સાબરકાંઠાના સોનાસણ, કાટવાડ, દલપુર સહિતના વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી અંગે VTV NEWSના અહેવાલ બાદ GPCBના અધિકારીઓ દોડતા થયા છે. GPCBના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી પાણીના સેમ્પલ લીધા છે.
સાબરકાંઠામાં VTV NEWSના અહેવાલની અસર
VTV NEWS ફરી બન્યું લોકોના અવાજ
કેમિકલયુક્ત પાણીના નમૂના લેવાયા
નેશનલ હાઇવે નંબર આઠ ઉપર પ્રાંતિજ અને હિંમતનગર વચ્ચે આવેલા દલપુર, કાટવાડ તેમજ સોનાસણ ગામની સીમમાં બોરવેલ તેમજ કુવામાંથી દુર્ગંધયુક્ત વિવિધ કલર તેમજ કેમિકલયુક્ત પાણી બહાર આવતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો હતો, જેને લઇને VTV NEWSએ દુષિત તેમજ દુર્ગંધ મારતા પાણી મામલે અહેવાલ પ્રકાશિત કર્યો હતો. ત્યારે VTVના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે. તંત્ર દ્વારા સોનાસણ અને આસપાસના વિસ્તારોમાં પાણીના સેમ્પલ લઇ તપાસ હાથ ધરવામાં આવી છે.
ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં
સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના દલપુર, કાટવડ તેમજ સોનાસણ ગામની સરહદમાં આવેલા બોરવેલમાંથી કેટલાક સમયથી કેમિકલયુક્ત અત્યંત દુર્ગંધ મારતું પાણી સિંચાઈ માટે આવતા ખેડૂતો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ ખેતી માટે સિંચાઈનું પાણી આપવું જરૂરી છે તો બીજી તરફ સિંચાઈનું પાણી આપવા જતાં જમીન બગડવાની સાથોસાથે પાકમાં પણ ભારે નુકસાનીનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. બોરવેલ તેમજ કુવામાંથી કેમિકલયુક્ત પાણી નીકળવા અંગેની જાણ થતાં VTV NEWSની ટીમ સોનાસણ ગામ ખાતે દોડી ગઈ હતી. જ્યાં સ્થાનિકોએ VTV NEWS સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.
VTVના અહેવાલ બાદ GPCBના અધિકારીઓ થયા દોડતા
VTVએ સમગ્ર અહેવાલ પ્રકાશિત કરતા GPCBના અધિકારીઓ દોડતા થયા છે અને સમગ્ર મામલે સોનાસણ ગામે પહોંચી પાણીના સેમ્પલ લઇ અને આજુબાજુના વિસ્તારમાં દૂષિત પાણી મામલે તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશેઃ અધિકારીઓ
દુર્ગંધ મારતા પાણીને લઈને અધિકારીઓને સવાલો પૂછતા તેમણે સ્વીકાર્યું હતું કે, દૂષિત પાણી આવી રહ્યું છે પણ ક્યાં કારણોસર આવી રહ્યું છે તેની તપાસ હાલ ચાલી રહી છે. GPCBના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, સાત દિવસ બાદ પાણીનો રિપોર્ટ આવશે, ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. અગામી સમયમાં વહીવટી તંત્ર કેમિકલયુક્ત પાણી જમીનમાં ઉતારવા મામલે કેવા અને કેટલા પગલાં ભરે છે કે પછી માત્ર સેમ્પલ લઇને સંતોષ માને છે તે હવે આવનાર સમય બતાવશે.