કરાઇ રણશાળા
સરકારે અગરિયાના બાળકોના શિક્ષણની ચિંતા કરવી પડે તે માટેના ઘણા ભૌગોલિક અને સામાજિક કારણો છે. અગરિયાઓ ડિસેમ્બરથી એપ્રિલ સુધીના પાંચ મહિના રણ વિસ્તારમાં જ ગાળતા હોય છે. પાંચ મહિના પોતાના પરિવાર સાથે રણમાં તંબૂ બાંધી મીઠું પકવતા હોય છે. માતા-પિતા સાથે બાળકો પણ રણવિસ્તારમાં જતા રહે છે. આ સમય દરમિયાન બાળકોનો અભ્યાસ અધવચ્ચે જ છૂટી જાય છે. પરંતુ સરકાર દ્વારા રણશાળા રૂપે આ પહેલથી અનેક બાળકોના વાલીઓની ચિંતા હળવી થઈ છે.
આમપણ એસટી બસ સેવાનું કામ મુસાફરોને મંઝીલ સુધી પહોંચાડવાનું હોય છે. ત્યારે હવે સાંતલપુરના રણ વિસ્તારમાં સરકારની આજ એસટી બસ અગરિયાઓના બાળકોને જીવનના લક્ષ્ય અને મંઝિલ સુધી જરૂર પહોંચાડશે.