ગરવા ગીરનારની ગોદમાં આવી રહ્યો છે આધ્યાત્મનો ઉત્સવ. સાધુ સંતોનું ભવનાથ તળેટીમાં આગમન થઈ રહ્યું છે. બે વર્ષ બાદ જૂનાગઢમાં શિવરાત્રીનાં મેળાની મંજૂરીથી ભાવિકોમાં અનન્ય ઉત્સાહ
શિવરાત્રીના મેળાની તડામાર તૈયારીઓ
બે વર્ષ બાદ શિવરાત્રી મેળાને મંજૂરી મળી
ભજન,ભક્તિ ને ભોજનનો ત્રિવેણી સંગમ
ઉત્સવો એ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. મન મુકીને ઉજવાતા હોય છે. પરંતુ છેલ્લા બે વર્ષ કરતા પણ વધુ સમયથી આવેલા કોરોનાની અનેક પરંપરાઓને પર અસર થઈ. હવે જ્યારે કોરોનાના કેસ ઘટી રહ્યા છે, ત્યારે બે વર્ષ બાદ જૂનાગઢમાં શિવરાત્રીનો મેળો ઉજવવાની મંજૂરી મળી છે, ત્યારે વ્યવસ્થા તંત્રની તૈયારીઓથી લઈને ભક્તોમાં કેવો ઉત્સાહનો માહોલ છે.
ગરવા ગીરનારની ગોદમાં આવી રહ્યો છે આધ્યાત્મનો ઉત્સવ. સાધુ સંતોનું ભવનાથ તળેટીમાં આગમન થઈ રહ્યું છે. અને બે વર્ષ પછી આવેલા આ અવસરમાં કોઈ કમી ન રહે તે માટે જૂનાગઢ તંત્ર પણ તૈયાર થઈ ગયું છે
ગુજરાતની ઓળખ સમા ગીરનારમાં મહાશિવરાત્રીનો મેળો યોજવા સરકારે મંજૂરીની મહોર મારી દીધી છે. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી જૂનાગઢમાં મેળાના મંજૂરી આપવામાં નહોતી આવતી, પરંતુ કોરોનાની ત્રીજી લહેરની પીક જતી રહ્યા બાદ હવે સરકારે નિયંત્રણોમાંથી મુક્તિ આપી અને તેના જ ભાગ રૂપે જૂનાગઢમાં પણ મેળાને પરવાનગી મળી.
ધન્ય ધરા પર આધ્યાત્મના અવસરની ઉજવણી સાનુકૂળ રીતે થાય તે માટે જૂનાગઢના વહિવટી તંત્ર દ્વારા દરરોજ બેઠકો કરવામાં આવી રહી છે. અલગ અલગ કામગીરીમાં જવાબદારી નક્કી થાય તે માટે 13 ટીમો બનાવવામાં આવી છે ભવનાથ ખાતે મહાનગર પાલિકાની ટીમ સફાઈ, રસ્તાની કામગીરી શરૂ કરાઈ. કોરોનાના કારણે વેક્સિનેશન કેમ્પથી લઈને રસ્તા સેનેટાઈઝન કરવાની કામગીરી પણ આરંભાઈ ચુકી છે. પીજીવીસીએલની ટીમ હોય કે પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ, તમામ વિભાગો સંકલનમાં રહે, તેનો લઈને સચોટ આયોજન થઈ રહ્યું છે.
ગ્રીક, મૌર્ય વંશ, ક્ષત્રપ અને ગુપ્ત વંશોનો ઉજળા ઈતિહાસની સાક્ષી રહેલી આ ધરા પર આવીને, ભગવાન શિવના દર્શન કરવાની પરંપરા વર્ષો જૂની છે. દર વખતે ઉઠતો માનવ મહેરામણ શ્રદ્ધા અને સંસ્કૃતિના સમન્વની એક ઓળખ પૂરી પાડે છે. આ વખતે પણ શિવના શરણે આવીને ધન્યતા અનુભવવા ભક્તો પણ આતુર છે.