ડાંગમાં ગંગાભાઈ પવારે પાણીની અછતને લઇને જાત મહેનતે પાંચ કૂવા ખોદી નાખ્યા હતા.
ગુજરાતના `માંઝી' ગંગાભાઈ પવાર
4 પ્રયાસ નિષ્ફળ જતાં ન માની હાર
ડાંગ જિલ્લાના મોટાભાગના ખેડૂતોના પાણી માટે વલખાં
ડાંગ ગુજરાતનું ચેરાપુંજી છે. પણ વરસાદની સિઝન જતાં જ પાણીની અછત સર્જાય છે અને આ મજબૂરીએ એક ખેડૂતને કૂવો ખોદવા માટે પ્રેરણા આપી હતી. ડાંગના ખેડૂતે એક બે નહીં પણ 5 કૂવા ખોદી નાખ્યા હતા જેમાં પાણી આવતા તેમના પરિવારમાં ખુશીનો કોઇ પાર નથી.
ગુજરાતનો `માંઝી' પાણી માટે ખોદ્યો કૂવો
બિહારમાં રસ્તો બનાવા માટે એકલા હાથે પહાડ ખોદનાર દશરથ માંઝીને તમામ લોકો જાણતા જ હશે. પણ ગુજરાતના ડાંગ જિલ્લામાં પણ આવા જ એક માંઝી છે જેમને એકલા હાથે અનેક કૂવા ખોદી નાખ્યા હતા. ગંગાભાઈ પવાર જે ડાંગ જિલ્લાના આહવા તાલુકાના વાસુર્ણા ગામના રહેવાસી છે. ચોમાસા દરમિયાન ડાંગમાં અહીં 100 ઈંચથી વધુ વરસાદ વરસતો હોય છે. છતાં ઉનાળો આવતાં જ અહીં લોકો પાણી માટે વલખા મારતા નજરે પડે છે.સિંચાઈ હોય કે ઘર વપારશ માટેનું પાણી જેને લેવા માટે લોકોને ભારે સંઘર્ષ કરવો પડે છે. સરકાર દ્વારા કરોડોની યોજનાઓ સાકાર કરવામાં આવી છે. પણ લોકો સુધી જળ નથી પહોંચતું. જંગલમાં જળ માટે દૂર દૂર સુધી ભટકવું પડે છે. આ એક નહીં પણ ડાંગ જિલ્લાના મોટાભાગના ખેડૂતોની સ્થિતિ છે.
4 પ્રયાસ નિષ્ફળ જતાં ન માની હાર
ડાંગના આહવા તાલુકના વાસુર્ણા ગામના ગંગાભાઈ પવાર પણ પાણીના સંકટનો સામનો કરી રહ્યા હતા. 60 વર્ષીય ગંગાભાઈ પવાર છેલ્લા 20 વર્ષથી કુવાની માગ કરી રહ્યા હતા. જોકે તેમની માગ ન સંતોષાતા ગંગાભાઈએ એકલા હાથે કૂવો ખોદવાનું શરૂ કરી દીધું હતું. પ્રથમ કૂવો 10 ફૂટ ખોદ્યા બાદ ખડક આવી જતાં કામ અધૂરુ મૂક્યું હતું. બીજો કૂવો 9 ફૂટ ખોદ્યા બાદ ખડક નીકળ્યા હતો છતાં ગંગાભાઈએ હાર ન માની અને ત્રીજો કૂવો ખોદવાનું શરૂ કર્યું હતું જેમાં 15 ફૂટે પાણી નિકળ્યું હતું. જોકે સિંચાઈ માટે અન્ય ખેડૂતોને કૂવો ફાળવી દીધો ત્યાર બાદ ચોથો કૂવો ખોદ્યો જેમાં 15 ફૂટે ખડક આવી ગયા હતા. ચાર પ્રયાસ બાદ પણ હાર ન માનીને માત્ર 14 મહિનામાં ગંગાભાઈએ 32 ફૂટ ઉંડો કૂવો ખોદ્યો હતો. આ કૂવામાં પાણી આવતાં ગંગાભાઈ અને તેમના પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.
સરકાર કૂવામાં પાકુ ચણતર કરી આપે તેવી ખેડૂતની માંગ
ગામના સરપંચને આ અંગે જાણ થતાં તેમને પણ ગંગાભાઈની મહેનતને બિરદાવી હતી. અને અભિનંદન પાઠવ્યા હતા. ગંગાભાઈની માગ છેકે કૂવો તો જાતે ખોદીને પાણી લઈ આવ્યો પણ હવે સરકાર આ કૂવામાં પાકુ ચણતર કરી આપે. ત્યારે હવે ખેડૂતની આ માગ સરકાર પૂરી કરે તેવી લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે.