દિલ્હી બાદ હવે પંજાબ વિધાનસભામાં મોટી જીત બાદ આમ આદમી પાર્ટી રાજસ્થાનમાં પોતાનો પક્ષ મજબૂત કરવાની યોજના બનાવી રહી છે. AAP 26-27 માર્ચનાં રોજ બે દિવસનો રાજ્ય સ્તરીય 'વિજય ઉત્સવ' સંમેલન યોજશે.
પંજાબ બાદ AAP હવે રાજસ્થાનમાં પોતાનો પક્ષ મજબૂત કરશે
26-27 માર્ચે કરાશે બે દિવસીય વિજય ઉત્સવનું આયોજન
ટૂંક સમયમાં રાજસ્થાનમાં પ્રદેશ અધ્યક્ષના નામની કરાશે જાહેરાત
AAP રાજસ્થાનમાં આધાર મજબૂત કરશે
પાર્ટી આ 'વિજય ઉત્સવ' સંમેલનમાં પાર્ટીના પ્રદેશ પ્રભારી અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે. AAPનાં રાજ્ય સહ-પ્રભારી ખેમચંદ જાગીરદારે કહ્યું કે, પાર્ટીએ હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજસ્થાન પંજાબનું પાડોશી રાજ્ય રહ્યું છે અને નવી દિલ્હીની નજીક છે. આથી રાજ્યમાં સંગઠનને મજબૂત કરવા પાર્ટી 26 અને 27 માર્ચે બે દિવસીય રાજ્ય સંમેલનનું આયોજન કરી રહી છે. તેઓએ જણાવ્યું કે, 'પાર્ટીની નીતિઓને પાયાના સ્તરે આગળ લઈ જવા અને આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારી કરવા માટેની વ્યૂહરચના અંગે ચર્ચા કરવા માટે પ્રદેશ પ્રભારી સંજય સિંહ પણ આ સંમેલનમાં ભાગ લેશે. રાજસ્થાનમાં 2023નાં અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
ટૂંક સમયમાં જ જાહેર થશે પ્રદેશ અધ્યક્ષનું નામ
જાગીરદારે જણાવ્યું કે, રાજસ્થાનમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષનું નામ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. પાર્ટીના નેતાઓએ કહ્યું કે, બે દિવસનાં સંમેલન દરમિયાન દ્વારકા (દિલ્હી) થી AAPનાં ધારાસભ્ય અને પૂર્વ સાંસદ મહાબલ મિશ્રાના પુત્ર વિનય મિશ્રાને રાજસ્થાનની જવાબદારી આપવામાં આવી શકે છે. સાંસદ સંજય સિંહ નવો ચહેરો રજૂ કરી શકે છે.
આવતા મહિને શરૂ થશે પાર્ટીનો સર્વે
તેમણે કહ્યું કે, પાર્ટી આવતા મહિને સર્વે શરૂ કરવા જઈ રહી છે અને રાજ્યમાં મુખ્ય રાજકીય પક્ષોને વિકલ્પ આપવા માટે સભ્યપદ અભિયાન ચલાવી રહી છે. તમને જણાવી દઈએ કે, 2018ની રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં AAPએ રાજ્યની 200 સીટોમાંથી 142 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતાં. જો કે, તેના એક પણ ઉમેદવારને સફળતા નથી મળી અને તેને એકંદરે 0.4 ટકા મત મળ્યા હતાં.