આજે 8 નવેમ્બર છે, અને નોટબંધીની યાદો ફરી એકવાર તાજી થઈ છે. 8 નવેમ્બર, 2016ના રોજ રાત્રે 8 વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક 500 અને 1000ની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. જેની ચર્ચા આજે પણ થાય છે. કારણકે આ નિર્ણયે દરેક વ્યક્તિને અસર કરી હતી. કેન્દ્ર સરકારે ધીરે ધીરે નોટબંધીથી દૂરી બનાવી લીધી. પણ પ્રશ્ન એ છે કે શા માટે સરકાર નોટબંધીનો ઉલ્લેખ કરવા ઈચ્છતી નથી?
નોટબંધીના નિર્ણયે મચાવી હતી ધમાલ
નોટબંધીથી ખેડૂતો પર માઠી અસર થઇ: કૃષિ મંત્રાલય
નોટબંધી પછી લગભગ 99.30 ટકા જૂની નોટો થઈ બેંકમાં જમા
3 વર્ષ પછી પણ સરકાર પાસે નથી કોઈ ડેટા
ત્રણ વર્ષ પછી પણ સરકાર પાસે નોટબંધી વિશે કંઈ કહેવાનું નથી. સરકાર દાવો કરી શકે છે કે નોટબંધીનું પગલું યોગ્ય હતું, પરંતુ સરકાર તેની સફળતા સંબંધિત કોઈ નક્કર ડેટા રજૂ કરવામાં નિષ્ફળ ગઈ છે.
નોટબંધી એક કડવી યાદ
નોટબંધીના નકારાત્મક પાસાઓ સામે આવ્યા બાદ વડા પ્રધાન સહિત શાસક પક્ષના મોટા નેતાઓએ આ વિશે વાત કરવાનું ટાળ્યું છે. કારણ કે નોટબંધીના નિર્ણયથી સમગ્ર દેશમાં અંધાધૂંધીનું વાતાવરણ સર્જાયું હતું. તેથી નોટબંધીની અસર સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રોના ધંધા પર પડી હતી. કારણ કે નોટબંધી અંગે સરકારની કોઈ તૈયારી નહોતી. નોટબંધી પછી પણ રોજ નિયમો બદલવામાં આવતા હતા.
નાના વેપારીઓને થયું મોટું નુકશાન
દેશમાં લોકો નોટબંધીથી થતી સમસ્યાને ભૂલ્યા નથી. નોટબંધીની સૌથી મોટી અસર એ ઉદ્યોગો પર પડી જે મોટે ભાગે રોકડમાં હોય છે. મોટાભાગના નાના ઉદ્યોગો આમાં સામેલ છે. નોટબંધી દરમિયાન, આ ઉદ્યોગો માટે રોકડની અછત હતી. આને કારણે તેનો ધંધો અટક્યો. લોકોની નોકરીઓ ગઈ.
આ કારણે લાવવામાં આવ્યો હતો નોટબંધીનો નિર્ણય
નોટબંધી લાવવા માટે મોદી સરકારે અનેક કારણો આપ્યા. કાળા નાણાંને નાબૂદ કરવા, બજારમાં ફરતા નકલી ચલણને દૂર કરવા અને નક્સલ પ્રવૃત્તિઓને રોકવા સહિત કેશલેસ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહિત કરવાના ઘણા કારણો હતા. સરકારની દલીલ છે કે નોટબંધી પછી વેરાની વસૂલાત વધતી ગઈ છે અને કાળા નાણામાં વપરાયેલ નાણાં સિસ્ટમમાં આવી ગયા છે. પરંતુ આને લગતા કોઈ ડેટા ત્રણ વર્ષ પછી પણ બહાર આવ્યા નથી.
લગભગ 99.30 ટકા જૂની નોટો બેંકમાં જમા થઈ
RBIના આંકડા કહે છે કે નોટબંધી દરમિયાન બંધ થયેલી 500 અને 1000ની જૂની નોટોમાં 99.30 ટકા બેંકમાં પરત આવી હતી. જ્યારે તમામ નાણાં બેંકોમાં પરત આવે છે ત્યારે સવાલ ઉભો થાય છે કે સરકાર કાળું નાણું કબજે કરવામાં કેવી રીતે સફળ રહી?
વિકાસ દર પર અસર
નોટબંધી પછી GDPને એક આંચકો મળ્યો, જેના કારણે દેશ હજી સુધરી શક્યો નથી. નોટબંધીની ઘોષણા પછીના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર ઘટીને 6.1 ટકા પર આવી ગયો હતો. જ્યારે તે જ સમયે 2015માં તે 7.9 ટકા હતો. હાલમાં જીડીપી વૃદ્ધિ દર 5 ટકા પર આવી ગયો છે, જે છેલ્લા 6 વર્ષમાં સૌથી નીચો ત્રિમાસિક આંકડો છે. આવી સ્થિતિમાં, મોદી સરકાર માટે નોટબંધીની નિષ્ફળતાથી છુટકારો મેળવવો સરળ નથી.