કોંગ્રેસ વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પદ રદ થયા બાદ કોંગ્રેસ પાર્ટી સક્રીય થઈ છે.. માનહાનિ કેસમાં રાહુલને થયેલી સજા મામલે કોંગ્રેસ સેશન્સ કોર્ટમાં સોમવારે અપીલ કરશે. કોંગ્રેસ પાર્ટીમાં ઘણા સિનિયર નેતા અને વરિષ્ઠ વકીલો છે. પરંતુ રાહુલ ગાંધીનો સમગ્ર કેસ દિલ્લીના વરિષ્ઠ વકીલ હેન્ડલ કરે તેવી સંભાવના સેવાઈ રહી છે. જો સેશન્સ કોર્ટમાંથી રાહુલ ગાંધીને કઈંક રાહત મળે તો કદાચ સંસદ સભ્ય પદ બચી શકાય છે.
આ બાબતે કોંગ્રેસનાં સિનિયર એડવોકેટ બી.એમ.માંગુકિયાએ જણાવ્યું હતું કે અમારા વકીલ મિત્રો પાસેથી અહીંયાથી જે ડોક્યુમેન્ટસ મંગાવ્યા હતા એ દિલ્હી પહોંચી ગયા છે. તેમજ ટ્રાન્સલેશન પણ પહોંચી ગયું છે. એટલે કે રાહુલ ગાંધી સામે સસ્પેન્શનની જે મૂળ વાત છે. ત્યારે રાહુલ ગાંધીનાં સસ્પેન્શનની વાતમાં મને કોઈ દમ લાગતો નથી. રાહુલ ગાંધીએ પોતાની અપીલ સેશન્સ કોર્ટમાં દાખલ કરવી પડશે.
સજા સામે ઉપલી કોર્ટમાં અરજી કરો
ગત રોજ બુધવારે એક કાર્યક્રમમાં બોલતા શાહે કહ્યું કે રાહુલ ગાંધીએ પોતાનો કેસ લડવા માટે ઉચ્ચ અદાલતમાં જવું જોઈએ. તેના બદલે, તેઓ વડા પ્રધાન મોદી પર દોષારોપણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધીએ પોતાની સજા પર સ્ટે મૂકવાની અપીલ કરી નથી. આ કેવો અહંકાર છે? તમારે તરફેણ જોઈએ છે. તમે સાંસદ તરીકે ચાલુ રહેવા માંગો છો અને કોર્ટ સમક્ષ પણ જવા માગતા નથી. આ તે કેવા પ્રકારનો ઘમંડ છે.
પટના કોર્ટે પણ રાહુલ ગાંધીને 12 એપ્રિલે હાજર થવા સમન્સ પાઠવ્યું
બિહારની રાજધાની પટનાની એક કોર્ટે રાહુલ ગાંધીને સુરતના કેસની જેમ જ અન્ય એક માનહાનિ કેસમાં 12 એપ્રિલે હાજર થવા જણાવ્યું છે. અગાઉ સુરત કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ગયા અઠવાડિયે બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. બિહારની રાજધાનીમાં એમપી, એમએલએ અને એમએલસી કોર્ટના વિશેષ ન્યાયાધીશે ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ સુશીલ કુમાર મોદી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ગાંધીને તેમનું નિવેદન નોંધવા માટે સમન્સ પાઠવ્યું છે. નિવેદન નોંધવા માટે 12 એપ્રિલની તારીખ નક્કી કરવામાં આવી
રાહુલ ગાંધી હાલમાં આ કેસમાં જામીન પર બહાર છે. તેમણે જણાવ્યું કે 'ફરિયાદી પક્ષના તમામ સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. અને તમામ પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. હવે આ મામલો રાહુલ ગાંધીના નિવેદન માટે પેન્ડિંગ છે અને તેમનું નિવેદન નોંધવા માટે 12 એપ્રિલની તારીખ નક્કી કરવામાં આવી છે. જો કે, સૂત્રોએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી 12 એપ્રિલે હાજર નહીં થાય અને તેમના વકીલ અંશુલ કુમાર આ કેસમાં તેમનું નિવેદન નોંધવા માટે બીજી તારીખ માંગી શકે છે.