તલાક-એ-હસનને પડકારતી એક અરજી પર સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે, અત્યારે આ મામલાને જોતાં લાગે છે કે, તલાક-એ-હસન પહેલી નજરે ખોટું નથી લાગતું. જોકે આ મોટી ટિપ્પણી કર્યા બાદ કોર્ટે સમગ્ર કેસની સુનાવણી 29 ઓગસ્ટે સુધી ટાળી દીધી છે. સુનાવણી દરમ્યાન જસ્ટિસ સંજય કિશન કૌલે કહ્યું કે, પ્રથમ દ્રષ્ટિએ તલાક-એ-હસન એટલું અન્યાયી નથી લાગતું. અને એમાં મહિલાઓની પાસે પણ ખુલ્લા વિકલ્પો છે.
કોર્ટે કહ્યું કે, પ્રથમ દ્રષ્ટિએ અમે અરજીકર્તાઓ સાથે સહમત નથી. જસ્ટિસ સંજય કિશન કૌલે એક મોટી ટિપ્પણી કરતાં કહ્યું કે, અમે નથી ઇચ્છતા કે, આ મુદ્દો અન્ય કોઈ કારણસર એજન્ડા બને. અરજીકર્તા મહિલાને કોર્ટે એમ પણ કહ્યું કે, તમે એ જણાવો કે, તમે સહમતીથી તલાક માટે તૈયાર છો કે નહીં ? આ સાથે પણ પૂછ્યું હતું કે, તમે આ મામલે સીધા સુપ્રીમ કોર્ટ કેમ આવ્યા ? આ કેસ મામલે હાઇકોર્ટમાં ગયા કે નહીં ?
શું છે સમગ્ર મામલો ?
સુપ્રીમ કોર્ટમાં ગાઝિયાબાદની એક મહિલાએ તલાક-એ-હસનની વિરુધ્ધ અપીલ દાખલ કરી છે. મહિલાને તેના પતિએ પતિ તલાક-એ-હસન મુજબ નોટિસ મોકલી હતી. જેને મહિલાએ સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. મહિલાની દલીલ છે કે, તલાક-એ-હસન મહિલાઓની ગરિમાની વિરુધ્ધ છે અને આ સન્માન સાથે જીવન વિતાવવાના અધિકારની પણ વિરુધ્ધમાં છે.
શું છે તલાક-એ-હસન ?
સુપ્રીમ કોર્ટે તત્કાલ ટ્રિપલ તલાક પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે તલાક-એ-હસનએ અલગ છે. તલાક-એ-હસન માં પતિ પોતાની પત્નીને પહેલી વાર તલાક બોલ્યા બાદ એક મહિના સુધી રાહ જુએ છે. પછી મહિનો પૂરો થતાં તે બીજી વાર તલાક બોલે છે. આ બીજા એક મહિના બાદ તે ત્રીજી વાર પત્નીને તલાક બોલે છે. ત્રણ વખત તલાક બોલવા દરમ્યાન જો પતિ-પત્ની વચ્ચે સમાધાન નથી થતું તો તલાક માની લેવામાં આવે છે. જોકે મહત્વ નું છે કે, પહેલી વાર તલાક બોલાયા બાદ છે કે, ત્રીજી વાર તલાક બોલે ત્યાં સુધી પતિ-પત્ની સાથે રહે છે.